શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

About these ads

About ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

14 Responses to શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

  1. saurabh Mehta says:

    ધવલ ભાઈ કેમ છો? હાલ માં કોલેજમાં પરીક્ષા ચાલતી હોવાથી આપના બ્લોગ તેમજ વિકિપીડિયા માટે વાત ના થઇ શકી ! આજે ઘણા વખત પછી બ્લોગ પર અવાણું, આપના બ્લોગ નો વિષય વાંચીને આપને જાણવાનું કે શ્રી નગીનદાસ સંઘવી ને જ્યોત્સના તન્ના દ્વારા લખાયેલું મહામાનવ શ્રી કૃષ્ણ વાંચવું રહ્યું જેમાં કૃષ્ણ નું જીવન ચરિત્ર ઘણા બધા ગ્રંથો ને આધારે લખવામાં આવ્યું છે. ને તે પુસ્તક પ્રમાણે સુદામા પ્રસંગ તો લોકવાયકા છે, આવું કોઈ પાત્ર તેમના જીવનમાં આવ્યુજ નથી. આપને જો રસ હોય તો આ પુસ્તક જરૂરથી વાંચજો, કૃષ્ણ ના જીવન વિષે ઘણી બધી ગેરમાન્યતા તેમજ લોકમાન્યતા વિષે એક નવીન પ્રકાશ પડશે !

    -સૌરભ મેહતા
    ( કદાચ આપ ભૂલી ગયા હોય તો આપને જાણવાનું કે આપડે વિકિપીડિયા કોન્ફરન્સમાં મળ્યા હતા )

    • આભાર સૌરભભાઈ, પુસ્તક શોધીને જરૂર વાંચીશ. Hope કે અહીં યુ.કે.માં મળી રહે. તમારૂં નામ પરિચિત લાગ્યું હતું, પણ જો તમે વિકિકિન્ફરન્સમાં મળ્યાં હતાં તેમ ના કહ્યું હોત તો કદાચ લિંક કરતા વાર લાગત.

  2. S.S Rathod says:

    સિરીયલમાં ટોટલી લોચા-લાપસી પિરસવામાં આવે છે.પેલી એક્તા કપૂરે પણ મહાભારત બનાવી હતી.કયા બેઝ પર બનાવી સિરીયલ ? (હજુ સવાલ છે )
    એટલે ટીવી સીરીયલોનું વધારે માઠુ ન લગાડવુ. તેઓ એક જ બેઝ પર સિરિયલ બનાવતા હોય છે મૂળ પાત્ર જ તેમની સ્ટોરીના કેન્દ્રમાં હોય છે.શ્રી કૃષ્ણને શક્તિશાળી બનાવવી રાખવા કે તારણહાર વગેરે બનાવવી રાખવા એ તમનું લક્ષ્ય હોય છે,એ માટે તેઓ વાર્તાઓ ફોર્વર્ડ કરતા હોય છે અને ઘરનો મસાલો ભભરાવતા હોય છે.કલર્સ ચેનલ પર આવતી ‘વીર શિવાજી’ સિરીયલમાં પણ આ જ વસ્તુ નોટીસ કરી છે.ટૂંકમાં કહું તો રામાયણ અને મહાભારત જેવી મહાવાર્તાઓ/મહાકાવ્યો જેમ જેમ વધારે ભૂતકાળમાં જતા જશે,તેમ તેમ વાર્તાઓ/કાવ્યોમાં મરી-મસાલા ઉમેરાતા જશે.

    • એકદમ સાચી વાત. અને એકતા મહાભારત બનાવે તેમાં ક્યાં નવાઈ છે? તેની બધી સિરિયલ્સ મહાભારત જેવી જ હોય છે દ્રૌપદી, કુંતિ, કૃષ્ણ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈને તો એ આધુનિક પાત્રો રચે છે. તેની એકેય સિરિયલ એવી છે જેમાં એક સ્ત્રીએ ૩-૪થી ઓછા પતિ (કે પછી લફરા) રાખ્યાં હોય? એકાદો પુરુષ તો સિરિયલમાં એવો હોય જ જેને ઘરવાળી અને બહારવાળી બંને હોય, ભાઈ જ ભાઈનું કાસળ કાઢી નાંખવા માંગતો હોય, વગેરે વગેરે…. આ બધું એની દરેક સિરિયલમાં બતાવી દીધા પછી પણ એને મહાભારત બનાવવાની જરૂર શું કામ પડી એ સવાલ છે…

    • સીરિયલ માત્ર લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને જ બનતી હશે. લોકોને ગમે છે. જોનારાઓ બહુ પીંજણમાં પડતાં નથી. દરેકમાં એક સરખા અકસ્માતો, એક સરખી સમસ્યાઓ. શરૂઆતમાં એમ લાગે કે આ આમ આદમીની વાર્તા છે. પછી એમ ખ્યાલ આવે કે આ ખેંચવામાં આવી રહી છે.
      લેખકો પોતાનાં મનનું ધાર્યું પાત્રો પાસે કરાવે. પછી એ પાત્ર તુલસીનું હોય કે કૃષ્ણનું હોય!

