નવરો બેઠો નખ્ખોદ વાળે….
August 9, 2011 6 Comments
હું થોડા વખત પહેલાં વિચારતો હતો કે આ દેશમાં કેટકેટલી સમસ્યાઓ છે. પેટ્રોલના ભાવ ૩-૪ વર્ષમાં દોઢા કરતા વધુ થઈ ગયા છે. ઘી, તેલ, ખાંડ, લોટ જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લગભગ આ જ અરસામાં દોઢીથી બમણી મોંઘી થઈ ગઈ છે. બ્રેડ જેવો બ્રેડ મોંઘો થઈ ગયો છે. લોકો રોજે રોએ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારે ચુંટણી પહેલા આપેલા વચનોમાંથી ભાગ્યે જ કોઈક વચન પાળ્યું છે. બાકી હતું તે આ વર્ષથી યુનિવર્સિટીઓની ફીમાં પણ ધરખમ વધારો કરીને વાર્ષિક £ ૯,૦૦૦ જેટલી ફી ઝીંકવામાં આવી છે. આ બધા સંજોગોમાં મને એક જ વિચાર આવતો કે, આપણા દેશમાં તો કોઈક નાનું સરખું કારણ પણ હોય તો લોકો સડક પર ઉતરી આવે છે, અહીં કોઈ કશું કેમ કરતું નથી? ૩-૪ મહિના પહેલા જ્યારે વિદ્યાર્થીઓએ ફી વધારા સામે રેલી કાઢી અને તેમાં પોતાનું વરવું રૂપ દેખાડ્યું, જેની ઝપટે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પણ ચઢી ગયા હતાં, ત્યારે થયું કે ચાલો, આ દેશમાં પણ લોકો સાવ નપાવટ નથી, તેમનું લોહી પણ ક્યારેક તો ઉકળે છે. પણ છતાં સવાલ એ જ રહેતો કે આવા આંદોલન એકાદ બે દિવસથી વધારે ચાલતા નથી અને પછી સહુ કોઈ સરકારે કરેલા નિર્ણયોને સ્વિકારી લે છે. આ દેશમાં શિક્ષણનું સ્તર આમે નીચું છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જી.સી.એસ.સી કે એ-લેવલ (આપણું એસ.એસ.સી. અને એચ.એસ.સી.) કરીને ભણતર છોડી દે છે. જ્યારે હવે આટલી આકરી ફી વધ્યા પછી, કેટલા લોકોને ડિગ્રી લેવી પોસાશે? પણ છતાં, એ આંદોલન પણ એક-બે રેલીઓ થઈને શાંત થઈ ગયું.
પેટ્રોલના ભાવ વધારા અને મોંઘવારી તથા બેરોજગારી સામે તો કોઈ આંદોલનના એંધાણ જ ના દેખાતા. અને હું ચકરાવે ચઢી જતો, કે આવું કેમ? સામાન્ય રીતે જાગૃત અને શિક્ષિત ગણાતો આ સમાજ આમ ગુંટણીયા કેમ ટેકવી દે છે? ત્યારે મને એક જ જવાબ દેખાતો, કે આપણા દેશમાં છાશવારે આંદોલનો થાય છે, તોફાનો-રમખાણો થાય છે, કેમકે લોકોની પાસે કામ નથી. આમદની નથી, અને નવરો બેઠો નખ્ખોદ વાળેના ન્યારે લોકો આવું કોઈક બહાનું મળતા ઝંપલાવી દેતા હોય છે. જ્યારે આ દેશમાં સહુની પાસે કામ છે, લોકો એટલું કમાય છે કે આ દેશમાં જેની પાસે અઠવાડિયે ૫૦ પાઉંડ ખિસ્સ ખર્ચીના હોય તેની ગણતરી ગરિબમાં થાય. હવે આટલા સમૃદ્ધ દેશમાં ગમે તેટલી મોંઘવારી વધે, કોને પડી હોય આંદોલનો કરવાની? જે કમાય છે તે સુખી છે, અને નથી કમાતા તે વધુ સુખી છે, કેમકે તેઓ સરકારી જમાઈઓ છે. સરકાર તેમને રહેવા ઘર, ખાવા-પીવા માટે દર અઠવાડિયે બેકારી ભથ્થુ, બાળકોના ભરણપોષણ માટે ભથ્થા આપીને, તેમની બોલતી બંધ કરી દે છે. તો પછી આંદોલનો કરવા નિકળે કોણં? જે સાવ ગરિબ છે, તે દારૂના અને ડ્રગ્સના નશામાંથી નવરો નથી પડતો. અને હું આવું વિચારીને પાછૂ ફરી વિચારમાં પડી જતો કે, શું મારા આવા વિચારો સાચા છે? પણ શનિવારથી મારા આ વિચારો સાચા હોવાની પ્રતિતીરૂપ ઘટનાઓ ઘટવા માંડી અને આજે સોમવાર થતાં-થતાં તો મારી આ માન્યતા દૃઢ બની ગઈ.
