બંધારણ મુજબ ભારતની કરવામાં આવેલી વ્યાખ્યા અનુસાર ભારતની મૂલવણી

ગઈ કાલે પ્રજાસત્તાક દિને મગજમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે શું ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યું છે ખરૂં? આપણા દેશનું બંધારણ તો ડૉ. આંબેડકરની અધ્યક્ષતા હેઠળની સમિતિએ ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસના ગાળામાં તૈયાર કરીને આપી દીધું હતું. બંધારણ ભારત દેશને “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક લોકશાહી, તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપનારો અને તેમની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો” ઘોષિત કરે છે. જો કે, મૂળ બંધારણ સમિતિએ ઘડેલા બંધારણમાં ભારત દેશને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો ન હતો, તે તો પાછળથી આપણા જનપ્રતિનિધિઓએ છેક ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલું ઉમેરણ છે. હવે જ્યારે આ વ્યાખ્યાના એક એક શબ્દને લઈને આજના ભારતને મૂલવવાનો પ્રયત્ન કર્યો તો મને નીચે પ્રમાણેના જવાબો પ્રાપ્ત થયા. જો કે, આ ઉત્તરો મારા અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ અહિં આપ સૌની સાથે વહેંચવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, કદાચ તમારામાંથી કોઈ પણ આ ઉત્તરો સાથે સહમત થતું હોય, અથવા મારા વિચારોને સુધારવાનો પ્રયત્ન કરીને કદાચ હું ખોટો હોઉં તો મને સુધારવાનો પ્રયત્ન પણ કરે.

શું આપણે ખરા અર્થમાં સાર્વભૌમ છીએ?
મને તો લાગતું નથી. જે ભારે માત્રામાં આપણે અમેરિકા અને બ્રિટન જેવા ધનિક (કે કંગાળ) દેશો પર હજુ આજે પણ નિર્ભર છીએ (જો કે એવું કેમ છે તે પણ સમજાતું નથી) તેના પરથી ભારતને સાર્વભૌમ સત્તા કહેતા પહેલા સો વખત વિચારવું પડે છે.

શું આપણે સમાજવાદી છીએ?
કોઈ કહી શકશે ભારતને સમાજવાદી? ભારત તો માલેતુજારવાદી છે એવું લાગે છે, જ્યાં ઉદ્યોગની નીતિઓ હોય કે વ્યાપારની નીતિઓ, ટેલિકોમ્યુનિકેશન હોય કે એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ, મોટા ભાગનું બધું જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને જ ધ્યાનમાં રાખીને જ થતું હોય અને બાકીનું થોડુંઘણું નેતાઓના અંગત સ્વાર્થને આધારે થતું હોય, તે દેશ સમાજવાદીની વ્યાખ્યામાં કેવી રીતે બંધ બેસી શકે તે સમજવું ખરેખર અઘરૂં છે.

શું આપણે બિનસાંપ્રદાયિક છીએ?
કદાચ હા, કેમકે જ્યારે કોંગ્રેસ પક્ષ ચુંટણી લડતો હોય ત્યારે તે વાત ઢોલ પીટી પીટીને કહે છે, જેથી કેટલાક લોકોના માનસ પર સંમોહનની અસર થાય છે અને તેમને એ વાસ્તવિકતા હોવાનો ભાસ થાય છે. પરંતુ જે દેશમાં “પર્સનલ લૉ”ને નામે હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી એમ ત્રણ ધર્મો માટે જૂદા જૂદા કાયદા હોય, જે દેશમાં હિંદુને લગ્ન માટે એક કાયદો લાગુ પડે અને મુસલમાનને લગ્ન કે છૂટાછેડા માટે અલગ કાયદો લાગુ પડે તેને બિનસાંપ્રદાયિક ગણવો કે નહિ તે વિષે મને તો હજુ અવઢવ છે.

શું ભારત પ્રજાસત્તાક લોકશાહી છે?
લોકશાહીનો અર્થ ફક્ત “લોકોએ આપેલા મતને આધારે ચુંટાયેલી સરકાર” પુરતો સિમિત રહેતો હોય તો, હા, ચોક્કસ ભારત લોકશાહી છે. આપણા દેશની સરહદ પર પડોશીઓ હુમલા કરી જાય, દેશની અંદર ઘુસીને જો પડોશી દેશના આતંકવાદીઓ આપણી નિર્દોષ પ્રજાને નિર્મમરીતે રહેંસી જતા હોય છતાં આપણા દેશની જનતા કશું કરી ન શકતી હોય, જે દેશની સંસદમાં ફક્ત પૈસાને જોરે સરકારો રચાતી હોય તે દેશને કેવી રીતે લોકશાહી કે પ્રજાસત્તાક લોકશાહી કહી શકાય તે મને કોઈપણ વ્યક્તિ સરળ શબ્દોમાં સમજાવી શકે તેની હું રાહ જોઈને બેઠો છું.