  3. સુદામા તો મારો ખ્યાલ છે કે પ્રેમાનંદનું સર્જન છે. બીજું ભગવાનનાં રૂપો માણસની મરજી પ્રમાણે બદલતાં રહે છે. તમે જે વાત કરો છો તે કૃષ્ણ તો સત્યનારાયણની કથાની યાદ આપાવે છે. લીલાવતી-કલાવતી, વહાણ ડૂબી ગયાં તે વાણિયો… બધા શરણે આવે એટલે સારૂં થઈ જાય. નહીંતર ભગવાન કઈં પણ બદલો લઈ શકે. કદાચ એક વખત એવો આવ્યો જેમાં લોકોને ’ભગવાનમાં કોઈ પણ કિંમતે મનાવવાના પ્રયત્ન થતા હતા, એટલે જ આવી બદલાની ભાવના કે પરચો દેખાડવાની કથાઓ પ્રચલિત થઈ છે.

    • દીપકભાઈ, વખતો વખત એ વાત સાબિત થતી જાય છે કે આપણે એક જ તર્કવૃત્ત પર છીએ. આ લખ્યું ત્યારે પણ મારા મનમાં સત્યનારાયણની કથા હતી જ. પણ પછી બહું લાંબુ થઈ જાય એમ હતું અને મૂળ પ્રશ્ન કદાચ વિસરાઈ જાય તેમ લાગ્યું એટલે એને કોરાણે મૂકી દીધી. ભગવાનના પરમ ભક્તો આ લોકથી પર હોય છે, માટે પ્રેમાનંદ કે નરસિંહ મહેતા (જો તેમને શુદ્ધ અને પરમ ભક્ત ગણી લઈએ તો) જેવાને ભગવાનની એવી લીલાઓની જાણ થઈ હોય જે અન્યો કદાચ ખૂંબ ટૂંકમાં જાણતા હોય. માટે સુદામાનું પાત્ર કદાચ વાસ્તવિકતા હોઈ પણ શકે, ભગવાને તેના તાંદૂલ ખાઈને તેને વળતાં જે ઐશ્વર્ય આપ્યું તે ભગવાનને શોભે એવું કામ હતું, પણ ભગવાનને સાવ આવો હલકો ચિતરવાનો? સત્યનારાયણની કથા પર પણ ચર્ચા કરવી જ પડશે.

    • પ્રેમાનંદના સુદામા ચરિત્રમાં ખરી મજા એની કથન શૈલીને માણવાની છે. સામાન્ય માણસોમાં હોય તેવી નબળાઈઓનું આરોપણ સુદામામાં, રાણીઓમાં તેમ જ કૃષ્ણમાં કરીને તે લોકોને ડોલાવી શકતાં હતાં. તે સમયની માંગ પ્રમાણે તેમણે આખ્યાનો કર્યાં અને લોકોને ખૂબ મનોરંજન પણ આપ્યું છે.
      તેઓ શું કહે છે તેનાં કરતાં કેવી રીતે કહે છે તે મજાની વાત છે.

  4. ભગવાનને લગતી દરેક ધારાવાહિકના આ જ હાલ છે… હનુમાનજી, શીવજી, ગંગામૈયા વગેરે વગેરે…

    તેના દ્વશ્યો જોતી વખતે આપનામાં જો જરાપણ તર્ક શક્તિ હોય તો આપને નાસ્તિક બનતા વાર ન લાગે.. બની શકે કે ધારાવાહિક બનાવનાર તેમને સુપીરીયર સબિત કરવા ઇચ્છતા હોય પણ તેમાં અતિરેક ન હોવો જોઇએ. શ્રધ્ધા રાખવા સુધી ઠીક છે પણ ભગવાન હાથ ઉંચો કરીને બધુ બરોબર કરી દેશે તેવું બતાવીને આપણે લોકોને નિષ્ક્રીય બનાવી રહ્યા છીએ…. લોકોમાં અંધશ્રધ્ધા વધવાનુ મુળ કારણમાં આ ધારાવાહીક અને કથાકારોની કાલ્પનિક કથાઓનો ફાળો ઘણો મોટો છે…

    નાના હતા ત્યારે દુરદર્શન પર શ્રી કૃષ્ણ જોઇને મોટા થયા છીએ. તે વખતે પણ સવાલ થતો કે ભગવાન સૌથી શક્તિશાળી છે અને સુદર્શન ફેલાવીને બધાને એક જ વારમાં મારી શકે છે તો કલાકો સુધી ગદા હાથમાં લઇને યુધ્ધ કરવા પાછળ સમય કેમ બગાડતા હશે ? અગર ભગવાન બધાના મનને કળી શકે છે અને તેમનામાં સારા વિચારો ઉતપન્ન કરી શકે છે તો તેમને મારવાની કે દંડ દેવાની શું જરુર છે….!!??? અગર ભગવાન દયાળુ છે તો તેમની પાસેથી કંઇ માંગવા માટે તપ કે ઉપવાસ કેમ કરવા પડે છે ? પોતાને દુઃખ આપીએ તો જ પ્રસન્ન થાય એ વળી કેવો ભગવાન ?