શનિવારથી લંડનમાં તોફાનો શરૂ થઈ ગયા છે. રવિવારે તો એમ લાગતું હતું કે કાબેલ પોલીસ અને ઠેરઠેર ગોઠવાયેલા સી.સી.ટીવી કેમેરાના ડરથી લૂંટફાટ કરતા અને નુકસાન કરી રહેલા તત્વો શમી જશે. પણ આજે દિવસભર એક પછી એક એમ અનેક વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે. ગુરૂવારે પોલીસે ટોટનમ (tottenham)માં એક કાળા ડ્રગ ડિલરને ઠાર માર્યો તેના વિરોધમાં શનિવારે નિકળેલી રેલી હિંસક બની, અને ટોટનમ ટાઉન્સેન્ટરની દૂકાનો લૂંટી, અનેકમાં તોડફોડ કરી અને આગ ચાંપી. જે વ્યક્તિ પોલીસની ગોળીનો શિકાર બની હતી તે પોતે પોલીસની સાથે ઝપાઝપીમાં મરી ગઈ. માર્ક ડગન નામનો આ શખ્સ કોકેઇનનો દલાલ હતો, અને પોલીસ ઓપરેશન ટ્રાઇડન્ટ (ડ્રગ્સ ડિલર્સ અને યુઝર્સ માટે ચલાવાતો કાર્યક્રમ)ના ભાગરૂપે તેની ધરપકડ કરવા ગઈ હતી, જે દરમ્યા આ માણસે પોતાની પાસેથી પિસ્તોલ કાઢીને કદાચ પોલીસને ધમકી આપી, અને કોઈક કારણે પોલીસે તેને ગોળી મારીને હણી નાંખ્યો. આ વાતનો પ્રત્યાઘાત કાળી જનતાએ (માફ કરજો, મને અશ્વેત કે શ્યામ જેવા હલકા શબ્દો વાપરવા કરતાં, કાળા, ગોરા જેવા શબ્દો વધુ ઉપયુક્ત લાગે છે, માટે હું તેનો જ ઉપયોગ કરીશ. મારા ઉપર જાતિવાદનો આરોપ લાગતો હોય તો ભલે લાગે) હિંસક તોફાનો દ્વારા આપ્યો. શનિવારે ટોટનમ, વુડગ્રિન, એનફિલ્ડ જેવા ઉત્તર લંડનના વિસ્તારોમાં રમખાણો થયા હતાં. રવિવારે પણ છૂટા-છવાયા છમકલા થયાં. પણ આજે બપોર પછી એક-એક કરીને કાળી પ્રજાની બહુમતિ હોય તેવા લડનના લગભગ દરેક વિસ્તારો, જેમકે બ્રિક્સ્ટન, રોમફર્ડ, હેકની, લુઇશમ, ક્રોયડન, વગેરેમાં પણ હિંસા અને રમખાણો ચાલું થઈ ગયા અને આ દરેક જગ્યાએ લૂંટફાટ, હિંસા અને આગચંપીના બનાવો નોંધાયા.
આવું કેમ થયું? એના જવાબમાં એકતો પહેલું કારણ બેરોજગારી, ડ્રગ્સ, અને આફ્રિકા તથા કેરેબિયન દેશોમાંથી આશ્રિત તરિકે આવીને રહેલી પ્રજાની રફ લાઇફસ્ટાઈલ જવાબદાર છે. મારા મતે તો સૌથી મોટું કારણ બેરોજગારી છે. નવરા બેઠેલા લોકો શું કરે? અને તેમાં પણ અધુરામાં પુરૂં, આ દેશ મૂળ રંગભેદની નીતિવાળા લોકોને. અહીંની પોલીસ પણ કાંઈક અંશે તો જાતિવાદી ખરીજ. હા, કાળી પ્રજા એકદંરે વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય છે તે વાત સાચી, પણ પોલીસ પણ તેમને અને એશિયનો (પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીય મૂળના લોકો)ને વધુ ટાર્ગેટ બનાવતી હોય. અહીંના લગભગ દરેક લોકોમાં આ રંગભેદ તો જોવા મળે જ. આ ભેદભાવથી અકળાયેલી આ કાળી પ્રજાએ જે કાળોકેર વર્તાવવા માંડ્યો છે, તેનું શું પરિણામ આવશે અને કાલે શું થશે તેની ખબર પડતી નથી.
જે હોય તે, પણ આના પરથી લાગે છે કે, પોલીસતંત્ર અને વહિવટી માળખું ગમે તેટલું સુદૃઢ હોય જ્યારે જનતા વિફરે ત્યારે તેનું કશું નથી ચાલતું.



આપના પ્રતિભાવ