શું ભારત તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે?
ન્યાયની વાત કરીએ તો, જે દેશમાં આમઆદમી પોતાના ઘરમાં થયેલી ચોરી કે પછી એક સ્થાનિક ગુંડા (કે જે દાદાના હુલામણા નામે ઓળખાય છે) દ્વારા હપ્તાની માંગણી વિરુદ્ધ અને તે માંગણીને ન સંતોષતા તેને થતી કનડગત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવવા જતા ડરતો હોય; જે દેશની જનતાના અબજો (હવે તો અબજો પણ ૧૦૦ અબજ, ૨૦૦ અબજ જેવા આંકડામાં મપાય છે)ના નાણાંના કૌભાંડો કરીને સરેઆમ ફરતા હોય અને તેમને લોકો કશું કહી કે પૂછી ન શકતા હોય, જે દેશના લોકોને કાયદો અને કાયદા પ્રમાણે પોતાના હક્કોની જાણકારી આપવામાં જ ન આવતી હોય; જે દેશમાં અમીરોના ઘરમાં અને જનતાના સેવક કહેવાતા સાંસદો અને ધારાસભ્યો, વગેરેના ઘરમાં એક ફળની કિંમત અને આયોજન પંચ દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની દૈનિક આવક (શહેરી વિસ્તારોમાં રૂપિયા ૨૮.૩૫ અને ગ્રામિણ વિસ્તારમાં અંકે રૂપિયા ૨૨ અને ૪૨ પૈસા) વચ્ચે અધધધ અસમાનતા હોય; જે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓમાં સામાન્ય જન પોતાના જાનમાલનું નુકશાન વેઠતો હોય, તે દેશ પોતાના કયા નાગરીકને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે તે માનવું મારે માટે પણ સ્વપ્ને પણ શક્ય નથી.

શું ભારત દેશ તેના નાગરીકોની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો દેશ છે?
ભ્રાતૃત્વ એટલે શું? આ પ્રશ્ન મારો નથી, આપણા દેશના બંધારનનું પાલન કરનારા રાજકારણીઓ અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ તંત્રના મનમાં રહેલો પ્રશ્ન હોવાની લાગણી મને થાય છે. જે દેશમાં અનામતને નામે લોકોને અંદરોઅંદર ઝઘડાવવામાં, અસ્પૃશ્યતાને હજુ આજે પણ વ્યાજબી ગણનારા, હિંદુ-મુસલમાન, શહેરી-આદિવાસી, વગેરે જેવા વાડાઓ ઉભા કરી એવા જુથો વચ્ચેની ખાઈને દિનપ્રતિદિન વધુને વધુ પહોળી કરવામાં જ જે પોતાનું હિત સમજે છે, તે દેશ આવો કોઈ પ્રયત્ન પણ કરી શકે છે, તે કદાચ ભગવાન જ મારે મન સ્પષ્ટ કરી શકે.

આમ મારા ભારત દેશને, “મેરા ભારત મહાન” કહેવામાં ગર્વ અનુભવતો હું, તેના બંધારણના ઘડવૈયાઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારો હું, તે જ બંધારણ ના પાલનકર્તાઓમાં લગીરેય વિશ્વાસ મુકી શકતો નથી. તેમાં નિષ્ફળતા કોની, મારી કે એ ભારતના રખવાળાઓની? આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. કદાચ વિશ્વમાં એકમાત્ર આપણો દેશ જ એવો દેશ હશે જે તેના બંધારણના અસ્તિત્વમાં આવ્યાનો દિવસ, આજે ૬૩ વર્સ પછી પણ દેશની આઝાદીના દિવસ કરતા પણ વધુ ધામધુમથી ઉજવે છે. જે બંધારણ સમિતિમાં દેશના અગ્રણી કાયદાશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતીઓ (કનૈયાલાલ મુન્શી (પૂર્વ ગૃહમંત્રી, બોમ્બે સ્ટેટ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર (પૂર્વ એડ્વોકેટ જનરલ, મદ્રાસ સ્ટેટ), એન. ગોપાલસ્વામી આયંગર (પૂર્વ મંત્રી, જમ્મુ અને કાશ્મિર તથા નહેરુ કેબિનેટના સભ્ય), બી.એલ. મીટ્લર (પૂર્વ એડ્વોકેટ જનરલ, ભારત), મોહમદ સાદુલ્લાહ (પૂર્વ મુખ્યમંત્રી, આસામ) અને ડી.પી. ખૈતાન (ખૈતાન ઉદ્યોગકાર કુટુંબના વારસ અને પ્રખ્યાત વકિલ), માધવ રાવ (વડોદરાના મહારાજાના કાયદા સલાહકાર), ટી.ટી. કૃષ્ણમાચારી (ઉદ્યોગપતિ અને કંગ્રેસી))નો સમાવેશ થયો હતો, જે બંધારણના સલાહકાર તરીકે સર બેનેગલ નરસિંગ રાઉ (ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ) રહી ચુક્યા હોય, જે સમિતિના અધ્યક્ષને આજે બંધારણના ઘડવૈયા તરીકેનું માન આપીને તેમની પૂજા થતી હોય, જે બંધારણ અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, જેવા વિશ્વના અન્ય દેશોના બંધારણમાંથી અનુકૂળ અને યોગ્ય કલમો લઈને રચાયું હોય, તે બંધારણ દ્વારા દેશની કરવામાં આવેલી વ્યાખ્યામાં આજે ૬૩ વર્ષ પછી પણ તાર્કિક સ્પષ્ટતા શોધી ન જડતી હોય, તે દેશનું કમભાગ્ય કેટલું? દેશનું કમભાગ્ય એટલે કોનું કમભાગ્ય? દેશની સામાન્ય જનતાનું જ કે બીજા કોઈનું?