    જો કે ત્યારે તો મોટાઓ ચુપ કરી દેતા પણ હવે તો જાતે જવાબ શોધીએ છીએ.. હજુ જવાબ નથી મળ્યો અને કદાચ મળશે પણ નહી…

  5. ધવલભાઈ, શ્રી કૃષ્ણ નું પાત્ર એ તો પુરષોત્તમ રૂપ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તેઓ ઘમંડી કે સ્વાર્થી ન હોય. પણ હા જો કોઈ વ્યક્તિ ઘમંડ ના નશા માં ફરે અને નાહક નો ભગવાન ના ભક્ત ને હેરાન કરે તો અવશ્ય શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતા માં જણાવ્યા પ્રમાણે એ ઘમંડી વ્યક્તિ ના ઘમંડ નો નાશ કરવા હેતુસર એ વ્યક્તિ ને સજા ચોક્કસ કરી શકે છે. સીરીયલ માં બધું અલગ રીતે દર્શાવામાં આવે છે. પણ હા જોવાનો આપણો નજરીઓ અલગ અલગ હોય શકે છે. મારા મત પ્રમાણે અહી શ્રી કૃષ્ણ એ પોતાનું ઘમંડ કે સ્વાર્થીપણું નથી બતાવ્યું પણ એ આત્મા નું ઘમંડ નો નાશ કરવા માટે સજા કરી છે.

    • વેદાંગભાઈ, હું તમારી સથે સહમત થઉં છું કે ભગવાન “ઘમંડી વ્યક્તિ ના ઘમંડ નો નાશ કરવા હેતુસર એ વ્યક્તિ ને સજા ચોક્કસ કરી શકે છે.” પરંતુ અહીં તો વાત છે એવી સ્ત્રીની જે કોઈને નુકસાન નથી પહોંચાડતી કે નથી, તો પછી ભગવાન શું ફક્ત તે પોતાના શરણે આવે તે સારૂં થઈને તેના છોકરાને એટલી હદે બિમાર કરી શકે? ન જ કરી શકે. ભગવાન કોને કીધો ભાઈ? આવું કામતો કોઈ સારા હૃદયનો માણસ પણ ના કરે. કપટી અને કાયર માણસનું કામ છે એ કે જો તું મારી વાત નહી માને તો હું તને તો કશું કરી નહી શકું પણ તારી પ્રિય વસ્તુ લઈ લઈશ. ભગવાન કદી કોઈને એવા બાનમાં લેતો નથી. શિશુપાલ જેવા શિશુપાલને જો તેમણે ગાળો બોલવા દીધી હોય, કૌરવોને યુદ્ધ ખેલવા દીધું હોય તો સુશીલા તો કઈ વળી કયા ખેતરની મૂળી હતી કે તેને પાઠ ભણાવવા ખાતર ભગવાન તેના છોકરાના પ્રાણ હરવા જેવી હાલત લાવી શકે? કેમ ભગવાને દુર્યોધનને બિમાર ના કર્યો? એમ કર્યું હોત તો પુત્રપ્રેમમાં આંધળા ધૃતરાષ્ટ્ર યુદ્ધ આપોઆપ જ પાછું ખેંચી લેત અને પાંડવોને નિર્વિઘ્ને રાજ મળી જાત. આ બધી ઉપજાઈ કાઢેલી વાતો સિરિયલમાં બતાવીને તો આ સિરિયલોવાળા ભગવાનને જ નુકશાન પહોંચાડી રહ્યાં છે.

  6. શ્રી.ધવલભાઈ, આપને પણ ખરો વિચાર આવ્યો !!
    આમ તો આગળ સરસ મજાની ચર્ચા થઈ જ ગઈ. જેમ મિત્રોએ જણાવ્યું તેમ વાસ્તવમાં આવી કોઈ ઘટના બની જ હશે તેવું માની લેવાને કોઈ કારણ નથી. કોઈ કોઈ બહુ જ નાની એવી ઘટના બની હોય પણ ખરી અથવા માનીએ કે પાત્રો ક્યારેક વાસ્તવમાં આ પૃથ્વી પર સદેહે વિચરતા પણ હશે પરંતુ હાલમાં પ્રસિદ્ધ મોટાભાગની આવી અવાસ્તવિકતાસભર કથાઓ જે તે રચેતાના મનની કલ્પના માત્ર હોવાનો સંભવ વધુ રહે.

    જો કે મારા દૃષ્ટિકોણે હું આ પ્રકારની કલ્પનાઓના રચેતાઓનો દોષ પણ નથી જોતો, તેઓએ કદાચ તેમના સ્થળકાળ અને ઉપલબ્ધ સંસાધનોના વિચારથી સમાજને કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ હવે તેને ચલચિત્રો, કથાઓ, સિરિયલ્સ વગેરેમાં અતિરેકપૂર્વક બતાવ્યે રાખીને આ લોકો શું સાબીત કરવા માંગતા હશે ? પછી સ્વાભાવિક છે કે આપણ સૌને આ જ પ્રશ્ન થાય; ’શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???’ (કે હશે ?) પરંતુ તે આટલી અમથી કથા (કે સિરિયલ)થી નક્કી ના થાય ! આથી આવી વાર્તાઓને માત્ર વાર્તા જ ગણવી સારી. આભાર.

    • તમારી સાથે શત પ્રતિશત સહમત કે કૃષ્ણ સ્વાર્થી છે કે નહી તે આટલી અમથી વાતથી નક્કી ના થાય. હું, તમે અને અન્ય સુજ્ઞજનો જેમણે અહીં ટિપ્પણીઓ કરી છે, આપણે એ વાત જાણીએ છીએ, પરંતુ સમાજમાં એવા કેટલાય લોકો હશે જે અવી નાની અમથી વાતમાંથી જ ક્યાસ કાઢવામાં માનતા હોય છે. મેં કદાચ આપણે મળ્યા ત્યારે પણ મારા સાબરકાંઠાવાળા મિત્રના ઘરનો અનુભવ કહ્યો હતો. આજે અહીં ફરી વખત કહું.

      મારા એ મિત્રના ચાંલ્લા (વેવિશાળ) પ્રસંગે હું એના ગામ ગયો હતો. વિધિ પૂરી થતાં જમણવાર શરૂ થયો, અમે લોકોએ હોંશે હોંશે બધું પીરસ્યું. છેલ્લે ભાતનો વારો આવ્યો. પચીસેક જણાંની પંગત પડી હશે, અને એ લોકોએ ૩-૪ છાબડી ભાત પીરસવા માટે કાઢીને રાખ્યો હતો. હું એક છાબડી લઈને નીકળ્યો અને આખી પંગતને ભાત પીરસીને પોણી છાબડી ભરેલી લઈને પાછો ગયો. ઘરના બધા ચોંકી ગયા કે આટલો જ ભાત કેમ ગયો? મને પૂછ્યું કે મેં આગ્રહ કર્યો હતો? મે કહ્યું કે ભાતમાં તે વળી કેવો આગ્રહ કરવાનો? મિઠાઈમાં તો આગ્રહ કર્યો હતો. મારી આ બાલિશ દલિલને હસી કાઢવામાં આવી અને બે જાણકાર કુટુંબીજનો એક-એકછાબડી લઈને પીરસવા ગયા, થોડીજ વારમાં ખાલી છાબડીઓ સાથે પાછા આવ્યાં અને જોત-જોતામાં બધી છાબ્ડીઓનો ભાત લોકોના ભાણાંમાં ઠલવાઈ ગયો હતો. બધું પત્યા પછી એ વાતનો ભેદ મેં પુછ્યો તો જાણવા મળ્યું કે એ લોકોમાં ભાત વખતે આગ્રહ કરવાનો રિવાજ છે. અને તેની પાછળ કારણ એ છે કે જો ભાતમાં આગ્રહ ના કરીએ તો લોકોને કહેવાનો મોકો મળી જાય કે સાવ ગયાગુજર્યા લોકો છે, બીજા કશામાં તો આગ્રહ ના કર્યો તો કાંઈ નહી, પણ ભાત જેવામાં તો આગ્રહ કરવો હતો? સાવ સસ્તા ભાતમાં પણ આગ્રહ ના કર્યો. અને કર્યા કારવ્યા બધાં પર પાણી ફરી વળી જાય.

      હવે આ જ વાત અહીં પણ લાગુ પડે છે. ભાણું ગમે તેટલું સારૂં હોય, પણ જો ભાતમાં પણ વાંકુ પડે તો આખું ભાણું વખોડાઈ જાય. આપણને ભાતમાં આગ્રહ કરનાર પર ચિડ ચઢે પણ ત્યાં આ રિવાજ છે. માટે આવી નાની પણ બેબુનિયાદી વાતો બતાવીને આ સિરિયલ્સવાળા લોકોને કૃષ્ણથી વધારે દૂર કરી રહ્યાં છે.

  7. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers

%d bloggers like this: