ચાન્સ કે ઈમાનદારી?
January 17, 2012 3 Comments
ગઈકાલે કાર્તિકભાઈના બ્લૉગ પર ઉત્તરાયણ નિમિત્તની આ પોસ્ટ વાંચીને મને પણ મારો વર્ષો પહેલાનો અનુભવ યાદ આવી ગયો.
કદાચ તે સમયે કોલેજમાં હોઇશ. ફ્લેટના બધા છોકરાઓ મળીને દિલ્હી દરવાજા બહારના પતંગ બજારમાં ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ લેવા નીકળ્યા. આમ તો દર વર્ષે રાયપુર દરવાજાના પતંગ બજારમાંથી પતંગ લેતા, પણ આ વખતે બધા પોત-પોતાના વાહનો લઈને નીકળ્યા હતા અને અમુક ભાઈબંધો નવા નવા સ્કૂટર ચલાવતા થયા હતાં (હા જી, સ્કૂટર જ, તે સમયે બાઇક તો માલદારના છોકરા ચલાવતા, અને અમે તો બધા બેંકરોના છોકરા હતા). લગભગ ૭-૮ જણાએ ભેગા થઈને વીશેક કોડી પતંગ ખરીદ્યા. ઘરે પહોંચીને પોતપોતાના પતંગ છૂટા પાડવા બેઠા ત્યારે ધ્યાન ગયું કે એક પંજો ઓછો હતો. મેં કહ્યું કે પાછા જઈને લઈ આવીએ. વસ્ત્રાપુરથી દિલ્હી દરવાજા એક પંજો પતંગ લેવા જવા માટે અડધા તો તૈયાર થયા નહી. બાકીના અડધાને મન એ બહાને જે અડધો-પોણો કલાક વધારે રખડવા મળ્યું તે અને મારે મન જેના પૈસા ચુકવ્યા છે તે વસ્તુ નાહકની શું કામ જવા દેવી, એમ મિશ્ર હેતુથી અમે બધા પતંગવાળાની દુકાને પહોંચ્યા. એને કીધું તો એણે તો માનવાનો જ ઇન્કાર કરી દીધો. અમારી સંખ્યા કાંઇ ઓછી નહોતી અને દુકાનમાં ભીડ પણ હતી. અમે થોડી મોટેથી વાત કરી અને લોકોનું ધ્યાન અમારી તરફ પણ ગયું. અમે દુકાનદારને કહ્યું કે અમે કાંઈ એક પંજો પતંગ મફત લેવા છેક વસ્ત્રાપુરથી અહીં લાંબા થવાના હતાં? છેવટે દુકાનદારને ત્યાં ઉભેલા ગ્રાહકોમાં પોતાની છબી છતી થવાની બીક જોય કે જે હોય તે, તેણે પોતાની ભૂલ થઈ હશે તેમ જણાવીને અમે જે ક્વોલિટીના પતંગ લીધા હતાં તે જ ક્વોલિટીનો એક પંજો આપ્યો.
આવા બીજા અનુભવો પણ વખતો વખત થયાં, અને માટે જ હજુ સુધી નક્કી નથી કરી શક્યો કે આ વેપારીઓ ગ્રાહની વસ્તુ પચાવી લેવાનો ચાન્સ લેતા હશે કે ખરેખર તેમની ભૂલ થતી હશે અને જ્યારે ભારપૂર્વક હક્ક માંગવામાં આવે ત્યારે ઇમાનદારીથી તે આપતા હશે? બીજા પણ આવા અનુભવો આગળ જતા અહીં લખીશ.
અને છેલ્લે છેલ્લે ક્રૉલીની ઉત્તરાયણની એક ઝલક….



સરેરાશ ભારતીય વેપારી લુચ્ચો હોય છે. જો ધ્યાન ન આપો તો આરામથી તમને ઓછી, સસ્તી કે બગડેલી વસ્તુ પકડાવી દે છે.
શ્રી. ધવલભાઈ, સરસ ચિત્રો છે.
હવે એક અનુભવ મારો; અમારા બહારગામનાં એક જથ્થાબંધ વિક્રેતાને એવી ટેવ હતી કે રુબરુ, જોઈ ચકાસી, સામાન કઢાવ્યો હોય અને પછી પાર્સલ બાંધવા ફરી અંદરના ભાગમાં એ સામાન મોકલી દે. ચા-પાણી પતે ત્યાં પાર્સલ તૈયાર થઈ જાય (ત્યારે અમારે લગભગ બધી વસ્તુઓ ડઝનનાં હિસાબે લેવી પડતી, તો જ હોલસેલ ભાવનો લાભ મળે). અહીં દૂકાને આવીને દાગીનો ખોલી સામાન ચકાસીએ એટલે દરેકમાં એક-બે નંગ ફૉલ્ટવાળા હોય જ !! ફોનથી સંપર્ક કરો એટલે કહે કે, તમે જાતે ચકાસીને દરેક નંગ લીધેલાં, બહુ દલિલ કરો તો કહે, સારું ફરી ખરીદીએ આવો ત્યારે લેતા આવજો, બદલી આપીશ ! અને ત્યારે અમારે વર્ષમાં બે વખત માંડ ખરીદી કરવા જવાનું થતું. જો કે છ માસ પછીએ માલ બદલી તો આપે જ ! બહુ સમયે ધ્યાન પડ્યું કે આ પ્રમાણે નૂકશાની વાળા માલનાં તેને તો રોકડા થઈ જાય. પૈસા તો અમારા રોકાય ! અને અમે પરત કરેલો માલ તે તો વળી અન્ય બહારગામનાં ગ્રાહકનાં પાર્સલમાં ધબેડી દે ! અને કોઈ મોઢાનો મોળો કે ’હવે કોણ બદલવા જાય’ તેવા સ્વભાવનો ગ્રાહક મળી જાય એટલે તેનો છૂટકારો !! (બધા ગ્રાહક કંઈ થોડા આપણા જેવા ’ચીકણા’ હોય !!!)
જો કે એવું પણ નથી કે બધાં બેઈમાની જ કરતાં હોય. કોઈ વખત માનવસહજ ભૂલને કારણે પણ આવું બની જાય. પરંતુ કાયમી પનારો હોય તો ઈરાદો પકડમાં આવી જાય, બાકી તો ખરી બાબતની જાણ ન જ થાય !
આભાર.
ચાલો ત્યારે, એક વાતની તો ખાતરી થઈ કે વેપારીઓનાં પણ ખિસ્સું કતરાય છે. અમને તો એમ કે અમારા જેવા ગ્રાહકો જ તમ વેપારીઓના સકંજામાં આવતા હશે. અને આ છેલ્લો ફકરો ના લખ્યો હોત તો પણ અમે તમારી ઉપર શક ના જ કરત. મારે એક વાક્ય લખવાનું રહી ગયું કે, “બંધ બેસતી પાઘડી ના પહેરવી”:)