હકારાત્મક માન્યતાઓ અને નકારાત્મક માન્યતાઓ

(આ પોસ્ટ ૩૦ ઓગસ્ટે કાગળ ઉપર લખી હતી, અહિં અક્ષરાંકન કરવામાં મોડું થયું છે પણ એ દિવસના જ શબ્દોમાં જ લખું છું.)

ગઈકાલના ડેઇલી મેલમાં અને પરમ દિવસના મેટ્રોમાં સમાચાર વાંચ્યા કે ASDAએ અત્યાર (૨૮-૨૯ ઓગસ્ટ)થી Santa’s Grotto બનાવી દીધો છે, નાતાલના ૧૧૭ દિવસ પહેલાથી. આ સમાચાર એક ટિકાની જેમ પ્રસિદ્ધ થયા હતા. લોકોને મૂળ વાંધો તો એ વાતનો હતો કે બાળકો સાન્તાક્લોસને જોઈને નાતાલ સંબંધી ભેટોની ખરીદી કરાવશે અને અત્યારે જ્યાં લોકો પાસે પૈસા નથી, મંદીનો માહોલ છે ત્યારે વધુ ખર્ચો થશે.

પણ એ સમાચારમાં એક રસપ્રદ વાત ધ્યાન પર આવી કે લોકોનું કહેવું છે કે, “બાળકોને ખબર પડી જશે કે સાન્તાક્લોસ હકિકતમાં અસ્તિત્વ ધરાવતા નથી” (Others say Asda’s campaign gives children the impression Santa isn’t real.-Metro, ૨૮-૦૮-૨૦૧૨ અને ‘spoiled the festive period by conveying to children that Santa may not be real’ and that they ‘take away their child’s innocence’-Daily Mail, ૨૯-૦૮-૨૦૧૨). કેટલી સરસ વાત છે? એક વિકસિત દેશના લોકો જાણે છે કે સાન્તા જેવું કશું નથી છતાં નાની ઉંમરના બાળકોને એમાં વિશ્વાસ મુકતા શિખવે છે. અને એટલું જ નહિ, તેમનો એ વિશ્વાસ કોઈ રીતે ભાગી ન જાય તેની પણ કાળજી રાખે છે. આ એ જ લોકો છે જે બાળકને અંધારાની, ભૂતની, બાવાની કે પોલીસની કૃત્રિમ બીક લગાડવાના સખત વિરોધી છે, ફક્ત ડર ના બેસાડવો એ હેતુ થી જ નહિ, પણ બાળકને વાસ્તવિકતાથી અવગત કરાવવું જોઈએ એ હેતુથી પણ.

રસની વાત એ છે કે તેઓ તદ્દન ખોટા નથી. બાળકને સાન્તા આનંદ આપે છે. જે વાત કોઈને આનંદ આપતી હોય, સાંત્વના આપતી હોય, તે ભલે ને કાલ્પનિક હોય તેને યથાવત રહેવા દેવી જોઈએ. જ્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો, જેમને પોતાને ખાતરી નથી કે ભગવાન નથી જ, તે એમની અંગત માન્યતા જ હોવા છતાં ઢોલ નગારા લઈને લોકોને એમ ઠસાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે કે ભગવાન જેવું કશું નથી. અને એ પણ એવા લોકોને ઠસાવવાનું કે જે ભગવાનનું અસ્તિત્વ છે તેમ માનીને રાજી થતા હોય, પોતાનું દુ:ખ બે ધડી વિસરી જતા હોય કે આશાના સહારે જીવનની વિષમ ઘડીઓ વ્યતિત કરતા હોય છે. વાત છે હકારાત્મક માન્યતાઓની અને નકારાત્મક માન્યતાઓની. જેમ અહિંના માતા-પિતાઓ માને છે બાળકને તેની બાલ્યાવસ્થામાં સાન્તા પર વિશ્વાર રાખવા દેવું અને તેને સાન્તાના નામે ભેટ-સોગાદો પણ આપવી, એ રીતે આપણે ભલે નાસ્તિક હોઈએ કે ભલે રેશનલ હોઈએ શું આપણે અન્ય આસ્તિક કે ઇરેશનલ લોકોને બક્ષી ના શકીએ?

વડીલ બ્લૉગર મિત્ર દીપકભાઈ ધોળકીયાએ રામાયણ અને કૃષ્ણની દ્વારકા એ બે વિષય પર પુરાતત્વિય શોધો પરથી લખાયેલા પુસ્તકના આધારે બે લેખમાળાઓ લખી. તેની શરૂઆતમાં તેમણે લખ્યું હતું કે “અહીં રામની નહીં – રામાયણની રચના, એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે.” આ એક ડિસ્ક્લેમર હતું. આ જ વાત તેઓએ વારંવાર આ લેખો પરની ચર્ચામાં પણ કહી. છેલ્લ લેખ પરની એક ચર્ચાના જવાબમાં તેઓ લખે છે કે “એટલે કૃષ્ણને કે રામને ભગવાનપદેથી પદભ્ર્ષ્ટ કરવાનો પુરાતત્વનો ઇરાદો નથી. આમ પણ કૃષ્ણ મારૂં પ્રિય પાત્ર છે અને એ ન હોય તો એમને શોધી કાઢવા પણ તૈયાર થાઉં. ભાલકા તીર્થ પાસે પુરાતત્વીય ખોદકામમાં પારાધિના તીરથી ઘાયલ કૃષ્ણનુ અશ્મિ આખું ને આખું મળી આવે તો -એવી ઇચ્છા રહી છે.” મને તો આ ખરી ખેલદિલી લાગે છે, જે બહુ ઓછા લોકો બતાવી શકતા હોય છે. જો સહુકોઈ આ પ્રકારની ખેલદિલી બતાવે તો એક સુહૃદયી સમાજનું નિર્માણ થાય જ્યાં ધર્મના નામે ય્દ્ધો થતા બંધ થઈ જાય તેમ મારૂં માનવું છે.

ચાન્સ કે ઈમાનદારી (૩)?

આગળની બે પોસ્ટ્સની શ્રેણીની જ આ ત્રીજી અને હાલ પુરતી છેલ્લી પોસ્ટ છે. જો કે આ અનુભવ પહેલાના બે કરતાં જુદો છે, પણ ભળતો સળતો હોવાથી તે જ શ્રેણીમાં સમાવી લીધો છે.

‘સૃષ્ટિ’માં કામ કરતો ત્યારે સૌરાષ્ટ્ર બાજુના કોઈક ગામડાની મુલાકાત લઈને ઘેર પાછા જવા માટે એસ.ટી.ની બસમાં બેઠો હતો. ભાડું ૪૯ કે ૫૯ રૂપિયા જેવું હતું. કંડક્ટરને પૈસા આપ્યાં એટલે એણે સ્વાભાવિક રીતે જ મોટી નોટો પાછી આપીને કહ્યું કે “એક રૂપિયો છુટો નથી, આવે એટલે આપું છું.” હજુ તો મુસાફરી શરૂ જ થઈ હતી અને ઓછામાં ઓછા બે અઢી કલાકના અંતરમાં ૩-૪ સ્ટોપ અને એક ડ્રાઈવર-કંડક્ટરની મરજીનું નાસ્તા સ્ટોપ આવવાની ખાતરી હતી એટલે કંડક્ટરને મારો એક રૂપિયો ક્યાંકથી છુટો મળી જ જશે તેમ વિશ્વાસ રાખીને બેઠો. પહેલા એક-બે સ્ટોપ પરથી મુસાફરો ચઢ્યા અને બધાની ટિકીટ અપાઈ ગઈ એટલે મેં કંડક્ટરને મારો રૂપિયો યાદ અપાવ્યો, પણ તેણે મોઢું બગાડીને “અરે યાર નથી આવ્યો, કીધુંને કે આવે એટલે આપીશ” કહીને પોતાનો જીવ છોડાવ્યો. અને પછી તો એને ખબર પડી ગઈ કે હું તેની છાલ નહી છોડું, એટલે તેણે મારી સામે નજર મેળવવાનું જ ટાળવા માંડ્યું. હું સમજી ગયો હતો કે મારો રૂપિયો પાછો મળવાનો નથી.

બસ સરખેજ થઈને આવી એટલે મેં અંજલી સિનેમા પાસે ઉતરી જવાનું નક્કી કર્યું. એપીએમસીના થોડાક પહેલેથી ઉભો થઈ ગયો અને કંડક્ટર પાસે પહોંચીને એક રૂપિયો માંગ્યો, તેણે એ જ સ્વાભાવિક રકઝક ચાલુ રાખી. અને જાણે રૂપિયો પાછો માંગવો તે મારી ભૂલ હોય તેમ મને ખખડાવવા માંડ્યો કે, ક્યાં ક્યાંથી હેંડ્યા આવે છે, આવા સારા કપડા પહેરીને એક રૂપિયા માટે મરે છે, અમારે તો જાણે એમના રૂપિયામાં બંગલા બંધાઈ જવાના હોય, વગેરે વગેરે. વાસણા બસ સ્ટોપ આવતાં બીજા થોડાઘણા લોકો ઉતરવા માટે ઉભા થયા અને હું બારણામાં ઉભો રહી ગયો. કંડક્ટરને કીધું કે જ્યાં સુધી મારો રૂપિયો પાછો નહી મળે ત્યાં સુધી હું કોઈને ઉતરવા નહી દઉં. તેની પાસે છુટા ના હોય તો હું ચાર રુપિયા છુટા આપું તે મને પાંચનો સિક્કો આપે. પણ તે હવે નાગાઇ ઉપર ઉતરી આવ્યો હતો. કહે કે, “મારી પાસે પાંચનો સિક્કો પણ નથી. હું ટિકીટની પાછળ લખી આપું એસ.ટી. સ્ટેન્ડ પર આવીને મેઇન કાઉન્ટર પરથી લઈ જજો.”

હું ટસનો મસ ના થયો. લોકો ઉતરવા માટે રાહ જોઈને ઉભા હતા અને બસ આગળ વધી શકે તેમ નહોતી. ક્લાઇમેક્સ હવે આવ્યો. મને જતું કે ઉભેલા લોકો કહેશે અને કંડક્ટરને ઝુક્યા વગર છુટકો નહી રહે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે લોકો પણ કંડક્ટરના સૂરમાં સૂર પુરાવીને બોલવા લાગ્યાં અને મને ગાળો દેવા માંડ્યા કે એક રૂપિયા માટે આટલો કજીયો કરું છું. મેં આખી બસ બાનમાં લીધી છે, વગેરે વગેરે. છેવટે મારે પ્રજામત સામે ઝુકાવવું પડ્યું અને કંડક્ટર પાસે ટિકીટ પાછળ લખાવ્યું, તેનો બીલ્લા નંબર લખાવ્યો અને ખાડિયા જવાનું થયું ત્યારે રસ્તામાં એસટી સ્ટેન્ડેથી મારો રૂપિયો પાછો લેતો આવ્યો અને તે કંડક્ટર સામે ફરિયાદ પણ નોંધાવતો આવ્યો.

પરમ દિવસે દીપકભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ત્યાં સુરેશભાઈની કોમેન્ટ હતી કે પ્રજાને તેની લાયકાત પ્રમાણે જ મળે છે. જે મારા આ અનુભવ પરથી પણ સાબીત થાય છે. આપણી પ્રજા એટલી બધી તો બેઈમાન થઈ ગઈ છે કે બેઈમાની તેમના મગજમાં ઘુસી ગઈ છે. જે પ્રજા પોતે જ બેઈમાન હોય તે અન્યને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાની હતી. આપણી પ્રજાની લાયકાત તો ઘણી ઉંચી છે, પણ તેમના મગજ એટલા દૂષિત થઈ ગયાં છે કે તેમને પોતાનો હક્ક માંગવામાં શરમ આવે છે અને કોઈક હક્ક માંગતું હોય તો તે તેમને દોષી જણાય છે. તેમની પાસે સમયનો અભાવ છે, એટલે એક રૂપિયો જતો કરીને બસમાંથી ઉતરી જવાની ઉતાવળ હોય છે, અને આડોશીપાડોશી શું કહેશે એવી હિનતાથી પીડાતા પોતાનો હક્ક જતો કરીને પણ ગરદન ટટ્ટાર રાખીને ચાલશે.

શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

રામકહાણી

હમણાં કોઈક કારણે મારી દુર્મતિને વશ થઈને હું રેલ્વેની ઓનલાઈન બુકિંગ સાઈટ http://www.irctc.co.in પર લૉગ-ઈન થવા ગયો. સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા (હવે આ શું એ મારે ગુજરાતી બ્લૉગર્સને કહેવાની જરૂર લાગતી નથિ, કે છે?) દાખલ કર્યા પછી, બારણું તો ખુલ્યું પણ મને ઊમરે જ રોકી દીધો. અને પાછું કંઈક ચલિત ખરાઈ આંકડા (મોબાઈલ વેરિફિકેશન કોડ) એવું પુછવામાં આવ્યું. આપણને તો એ શું તેની જાણ હતી નહી. છેવડે નવા ખરાઈ આંકડા મંગાવવાની કડી પર ક્લિક કરીને મમ્મીને ફોન કર્યો (કેમકે મોબાઈલ નંબર ભારતનો જ આપવો પડે, એટલે મમ્મીનો નંબર આપેલો છે) કે તેમને કોઈ આંકડા ટૂંસંસે (SMS યાર) દ્વારા મળ્યા છે. જવાબ હતો ના. આપણે ફોન ચાલુ રાખીને જ ફરી એ આંકડા મોકલવાની વિજ્ઞપ્તિ કરી, પણ પરિણામ શૂન્ય. મમ્મીને અંગ્રેજી સંદેશા જોવામાં થોડી તકલીફ પડે, એટલે સંશયને સ્થાન નહી આપવાનું નક્કી કરીને મારી બહેન ધાત્રીના મોબાઈલ નંબર પર ખરાઈ આંકડા મોકલવાની ફેર વિજ્ઞપ્તિ કરી. પણ પરિણા હજુ પણ શૂન્ય. છેવટે હારી થાકીને તેમના જાળસ્થળ પર રહેલા ફરિયાદ નોંધાવો સ્થળે જઈને ફરિયાદનો વિપત્ર મોકલ્યો. સામે તરત જ ટિકિટ ક્રમાંક મળ્યો અને બાંહેધરી હતી કે ત્વરિત મારી સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે. આ બધું થયું દિનાંક ૧૨ ઓક્ટોબરે. હવે ખેલ શરૂ થયો. બીજે દિવસે મને વિપત્ર મળ્યો કે મેં મારા નોંધાવેલ વિપત્ર સરનામા સિવાયના અન્ય સરનામેથી ફરિયાદ નોંધાવી હતી, માટે મારે નવેસરથી ફરિયાદ નોંધાવેલા સરનામેથી વિપત્ર કરીને ફરિયાદ નોંધાવવી. રોજે એક વિપત્ર દ્વારા તેઓ મને કશુંકને કશુંક પુછતા રહ્યાં અને છેવટે ચોથા દિવસે મને કહેવામાં આવ્યું કે મારી નવી ગુપ્ત સંજ્ઞા ગોઠવીને મને મોકલવામાં આવશે. હું તો ખુરશીમાંથી ઉભો થઈ ગયો, કેમકે મારી ફરિયાદ ગુપ્તસંજ્ઞા બાબતે હતી જ નહી. તેમ કર્યા પછી પણ મને ઊમરેથી અંદર પ્રવેશવા દેવાશે તેની કોઈ બાંહેધરી નહોતી. છેવટે વિપત્રાચારનો નવો દૌર ચાલુ થયો અને મને જાણ કરવામાં આવી કે મારી ફરિયાદ લાગતા-વળગતા વિભાગને પ્રેષિત કરવામાં આવી છે અને તે લોકો મારા ચલિત નંબરની ખરાઈ કરવા માટે આંકડા મોકલશે. આ બધું થયું શુક્રવારે. ફરિયાદનો વિભાગ ૨૪ કલાક અને સાતે દિવસ ચાલુ હોય છે તેથી મને હતું કે મારી સમસ્યાનો ઉકેલ મોડામાં મોડો શનિ-રવીમાં તો આવી જ જશે.

પણ સોમવાર સુધી કશું હલ્યું નહી હોવાથી મેં છેવટે તેમના દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કર્યો. સદનસિબે કોલ જોડાઈ ગયો અને કોઈક સુહૃદયી બહેન સાથે વાત થઈ. તેમણે મારી ઘટતું કરી જોયું અને ફલિત થયું કે કોઈક તકનિકી કારણોને લીધે તેમની પ્રણાલી ટૂંસંસે મોકલી શકતી નથી અને તે લોકો હવે ફોન કરીને ખરાઈ કરશે અને તે બાદ મને વિપત્ર દ્વારા મારા ખરાઈ આંકડા મોકલવામાં આવશે. આ પછી મારે દરરોજ દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડતો અને તે લોકોએ મારી બહેનને ત્રણ વખત ફોન કર્યો. છેવટે ગુરૂવારે ૨૦ તારિખે મને તેમના ત્રીજા એક અધિકારીએ દુ:ખદ સંદેશો આપ્યો કે તેમણે ત્રણ વખત મારા ચલિત ક્રમાંક પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એક વખત અમે ફોન ઉપાડ્યો નહી, બીજી વખત અમે કાપી નાંખ્યો અને ત્રીજી વખત અમે તેમણે પુછેલા પ્રશ્નોના ઉત્તર ના આપી શક્યા. મેં ઉગ્રપણે આ ટિપ્પણીનો વિરોધ કર્યો. પરંતુ અધિકારીશ્રીને ઘરે જવાનો સમય થયો હોવાથી અને સંલગ્ન વિભાગના સહુ કર્મચારીઓ ઘરે જતા રહ્યાં હોવાથી તેઓ મને કોઈ રીતે મદદરૂપ નહી થઈ શકે તેમ અસહાયતા વ્યક્ત કરી. મને બીજે દિવસે મેં તેમના પહેલા જે અધિકારી સાથે વાત કરી હતી તેમની સાથે વાત કરવાનું જણાવીને તેમણે વિદાય લીધી. પણ જતાંજતાં મેં તેમને તે લોકોએ કરેલા બધાજ કોલ્સની તવારિખ આપી તાકિદ કરી હતી કે યોગ્ય પૂછપરછ કરીને બીજે દિવસે મારી ફરિયાદ તાજી કરે.

છેવટે શુક્રવારે ૨૧ તારિખે મેં તેમણે સુચવ્યા પ્રમાને બપોરે ૩ વાગ્યે ફોન કરીને તેમના અધિકારીશ્રી સાથે વાત કરવાની વિનંતિ કરી ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને મને ચલિત ખરાઈ આંકડા મારા નોંધાવેલ વિપત્ર સરનામા પર અડધા કલાકની અંદર મોકલી આપવામાં આવશે. જો કે આ ત્રીજો વાયદો હતો, એટલે આશા ઓછી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કશું કરી શકાય તેમ નહોતું. તેથી પરમ કૃપાળું પરમેશ્વરને પ્રાર્થના કરતો રહ્યો અને એકાદ કલાકમાં ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી કર્મચારીના હૃદયમાં કરૂણા પ્રગટાવી મને વિપત્ર દ્વારા સંદેશો પાઠવાવડાવ્યો. અને મારી દસ દિવસની આ રામકથાનો અંત આવ્યો.

મારા મનમાં ઉઠેલો સવાલ:
જે ભારતનું ટેકનિકલ જ્ઞાન દેશવિદેશની કસ્ટમર કેર સેવાઓ પુરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમકે અમારી બ્રિટિશ ટેલિકોમ (BT) ની લેન્ડલાઈન કોલની ગ્રાહક સેવા ભારતમાં છે, આ ઉપરાંત અનેક મોબાઈલ પ્રોવાઇડર્સના કોલ સેન્ટર્સ, સધર્ન રેલ્વે (યુકેની)ની વેબસાઈટ સપોર્ટ, વગેરે અનેક ટેકનિકલ ટીમ્સ ભારતમાં બેસીને સેવાઓ પુરી પાડે છે, તો પછી ભારતની જ કંપનીઓ કેમ એવી ગુણવત્તાની સેવા પુરી ના પાડી શકે?

ભગવદ્ ગીતા (૩.૧૪)

ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો ૧૪મો શ્લોક આ પ્રમાણે છે:

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ |
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞ: કર્મસમુદ્ભવઃ ||

જેનો સીધો સાદો અર્થ થાય છે:
બધા દેહધારી પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે (પોષણ પામે છે) અને અન્ન વરસાદ (પર્જન્ય)થી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે અને યજ્ઞ નિયત કર્મ કરવાથી થાય છે.

હવે તમને થતું હશે કે આજે વળી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા કેમ બેસી ગયો? અને તેમાં પણ કોઈ નહી અને આ શ્લોક? તો એનું કારણ એવું છે કે ગયા શુક્રવારે હું એક યુવાન ગોરા બ્રહ્મચારીને સાંભળવા ગયો હતો. તે ભગવન્નામના મહિમા પર પ્રવચન આપી રહ્યાં હતા. ભગવાનનું નામ સમુહમાં લઈએ તેને સંકિર્તન કહેવામાં આવે છે, અને તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે સંકિર્તન કરવું એ પણ એક યજ્ઞ છે, માટે ઘણી વખત ‘સંકિર્તન યજ્ઞ’ એવો મહાવરો વાપરવામાં આવે છે જે મેં પણ સાંભળ્યો છે. તો હવે મુદ્દાની વાત, તેમણે આ શ્લોકનું અર્થઘટન એવું કર્યું કે, યજ્ઞ એટલે સંકિર્તન, અને સંકિર્તન એટલે ભગવાનનું નામ. માટે, ભગવાનનું નામ લેવાથી (કે એનો જાપ કરવાથી) જ વરસાદ આવે છે, અને વરસાદથી અન્ન પાકે છે જેનાથી દરેક જીવોનું પાલન-પોષણ થાય છે. જો આપણે ભગવાનનું નામ નહી લઈએ તો વરસાદ નહી આવે અને દુકાળ પડશે. માટે ભગવાને કહ્યાં પ્રમાણે આપણે સંકિર્તન કરવું જોઈએ.

હવે આ આખા શ્લોકમાં ભગવાને સંકિર્તનની તો ક્યાંય વાત કરી જ નથી, અને ત્રીજા અધ્યાયમાં યજ્ઞ એટલે કે લાકડામાં ઘી અને હુતદ્રવ્ય હોમીને અગ્નિ રૂપે કરવામાં આવતાં યજ્ઞની જ વાત કરી રહ્યાં છે. તો પછી એમાં આ ભેળસેળ કરવાની ક્યાં જરૂર છે? હા, તમારે નામનો મહિમા ગાવો હોય તો ગાવને, પણ જે લોકો તમારામાં શ્રદ્ધા રાખીને આવે છે તેને એવું જ્ઞાન શું કામ આપવું કે જે તમને પણ પોતાને ખબર ના હોય? મનુસંહિતા (મનુસ્મૃતિ)ના તૃતિય અધ્યાયના ૭૪માં શ્લોકમાં પણ આ જ વાત કહી છે, પણ તદ્દન ઉલટા ક્રમમાં, એટલે કે તેમાં એમ કહ્યું છે કે…..

યજ્ઞમાં વ્યવસ્થિત રીતે હોમેલી આહુતિ, સૂર્ય સુધી પહોંચે છે, સૂર્યથી વરસાદ આવે છે, વરસાદભા અન્ન ઉપ્તન્ન થાય છે, માટે જ જીવ સંભવે છે (તે અન્નમાંથી પોષણ મેળવે છે).

આજે વિજ્ઞાન પણ સ્વિકારે છે કે યજ્ઞો કરવાથી એટલેકે કે અગ્નિ પ્રગટાવવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે વાદળ બાંધવામાં ખુબ મદદરૂપ થાય છે. હવે આ જ વાત વર્ષો પહેલા મનુસ્મૃતિમાં કહી છે, જેનો અર્થ એમ કરી શકાય કે તે સમયનું આપણું ભારતવાસીઓનું, આર્યોનું વિજ્ઞાન એટલું સચોટ હતું. મારી અન્ય પોસ્ટ કૃષ્ણ: ઇતિહાસ કે કલ્પના? પરથી એ તો ફલિત થાય છે જ કે આપણું ખગોળશાસ્ત્રનું જ્ઞાન કેટલું બળવત્તર હતું, શૂન્યની શોધ આપણે કરી, એકડાની પાછળ ૫૦ મીંડા સુધીની રકમો આપણે જાણતા હતાં, દશાંશ પધ્ધતિની શોધ પણ આપણી છે, અને વરસાદ, જીવની ઉત્પત્તિ, વનસ્પતિ અને પ્રાણી બંને સજીવ છે, જેવી અનેક વિજ્ઞાનની વાતો આપણે હજારો વર્ષોથી જાણીએ છીએ. તો પછી આવા ભવ્ય વારસામાં આવતી સાચી વાતોને આમ પોતાના સ્વાર્થ મુજબ શું કામ વાળવાની જરૂર પડે છે? ગીતામાં શું કહ્યું છે તેનું દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અર્થઘટન કરે છે અને કહે છે કે ગીતા તો ગુહ્ય જ્ઞાન છે, એનો સીધો અર્થ ના નીકળે તેના મર્મને જાણવો પડે. પણ શું કામ? જો એવું હોત તો ભગવાને અર્જુનને કાનમાં ના કીધી હોત ગીતા? છેક હસ્તિનાપુરમાં બેઠેલા સંજયને સંભળાય એટલે મોટેથી શું કામ કીધી?

આપણા હિંદુઓની આ જ તકલીફ છે, પોતે શાસ્ત્રો વાંચશે નહી અને પછી આવું અડધું પડધું જ્યાંથી સાંભળ્યું હોય તે બીજાઓ પાસે ઠપકારે રાખશે. પોતાને હિંદુ ગણાવનારામાંથી કેટલાએ ગીતા વાંચી હશે? અને ગીતા કદાચે વાંચી હોય તો તેથી આગળ શ્રીમદ્ ભાગવત કે પછી કોઈ વેદ વાંચ્યો હોય અને પછી પોતાને હિંદુ કહેવડાવતા હોય એવા કેટલા મળશે આપણને? આપણા ભાગવતમાં પણ આવી અનેક વાતો છે, જે આપણને ધર્મ પાલન કરતાં શીખવે છે. અને ધ્યાનથી વિચારીએ તો સમજી શકાય તેમ છે કે એમાં ક્યાંકને ક્યાંક વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે, જે ચોક્કસ પણે જ સંશોધનને અંતે ઉદભવ્યો હોય. આ વિષય પર એક નહી અનેક લેખો લખાય એવા છે. જેમ જેમ અવસર આવતો જશે તેમ તેમ ઉભરો ઠલવાતો જશે.

આના જેવીજ એક વાત કરવી છે ‘ગીતા સાર‘ની, જેના પર કદાચ ટૂંક સમયમાં એકાદો નાનકડો લેખ લખાશે એવું લાગે છે.

||જય શ્રી કૃષ્ણ||

ભારતીય અંક પ્રણાલી

આપણી પૌરાણિક/વેદિક અંક પ્રણાલી એટલી તો સક્ષમ છે કે સૌથી પહેલાં આપણા ગણિત શાસ્ત્રો અને વેદોમાં એકની પાછળ ૫૦ મીંડા આવે ત્યાં સુધીની સંખ્યાઓનાં નામ મળી આવે છે. આમાંથી અબજ, ખર્વ, નિખર્વ, વગેરેતો ખુબ જ સહજ રીતે સહુને જ્ઞાત છે. દલીલ કરીએ તો આધુનિક અંગ્રેજી મિલિયન/બિલિયન/ટ્રિલિયન વાળી અંક પ્રણાલીમાં તેથી પણ આગળ સુધી ગણતરી જાય છે, પણ તે અંક પ્રણાલી તદ્દન નવી છે. વાત છે આપણા ભવ્ય વારસાની.

પણ જ્યારે સમાચાર પત્રો (છાપાં) અને અન્ય પ્રચાર માધ્યમોને કરોડની ઉપર ગણતરી કરવાની હોય ત્યારે પાંગળા બની જતાં જોઉં છું ત્યારે દુ:ખ થાય છે. કેમકે જે જ્ઞાન આપણને અંગ્રેજોની ગુલામીને કારણે અને અંગ્રેજોએ મારી-મચડી નાંખેલા આપણા ઇતિહાસથી અભિભૂત થયેલા મારા જમાનાના પાઠ્યપુસ્તક રચયિતાઓએ નહોતું આપ્યું, અને જે જ્ઞાન કદાચ આજે પણ શાળાઓમાં નથી અપાતું, તે જ્ઞાન આપણને આ છાપાં, ટીવી ચેનલો, વગેરેમાંથી જ મળી રહે છે. જ્યારે છાપાંઓની વાત કરીએ છીએ ત્યારે એ જાણવું પણ અગત્યનું છે કે ગુજરાતી અખબાર જગતમાં અગ્રેસર ગણાય એવાં ત્રણ મુખ્ય છાપાંઓ ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર, આ ત્રણેયે ક્યારેકને ક્યારેક તો આપણને આ જ્ઞાન આપ્યું વહેચ્યું જ છે. જુઓ ગુજરાત સમાચારનો આ લેખ, સંદેશનો આ, અને દિવ્ય ભાસ્કરનો આ લેખ. હવે આ જ્ઞાન આપણને વહેંચ્યું તો શું તેમના પત્રકારો, સંપાદકો અને તંત્રીઓને નહીં વહેંચ્યું હોય? જનતાને આ બધું જણાવ્યા પછી પણ જ્યારે સરકારના ગોટાળાઓની સંખ્યા લખવાની આવે ત્યારે તે લોકો હજાર કરોડ અને દસ હજાર કરોડ જેવા કૃત્રિમ એકમો કેમ લખતા હશે તે સમજાતું નથી.

ટીવી ચેનલો તો ફક્ત પાશ્ચાત્ય જગત (યુએસએ અને યુકે, સોરી અમેરિકા અને લંડન)નું થુંકેલું ચાટવામાંથી ઉંચી નથી આવતી એટલે તેમની પાસેથી તો આવી અપેક્ષા રાખવી નિરર્થક છે. તેમનો તો ઘણી વખત પાડ માનું છું કે એ લોકોની એટલી મહેરબાની છે કે શક્ય તેટલો મિલિયન, બિલિયન વગેરેનો ઉપયોગ ટાળે છે.

છેલ્લો આક્રોશ આપણા શિક્ષણ જગત પર છે. શું શાળાઓમાં બાળકોને આ સંખ્યાઓ ભણાવવી એ આપણું કર્તવ્ય નથી? દર ૪-૫ વર્ષે પાઠ્ય પુસ્તકો બદલાય છે, કયા પાઠ્ય પુસ્તકમાં આ સબબનું શિક્ષણ આપવામાં આવ્યું છે આજ સુધી કોઈ કહી શકશે? આપણા લોકલાડીલા ન.મો. પણ ‘વાંચે ગુજરાત‘ જેવા અભિયાનો ચલાવે છે, પણ ‘સાચું ભણે ગુજરાત‘ જેવું અભિયાન ચલાવવાનો સમય હવે પાકી ગયો છે તેવું તે ક્યારે સમજશે? જ્યારે કેન્દ્રમાં જશે ત્યારે ‘સાચું ભણે ભારત‘ અભિયાન ચલાવવા માટે આ મુદ્દો તેમણે સાચવી રાખ્યો છે કે શુ?

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers