વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ

તમને સૌને વિકિસ્રોતની પહેલી વરસગાંઠમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે!

મોટાભાગના લોકોએ આ શબ્દ-વિકિસ્રોત, હવે તો સાંભળ્યો જ હશે. જેમણે ના સાંભળ્યો હોય તેમણે વિકિપીડિયા તો સાંભળ્યો જ હોવો જોઈએ. શક્ય છે કે મારા અને અશોકભાઈ જેવા બીજા ડઝનેકથી પણ વધુ સ્વયંસેવકોના પ્રયાસો તમને વિદિત ન હોય. વિકિસ્રોત એ એક એવું જાળસ્થળ (વેબસાઇટ) છે જેમાં તમને ગુજરાતી સાહિત્ય વાંચવા મળશે. હવે તમે પૂછશો કે તેમાં શું ધાડ મારી? બ્લૉગજગતમાં ૮૦ ટકા બ્લૉગો સાહિત્ય જ પિરસે છે. તો મારા ભાઈ કે બહેન કે પછી અન્ય (હા, આજકાલ આ અન્યનો ઉલ્લેખ અલગથી કરવો પડે એવું થઈ ગયું છે. અમારા આ દેશમાં ઘણા ફોર્મમાં જાતિમાં પુરુષ, સ્ત્રી, ઉભયલિંગી અને ગુપ્ત એમ ચાર પર્યાયો હોય છે), એ સાહિત્ય કે જે રોજની એક કૃતિ જેટલા ઝડપી દરે રચાતું હોય અને વાંચ્યા પછીની દસમી મિનિટે વિસરાઈ જતું હોય તે સાહિત્યની વાત નથી. વિકિસ્રોત પર તમને નામી સાહિત્યકારોનું સાહિત્ય મુક્તપણે માણવા મળશે. તમને ખબર છે કે ગાંધીજીએ કેટલા પુસ્તકો લખ્યા છે? ઝવેરચંદ મેઘાણીએ વ્રતકથાઓ પણ લખી છે? ભદ્રંભદ્ર વિષે તો સૌને જાણ હશે જ, પણ શું તમે વાંચ્યું છે? આ ભદ્રંભદ્ર, ગાંધીજીના તમે જાણતા હોવ તેવા અને ન જાણતા હોવ તેવા, મેઘાણીની નવલિકાઓ ઉપરાંત વ્રતકથાઓ, કલાપીની કવિતાઓ ઉપરાંત કાશ્મીરનું પ્રવાસ વર્ણન, વગેરે બધું તમારે વાંચવું હોય તો શું તમને હાથવગું છે? જવાબ છે, હા! જી હા, વિકિસોત પર મારા તમારા જેવા જ સામાન્ય માણસો આપણી માતૃભાષાની સેવા અને સંવર્ધનના હેતુથી એ બધા પુસ્તકો ટાઇપ કરે છે જેથી તમે વાંચી શકો, આપણી આવનારી પેઢીઓ વાંચી શકે. તો આ એ વિકિસ્રોતની વાત છે.

આ વિકિસ્રોતનો જન્મ ગયા વર્ષે આ મહિનામાં થયો હતો. ગુજરાતી ભાષામાં વિકિસ્રોત હોવું જોઈએ એવો વિચાર માર્ચ ૨૦૦૯ પહેલા આવ્યો હતો અને તે સમયે વિકિપીડિયા પર સક્રિય એવા અશોકભાઈ, જીતેન્દ્રસિંહજી, સુશાંતભાઈ, મહર્ષિભાઈ અને સતિષભાઈ ઉપરાંત અન્ય મિત્રોએ એ વિચારમાં પોતાનું સમર્થન ઉમેરતા અમે માર્ચ ૨૦૦૯માં એ અરજી કરી હતી જેનો નિવેડો હજુ ગયા વર્ષે આવ્યો. અને એટલે જે દિવસે ગુજરાતીમાં વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું તે તેનો જન્મ દિવસ. આ પવિત્ર મંગલકારી દિવસ હતો ૨૭ માર્ચ ૨૦૧૨નો. આ વર્ષે જોગાનુજોગે હું તે દિવસની આસપાસના સમય દરમ્યાન ભારતમાં છું એટલે અમે લોકોએ (વિકિસ્રોત અને વિકિપીડિયાના મિત્રોએ) ભેગા થઈને આ પ્રથમ વર્ષગાંઠની ધામધુમથી ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે. વળી સોનામાં સુગંધ ભળે તેમ, રૂપાયતન કે જે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા નરસિંહ મહેતા પુરસ્કારની યજમાન સંસ્થા છે, તેણે અમારી આ ઉજવણી પોતાને આંગણે કરવા માટે રાજીપો દર્શાવ્યો. ૨૭ માર્ચને દિવસે આ વર્ષે ધુળેટી હોવાથી, અમે ઉજવણી રવિવારે કરવાનું નક્કી કર્યું છે.

૩૧ માર્ચની સવારે ૧૦થી ૧ દરમ્યાન ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આવેલી રૂપાયતન આશ્રમશાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધરંગી કાર્યક્રમનું આયોજન છે. કાર્યક્રમની રૂપરેખા અહિં જોઈ શકાશે. તમને સૌ વાંચકોને આ કાર્યક્રમમાં આવવા માટેનું આગ્રહભર્યું આમંત્રણ છે. અને હા, ગિફ્ટ અને ચાંલા પ્રથા બંધ છે, એટલે ખિસ્સાને ખાસ ભાર પડવાનો નથી, તો જરૂર આવો. તમારા આવવાની જાણ અમને ઉપસ્થિતિના પૃષ્ઠ પર કરશો જેથી અમે તમારી આગતા-સ્વાગતાની તૈયારીઓ સુપેરે કરી શકીએ.

આ ઉપરાંત ૨૯ માર્ચે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં પણ વિકિસ્રોત પર એક વક્તવ્યનું આયોજન કર્યું છે. જેની વિગતો ટૂંક સમયમાં આપીશ અને હા, જો તમે ગુજરાતમાં ન હોતા મુંબઈમાં હોવ તો ૬ એપ્રિલે બોરીવલીમાં આવેલા સાંઈ મંદિરના મેડે ‘ઝરુખો’ની માસિક બેઠકમાં પણ હું અને સુશાંતભાઈ “ગુજરાતી સાહિત્યપ્રસારની નવી દિશા ..વિકિપીડિયા અને વિકિસ્રોત” વિષય પર વાર્તાલાપ કરવાના છીએ.

આ બધા જ કાર્યક્રમોમાં સૌને સહર્ષ આમંત્રું છું! અને તમારા કોઈ ઓળખીતા પાળખીતા, સગા, સ્નેહી, વિકિસ્રોત અને વિકિપીડીયાની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય કે તે વિષે જાણવા માંગતા હોય તો તેમને પણ જાણ કરશો. તો મળીએ રૂબરૂમાં.

સાત્વિક ૨૦૧૧

આજે કાર્તિકભાઈના બ્લૉગ પર આ પોસ્ટ વાંચીને ભૂતકાળના એ દિવસોની યાદ તાજી થઈ ગઈ જ્યારે અમે આ સાત્વિક ફુડ ફેસ્ટિવલનું આયોજન કરતાં હતાં. આ ફેસ્ટિવલના આયોજન પાછળની પૃષ્ઠભૂમિ જોઈએ તો, સૃષ્ટિ એક સેવાભાવી સંસ્થા છે, જે અમદાવાદના આઇ.આઇ.એમ.ના પ્રોફેસર અનિલ ગુપ્તા દ્વારા સ્થાપવામાં આવી હતી. તે મૂળ ગુજરાતનાં ખૂણે-ખાંચરે પથરાયેલા એવા નાનાં ખેડૂતો, કારીગરો અને વ્યક્તિઓ માટે કામ કરે છે જેમણે પોતાની કોઠાસૂઝથી કાંઈક નવિન કર્યું હોય. સૃષ્ટિ સંસ્થાનું નેટવર્ક આખા ગુજરાતમાં ફેલાયેલું છે જેમાં મોટાભાગની ગ્રામ વિદ્યાપીઠોનો સમાવેશ થઈ જાય છે. સૃષ્ટિના પોતાના ક્ષેત્રિય શોધકો (ફિલ્ડ વર્કર્સ) અને અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ ગામે ગામ જઈને આવા કોઠાસૂઝના કલાકારોને શોધી કાઢે છે. સૃષ્ટિ આવી વ્યક્તિઓને મદદ કરે છે તેમની કોઠાસૂઝને વ્યવસ્થિત ઓપ આપવામાં. વર્ષોની આવી શોધને પરિણામે અમારી આ સંસ્થા પાસે એક મોટો ડેટાબેઝ ભેગો થયો હતો જેમાં ખેડૂતો બિનરાસાયણિક પદ્ધતિથી (એક પ્રકારની ઓર્ગેનિક) ખેતી કરતા હોય તેમની માહિતી હતી.

સૃષ્ટિમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી હતી જેમાં અમે ખેડૂતોએ વિકસાવેલી જૈવિક ખેતી માટેની મૌલિક પાકરક્ષક દવાઓ અને પશુઓ માટેની વનસ્પતિ આધારિત દવાઓ પર સંશોધન કરીને તે ફોર્મ્યુલામાં મુલ્યવૃદ્ધિ કરવાનું કામ કરતાં. અને તેમની વિક્સાવેલી ક્રુડ ફોર્મમાં રહેલી ફોર્મ્યુલાને અમે આખરી ઓપ આપી માર્કેટમાં મુકી શકાય તેવા રૂપમાં લઈ જતાં. આમ સુઘટિત રીતે પ્રયોગસિદ્ધ ફોર્મ્યુલાના રાઈટ્સ અમે માર્કેટ લિડીંગ કંપનીઝને આપીને તેમાંથી મળતી રોયલ્ટી તે ફોર્મ્યુલા ડેવલપ કરવા માટે જે લોકોની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો હોય તે લોકોને વહેંચતા. એક વખત કોઈક મિટિંગ દરમ્યાન એવી ચર્ચા ચાલી કે જે લોકોએ આવી દવાઓ કે વૃદ્ધિવર્ધકો વિકસાવ્યા છે તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને અમે વધુ સંશોધન કરી રહ્યાં છીએ અને તેથી મળતાં નાણાંમાંથી તેમને તો લાભ થશે, પરંતુ એવા લોકોનું શું જેમણે લુપ્ત થતાં અનાજ-કઠોળની ખેતી કરતાં રહીને તેમને બચાવ્યાં છે, કે જે લોકો માર્કેટમાં ચાલતા ઓર્ગેનિક ફુડથી અજ્ઞાત હોવાં છતાં પણ બિનરાસાયણિક ખેતી કરી રહ્યાં છે? ત્યારે અચાનક જ વિચાર આવ્યો કે આપણે એવા ઓર્ગેનિક ઉત્પાદન કરતાં ખેડુતોને અમદાવાદ જેવા હબમાં અનૌપચરિક માર્કેટ પુરૂં પાડીએ. આની સાથે સાથે અમારા અન્ય એક પ્રોજેક્ટના ભાગરૂપે અમે ગામડાઓમાં વાનગી હરિફાઈઓ કરી હતી, તે ઉપરાંત દર છ મહિને યોજાતી અમારી શોધયાત્રા (પદયાત્રા)માં પણ અમે વાનગી હરિફાઈ યોજતાં તેનો ડેટાબેઝ પણ હતો. તો નિર્ણય લીધો કે અમદાવાદના લોકો ખાવાપીવાના શોખીન છે, તો ચાલો ફુડ ફેસ્ટિવલ કરીએ જેમાં આપણે આવી દેશી વાનગીઓ કે જે લુપ્ત થતાં આનાજમાંથિઇ બનતી હોય તે પિરસીએ અને સાથે સાથે અમુક શહેરમાં પ્રચલિત વાનગીઓ પણ પિરસીએ જે જૈવિક ખેતી દ્વારા પકવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવી હોય. આ વાત છે આજથી દસ વર્ષ પહેલાની.

કેમકે અમદાવાદમાં આ પ્રકારનો પહેલો ફુડ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યાં હતાં, અમને ખબર નહોતી કે કેવો પ્રતિસાદ મળશે. તેનું નામ શું રાખવું તે નક્કી કરવામાં પણ અમે ઘણી કસરત કરી હતી. ત્યારે તો ખબર પણ નહોતી કે અમે ૯ વર્ષ પછી પણ આ ફેસ્ટિવલ કરતાં હોઇશું. પણ પહેલો ફુડ ફેસ્ટિવલ હિટ ગયો, અને ફિડબેક ફોર્મ્સમાં ઘણા લોકોએ આવો ફેસ્ટિવલ દર વર્ષે કરવાની વાત કરી હતી, જેથી અમે બીજા વર્ષે પણ તેનું આયોજન કર્યું અને પ્રતિસાદ પહેલા વર્ષ કરતાં પણ વધુ સારો મળ્યો. અને એમ કરતાં કરતાં આ અમારી એક રેગ્યુલર ઇવેન્ટ બની ગઈ.

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ ફુડ ફેસ્ટિવલની સાથે સાથે અમે શહેરની નારીઓ માટે પણ વાનગી હરિફાઈ યોજીએ છીએ, જેમાં બિન પરંપરાગત સામગ્રી વાપરીને મહિલાઓ વાનગીઓ બનાવી લાવે. આજે ભલે સંસ્થાથી હજારો માઈલના અંતરે બેઠો છું, છતાં જે મેળાવડાના મૂળ આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી તે મેળાવડો હજુ આજે પણ યોજાતો જોઈને મન એવું તો હરખાઈ ઉઠે છે કે મારું બ્રેઇન ચાઇલ્ડ હજુ આજે પણ જીવિત છે. અને તેના સક્રિય આયોજનમાં ભાગ ના લઈ શકવાનો રંજ પણ થતો રહે છે.

આજનો શબ્દ

પણે કે પેણે!

આ અમારા અમદાવાદીઓમાં અને કદાચ ખાસ કરીને ખાડિયાવાસીઓમાં વપરાતો શબ્દ છે. જોકે હવે બહુ ચલણમાં રહ્યો નથી લાગતો. પાવલીની જેમ જ એ પણ ચલણમાંથી નીકળી ગયો છે. પણ છતાં, અમારા ખાડિયાવાસીઓ હજુ આ શબ્દ ભૂલ્યા નથી. મારા ઘરનો જ દાખલો લઉં તો, શેફાલી મણીનગરમાં ઉછરીને મોટી થઈ અને મારા સાસુ-સસરા મૂળ સાબરકાંઠાના, એટલે તેમના ઘરમાં આ શબ્દ જાણીતો નહી. પણ બંદા તો ખાડિયાનું પાણી એટલે આ શબ્દતો લોહીમાં વણાઈ ગયેલો.

મારો મિત્ર શેખર મરાઠી હતો, પડોશી અને ખાસ મિત્ર એટલે એની સાથે સારો એવો સમય હું વિતાવતો. તેને આ શબ્દથી બહુ હસવું આવતું. અને એણે મને ટોકી-ટોકીને તેનો પ્રયોગ કરતા બંધ કરી દીધો હતો. એ નાનપણના દિવસો હતા એટલે કોઈના પ્રભાવમાં આવીને આપણી સંસ્કૃતિ અને વારસો સહેલાઈથી ખોઈ બેસતા. પણ થોડા સમયથી ફરી પાછું આ શબ્દને પુનઃજીવિત કરવાનું મન થઈ રહ્યું છે એટલે જેમ ૮૦ના દાયકામાં યાદ રાખીને આ શબ્દ ના વપરાય તેની કાળજી લેતો તે જ રીતે આજકાલ ધ્યાન રાખીને આ શબ્દ વાપરવાનો આગ્રહ રાખું છું. આ ગાંડપણ સારૂં છે કે ખોટું તે ખબર નથી પણ મને એક શબ્દ પુનઃજીવિત કર્યાંનું સુખ મળે છે તેનાથી હું વંચિત રહેવા નથી માંગતો.

આપમાંથી કોઈએ આ શબ્દ વાપર્યો છે? સાંભળ્યો છે? કે તેનો અર્થ ખબર છે? ઈમાનદારીથી ભગવદ્ગોમંડલની મદદ લીધા વગર જણાવશો…

કૃષ્ણ અને રાધા

મારા મિત્ર અશોકભાઈ લખેલી પોસ્ટ ભણે નરસૈયો… મને ઓળખો છો? પર ચાલેલી ચર્ચાના પ્રતિભાવરૂપે મેં લખેલી કોમેન્ટ જે મારા તર્કો તરિકે મને સહજ રીતે ઉપલબ્ધ થઈ રહે તે માટે અહીં મુકું છું…

અશોકભાઈ, હું પણ દીપકભાઈ અને અન્ય વિદ્વાનો સાતેહ્ સહમત થઉં છું કે આ બે કે વધુ કૃષ્ણ હોવા જોઈએ. એનું કારણ મારો જાત અનુભવ છે. હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો, મારા આખા શરીરે પડીને વાગ્યાના ઘાના ડાઘા હજુ છે, પણ અત્યારે ૩૮ની ઉંમરે હું કોઈપણ જોખમ લેતાં, અરે એસ્સેલ વર્લ્ડની અમુક રાઈડ્સમાં બેસતાં પણ ડરું છું. અમે ખાડિયામાં પોળના એક છેડેથી શરૂ કરી બીજા છેડે છાપરાં કુદીને જતાં હતાં, અને અમુક જગ્યાએ ચાર માળની ઉંચાઈએ, ઢાળ વાળા છાપરા પર ૩-૫ ફિટનો ગેપ પણ કુદી જતાં, પણ આજે એ હિંમત ના કરી શકું. કોલેજમાં ખુબ રમુજી હતો હવે ગંભીર થઈ ગયો છું. મારા કોલેજના મિત્રો મળે છે તો ઘણી વખત કહે છે, કે તું એ ધવલ નથી. હું ઘણો ગુસ્સાવાળો પણ હતો, પણ શેફાલી મારા કરતા વધુ ગુસ્સાવાળી છે, એટલે કદાચ મારો ગુસ્સાવાળો સ્વભાવ પણ હવે ટક્યો નથી. જેણે મારો ગુસ્સો જોયો છે તે હંમેશા કહે છે કે આવો શાંત ધવલ તો હોઈ જ ના શકે. મારા મમ્મી હંમેશા કહે છે કે તું લગન પછી બદલાઈ ગયો છું. તો જો, મારી જ વાત કરું તો, નાનપણનો ખાડિયાનો તોફાની ધવલ, કોલેજનો ઉચ્છંખલ ધવલ, કોલેજ પછીનો અને લગન પહેલાનો મમ્મી પર ગુસ્સો કરનારો ધવલ, અને આજનો શાંત, જોખમ નહી ખેડનારો, ઠરેલ ધવલ. આ વચ્ચેના અનેક બીજા ધવલો હશે. માટે જો હું એક હોવા છતાં ચાર જણાતો હોઉં તો, કૃષ્ણ કેમ નહી? મારો કોલેજનો એક મિત્ર, ખુબ છેલબટાઉ, ૧૫ છોકરીઓ જોડે લફરા હશે. પડોશની ભાભીઓએ સાથે પણ તે રાસલીલા કરતો. પણ લગન થયાં, એક છોકરી થઈ, આજે તેના જેવો ચારિત્ર્યવાન કોઈ મને નથી દેખાતો. તો જે કૃષ્ણ લગ્ન પહેલા ગોપીઓ સાથે લીલાઓ કરતો હોય (રાધાને તો હજુ આપણે વચ્ચે લાવતાં જ નથી) તે રુક્મિણિ સાથે લગ્ન કરીને કેમ ઠરીયલ ના થઈ જાય? જેણે લગ્ન પહેલા નિષ્ફળ પ્રેમો કર્યા હશે તેને ખબર જ હશે કે લગ્નજીવનમાં હોળી ચાંપવી હોય તો જ પહેલાના લફરાઓને તાજા રખાય, શું કૃષ્ણને આપણે એટલો મુર્ખ માની લઈએ છીએ કે એની પાસેથી લગ્ન કર્યા પછી, દ્વારકાના રાજા બન્યા પછી પણ પોતાની ગોપીઓ સાથે રાસ રમવા જવાની અપેક્ષા રાખીએ? એ ઉપરાંત તે રાજા બન્યો હતો, રાજા અને ગોવાળના છોકરા વચ્ચે તો ભેદરેખા રાખવી જ જોઈએ ને? તે જ તેને કર્યું. બાળપણમાં બળીયા રાક્ષસોને મારતી વખતે કે કાળીનાગને નાથતી વખતે તેને પોતાના સિવાય અન્યોનો ખ્યાલ નહોતો, પણ મથુરાની ગાદી પર બેઠા પછી, જરાસંધના આક્રમણો સામે લડતી વખતે તેણે સમગ્ર મથુરાની પ્રજાનો વિચાર કરવાનો હતો, માટે જ તેણે એક સમયે લડત મુકીને દ્વારકા વસાવવાનું વધુ પસંદ કર્યું, કે જેથી હવે જેની જવાબદારી તેના શિરે હતી, તે પ્રજાનું ક્ષેમકુશળ સચવી શકે. કોઈપણ વ્યક્તિ જીવનમાં ઉંમર વધતાં બદલાતી જાય છે, એ રીતે તે પણ બદલાયો, અને માટે તેને એક કરતા વધુ ગણાવી શકીએ.

સાથે સાથે, એ વાત સાથે પણ સહમત છું કે સાહિત્યનો કૃષ્ણ, લીલાઓ કરતો કૃષ્ણ અને દ્વારકાનો કૃષ્ણ તદ્દન જૂદું વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કારણ એ પણ હોઈ શકે કે તેને રજૂકર્તાએ પોતાને ગમ્યાં તે ભાવો જ વધુ પ્રગટ કર્યાં હોય, પણ એનો અર્થ એવો પણ ના કરી શકીએ કે તે ફક્ત કલ્પનાઓ હતી. મારા પપ્પાના મિત્રો તેમને રે રીતે જાણતા હોય તેના કરતાં તદ્દન વિપરિત રીતે મારા કુટુંબના લોકો જાણતા હોય, અને તેમના કરતાં પણ જુરી રીતે અમે તેમના બાળકો અને તેમની પત્નિ તેમને જાણતી હોય. હવે તેમના મિત્રો તેમનું જીવનચરિત્ર લખે તો અલગ પાસાઓ પ્રમાને વર્ણન કરે, હું અલગ વર્ણન કરું અને મારા કાકા, મામા, ફોઈ માસા કાંઈક અલગ જ વર્ણન કરે. એવું છે આ બિચારા કૃષ્ણનું. એનું સદભાગ્ય એટલું કે હજુ કોઈએ તેની ઉપર પણ કાંઈ કામ નહી કરવાનો અને ગામને મારતા રહેવાનો આરોપ નથી મુક્યો. પણ તેથી મોટો આરોપ ઘમંડી હોવાનો તો મુકાઈ જ ગયો છે તેની ઉપર. ખેર, જેવી જેની માન્યતા.

હવે રાધા વિષે જોઈએ તો, રાધા ફક્ત જયદેવની કલ્પના હતી તેવું કદાપિ ના કહી શકીએ. કેમકે રાધાનો ઉલ્લેખ બ્રહ્મ વિવર્ત પુરાણ કે જે અઢાર મુખ્ય પુરાણો પૈકિનું એક છે તેમાં પણ છે અને ગર્ગ સંહિતા કે જેનો રચનાકાળ ૯૦૦થી ૫૦૦ ઇસ.પૂર્વેનો માનવામાં આવે છે તેમાં પણ છે (આવું અંગ્રેજી વિકિપીડિયા પરથી જાણવા મળ્યું). જયદેવનું ગીતગોવિંદ ૧૨મી સદીમાં રચવામાં આવ્યું છે, તેથી તેમના પ્રેરણાસ્ત્રોત તરિકે આપણે બ્રહ્મ વિવર્ત પુરાન અને ગર્ગ સંહિતાને ગણાવી શકીએ. હા, એવું કહી શકાય કે રાધાને કૃષ્ણ કરતાં ઉંમરમાં એટલી મોટી, પરણેલી વગેરે ચિતરવી તે તેમની કલ્પના હોઈ શકે, પણ રાધા એક પાત્ર તરિકે તદ્દન બનાવટી કલ્પના નથી, પણ વાસ્તવિકતા છે. કનૈયાલાલ મુનશીએ કૃષ્ણાવતાર નામે ૭ ભાગમાં કૃતિ રચી છે, તેમાં બધાંજ સાચા પાત્રો છે, પન ઘટનાઓ ઘણી કાલ્પનિક છે. એટલે તેમણે કૃષ્ણને સ્વાર્થી અને કપટી બતાવ્યા છે, કે તે સત્યભામાને ફક્ત સ્યામંતક મણી માટે પરણ્યા, એ ઘટના ક્યાંય ના જોવા મળતી હોય એનો અર્થ એવો તો ના કરી શકીએ કે સત્યભામા એ પાત્ર જ કાલ્પનિક અને ક.મા.મુનશીએ બનાવેલું છે. એવું જ રાધાનું પણ છે.

ભુપેન્દ્રભાઈ ઘણી વખત વધુપડતા કલ્પનાઓમાં વહી જાય છે અને તે કારને અતિશયોક્તિ કરી બેસે છે. ગીતગોવિંદ જેવી સુંદર રચનાને અને તેના ઉમદા કવિને પિડોફાઈલ કેવી રીતે ગણાવી શકીએ? તેમને ક્યાંય કૃષ્ણના જનનાંગોનું વર્ણન કર્યું છે? ક્યાંય કૃષ્ણ અને રાધાને સંભોગરત દર્શાવ્યા છે? જો એવું હોય તો કદાચ તેમને પિડોફાઈલ કહેવા વિશે વિચાર કરી શકીએ. તેથી વધુ, એટલા વર્ષો પહેલા યુવાવસ્થા અને કૌમાર્યવસ્થાની શું ઉંમર હતી તે આપણને ખ્યાલ છે? જો કોઈક બાળક ૧૦ વર્ષે કે ૧૪ વર્ષે કંસ જેવા રાજાને મારીને તેની ગાદીએ બેસી શકે તો તેને બાળક કહેવો કે પુખ્ત? તો તે ૧૪ વર્ષે મથુરાનું રાજ્ય સંભાળવા માટે પુખ્ત ગણાય તો જયદેવની રચનાઓમાં ૧૦-૧૨ વર્ષની ઉંમરના બાળકને તેનાથી એકાદ વર્ષ મોટી ઉંમરની કન્યા સાથે પ્રણય ખેલતો દર્શાવવામાં ક્યાંથી પિડોફાઈલ બની જવાયું? આપણા દાદાઓ પણ ૧૩-૧૪ વર્ષની ઉંમરે પરણતા હતાં, અંગ્રેજોના પ્રભાવથી આપણે ૧૮-૨૧ વર્ષની પુખ્ત વય મર્યાદા નક્કી કરી. પણ આજે પણ યુ.કે. જેવા દેશમાં ૧૨ વર્ષનો છોકરો ૧૪ વર્ષની છોકરીના બાળકનો પિતા હોવાનો દાવો કરે છે. છાપાઓ આ સમાચાર છાપે તો તેમની ઉપર પિડોફાઈલ હોવાનો આરોપ મુકી શકાય? કે પછી પેલી ૧૪ વર્ષની છોકરી પર પિડોફાઈલ હોવાનો આરોપ મુકવો? સમય, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાની પાકી જાણકારી મેળવ્યા વગર આવા અશિષ્ટ વિશેષણો કોઈના પણ માટે વાપરવા શોભનિય નથી એવું મારું માનવું છે. હું હંમેશા કહું છું તેમ જરૂરી નથી કે હું કાયમ સાચો હોઉં, અહિં પણ હું ખોટો હોઉં એવું શક્ય છે.

કૃષ્ણ: ઈતિહાસ કે કલ્પના? (Krishna: History or Myth?)

ઘણા સમય પહેલાં ડૉ. મનિષ પંડિતે બનાવેલું આ દસ્તાવેજી ચિત્ર જોયું હતું. જે ઘડીએ નહેરુ સેન્ટરમાંથી સ્વયં તેના રચયેતાની હાજરીમાં જોઈને અને તેમની સાથે ચર્ચા કરીને ઘરે જવા નીકળ્યો ત્યારે જ વિચાર્યું હતું કે આના પર તો પોસ્ટ લખવી જ જોઈએ. પણ મારા આળસુ સ્વભાવને કારણે અને કંઈક અંશે ક્યાંથી શરૂ કરૂ અને ક્યાં પૂરું કરીશ તે અસમંજસમાં આજ સુધી લખવાનો મેળ ના પડ્યો. છેલ્લા ૩-૪ દિવસથી મારા મિત્ર અશોકભાઈના મિત્ર ભુપેન્દ્રસિંહજીની હોળી તહેવાર પરની પોસ્ટ પર થતી ચર્ચાનો તંત મુકતાં છેલ્લે આજે સવારે મેં કશુંક લખ્યું અને નક્કી કર્યું કે હવે તો સમય આવીજ ગયો છે આ પોસ્ટ લખવાનો. જો આપ આ દસ્તાવેજી ચિત્ર જુઓ અને ક્યાંક મેં કરેલી વાત તથ્યથી અળગી લાગે તો મારું ધ્યાન દોરજો, કેમકે ઘણા વખત પહેલાં જોઈ હોવાથી અને ત્યારબાદ થોડું ઘણું વધુ સંશોધન કરતો રહ્યો હોવાને કારણે ક્યાંક ભેળસેળ થઈ હોય એવું શક્ય છે. ધ્યાને આવતાં જ સુધારી લઈશ.

ડૉ. મનિષ પંડિત પુણેમાં જન્મેલા ભારતીય મૂળનાં ડૉક્ટર છે જેઓ વ્યવસાયે ન્યૂક્લિઅર મેડિસિન ફિઝિશ્યન છે અને યુ.કે.માં ન્યૂક્લિઅર મેડિસિન વિષય ભણાવે છે. સ્વાભાવિક રીતે જ વિજ્ઞાન અને તે પણ આવાં ઊંડાં વિજ્ઞાનના વિદ્વાન હોવાથી તેમના બનાવેલા દસ્તાવેજી ચિત્રમાં શું હશે તે જાણવાની ઉત્કંઠા હતી અને તે કારણે જ પહેલેથી તેમણે બનાવેલી આ ફિલ્મ Krishna: History or Myth? જોવા જતાં પહેલાં તેના પર કશું સંશોધન કર્યું નહોતું. કોઈપણ જાતના પૂર્વગ્રહયુક્ત માનસ સાથે નહોતું જવું.

તેમણે ફિલ્મની શરૂઆતમાં થોડું વક્તવ્ય આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે નાનપણથી જ શાળામાં અને પાઠ્યપુસ્તકોમાં ભણતા આવ્યાં કે મહાભારત અને રામાયણ મહાકાવ્યો છે અને એજ ગ્રંથોનાં મહાનાયક પાત્રોને ઘરમાં ભગવાન કૃષ્ણ અને રામ તરિકે પૂજાતા જોતા આવ્યાં હતાં. હંમેશા મનમાં પ્રશ્ન રહેતો કે સાચું કોણ? વર્ષોની પરંપરા કે બુદ્ધિવાદીઓએ લખેલા પાઠ્ય પુસ્તકો. અને તે પ્રશ્નના ઉત્તરની શોધમાં આ ફિલ્મના નિર્માણનું આયોજન થયું. આ સિવાય પણ થોડું-ઘણું સંભાષણ કરીને ફિલ્મની શરૂઆત થઈ. આશરે અડધોએક કલાકની આ ટૂંકી ફિલ્મમાં તેમણે પુરાતત્ત્વિય પુરાવા (archaeology), ભાષાશાસ્ત્રીય (linguistics), લોકવાયકા (living tradition) અને ખગોળવિદ્યા (astronomy) એમ ચાર પાયારૂપ પુરાવાઓ રજુ કર્યાં છે. તેમાંથી સૌથી અગત્યનાં અને બુદ્ધિજીવીઓને ગળે ઉતરી શકે તેવા બે સ્ત્રોતો, પુરાતત્ત્વ અને ખગોળશાસ્ત્રનાં પુરાવાઓ ચાવી રૂપ ભાગ ભજવે છે.

દ્વારકામાં થયેલા ઉત્ખનનને તેમણે આ પુરાતત્ત્વનાં પુરાવાઓમાં શામેલ કર્યા છે, જે જોતા એક વાત સાબિત થાય છે કે દ્વારકા નગરી અસ્તિત્વમાં હતી, તે કોઈ કાલ્પનિક નગરી નથી. એટલું જ નહી, મહાભારતમાં જણાવ્યું છે તે મુજબ દ્વારકાના નગરવાસીઓને એક મુદ્રા (સિક્કો) આપવામાં આવી હતી જે તેમના પાસપોર્ટ કે ઓળખપત્રનો ભાગ ભજવતી. આ સિક્કાના આબેહુબ વર્ણન વાળા સિક્કા ઉત્ખનન કાર્ય કરી રહેલા ડૉ. એસ.આર. રાવને મળી આવ્યાં છે. (મેં ૧૯૯૮-૯૯માં ગુજરાત સાયન્સ કોંગ્રેસનાં પાલિતાણા ખાતે ભરાયેલા અધિવેશનમાં પણ ડૉ. રાવનું પ્રેઝન્ટેશન જોયું હતું, જે પરથી એ વાતા સાબિત થતી હતી કે આ માણસ જુટ્ઠુ નથી ચિતરતો.) આ ઉપરાંત તેમણે આવા નમુનાઓનું રેડિઓ કાર્બનની મદદથી ડેટિંગ પણ કર્યું છે, જેને ડૉ. પંડિત મહાભારતની કાળગણના સાથે જોડે છે. આ તો થઇ એક પુરાવાની વાત. હવે વાત કરીએ ખગોળશાસ્ત્રનાં પુરાવાની. એ માટે તેમણે ડૉ. નરહરી આચાર (ભૌતિકવિજ્ઞાનના વ્યાખ્યાતા, મેમ્ફિસ યુનિવર્સિટી, યુ.એસ.એ.)નાં સંશોધનને ધ્યાનમાં લીધું છે. ડૉ. આચાર નાસા દ્વારા વિકસાવવામાં આવેલા પ્લેનેટેરિયમ સોફ્ટવેર (કે જેનો ઉપયોગ નાસા ઉપગ્રહ છોડવા માટેનો દિવસ નિર્ધારિત કરવા, અને જે તે ગ્રહ/ઉપગ્રહ/તારા અવકાશમાં કયા સ્થળે હશે તે જાણવા કરે છે તે)નો ઉપયોગ કરે છે, જેના દ્વારા કોઈપણ દિવસે અમુક નિયત સ્થળે આકાશમાં તારાઓ અને ગ્રહોની શું સ્થિતિ હશે તે જાણી શકાય છે. આ સોફ્ટવેર ભૂતકાળમાં પણ જઈ શકે છે અને ભૂતકાળની કોઈપણ તારીખે આકાશની શું સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે. આજકાલ જીપીએસ ધરાવતા મોબાઇલ ફોન્સમાં પણ નાઇટસ્કાય, વગેરે એપ્સ મળે છે જેનાથી આપ આપની ઉપરના આકાશનો નક્શો મેળવી શકો છો (માટે આ સોફ્ટવેર અને તેના દ્વારા મળેલા પરિણામોમાં કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી). તેમણે મહાભારતના ‘ભીષ્મ પર્વ’માં વર્ણવેલાં અમુક ખગોળશાસ્ત્રીય અવલોકનોને આધારે આ પ્લેનેટેરિયમ સોફ્ટવેરની મદદથી એવી કોઈ ઘટનાઓ બની હતી કે નહી તે જાણવાનો પ્રયત્ન કર્યો. અને તેમણે ગણતરીમાં લીધેલી ઘટનાઓ પૈકીની બધીજ એક સાથે (થોડા સમયની અંદર), જેમકે મહાભારતના યુદ્ધ દરમ્યાનનું સૂર્ય ગ્રહણ અને ખૂબ લાંબા દિવસ સુદ્ધાંની ઘટનાઓ, બની હોય તેવું પણ મળી આવ્યું. આ વર્ષ છે ઈસવીસન પૂર્વે ૩૦૬૭. આમ તેઓ સાબિત કરે છે કે મહાભારતનું યુદ્ધ થયું છે તે હકિકત છે અને સાથે સાથે મહાભારતનાં અન્ય પ્રસંગો પણ કલ્પના કે કાવ્ય/કથા નહી પણ વાસ્તવિકતા છે.

ડૉ. મનિષ પંડિત છેવટે ઉપસંહાર તરિકે જણાવે છે કે જો આ બધી ઘટનાઓ ઘટી હોય, મહાભારતનું યુદ્ધ ખેલાયું હોય, તો પછી તેનો નાયક અસ્તિત્વમાં ના હોય તે માનવાને કોઈ કારણ જ નથી. તેમણે કૃષ્ણએ ભગવાન હતાં કે નહી તે મુદ્દો છેડ્યો નથી, તેમણે ફક્ત તે જ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે કૃષ્ણ પોતે એક કલ્પના નથી, વાસ્તવિકતા છે. તેઓ આગળ જણાવે છે, કે જો કોઈ એક વ્યક્તિ આટલી પ્રભાવશાળી અને વિવિધ વિદ્યાનું જ્ઞાન ધરાવતી હોય (બીજા દિવસે સૂર્ય ગ્રહણ થવાનું છે તેની જાણ કૃષ્ણને પહેલેથી જ હતી) તો ભલે તે સાધારણ વ્યક્તિ હોય, તેને ભગવાન માનવો જ ઘટે.

આમ આપણે પણ ભલે આપણા રેશનલ દિમાગને વશ થઈને કે પછી પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજી શિક્ષણના પ્રભાવ હેઠળ રજૂ કરેલી વાતોને સાચી જ માનવી તેવા માનસ હેઠળ કે પછી જો હું ધર્મમાં અને ભગવાનમાં શ્રદ્ધા ધરાવું છું એમ કહીશ તો હું ગામડીઓ, અશિક્ષિત અને પછાત ગણાઈશ તેવી હિન ભાવનાને કારણે કૃષ્ણ ભગવાન હતાં તેમ ના માનવા તૈયાર થઈએ તો કશો વાંધો નહી, પણ કમસેકમ એટલું તો સ્વિકારવું જ ઘટે કે આપણને ભણાવવામાં આવેલું જ્ઞાન કે મહાભારત મહાકાવ્ય છે, ઇતિહાસ કે વાસ્તવિકતા નહી, તે સરાસર જુઠ્ઠાણું છે. જે રીતે વર્ષોથી આપણા પાઠ્યપુસ્તકો ભણાવતા આવ્યાં છે કે ૦ (શૂન્ય) આરબોની શોધ છે (કેમકે અંગ્રેજો તેમ માનતાં હતાં) આપણે પણ શૂન્ય આર્યભટ્ટની શોધ છે તે વાતનો સ્વિકાર નહોતા કરતાં, ભલે પછી આરબો તે શૂન્યને ભારત (હિંદ)ની રકમ ગણાવતાં હોય. એજ રીતે મહાભારત મહાકાવ્ય કે કવિની કલ્પના નહી પણ વાસ્તવિકતા છે, અને આપણા ભારતનો ઇતિહાસ છે તે વાત આપણે મને કમને પણ સ્વિકારવી જ જોઈએ.

ગઈ કાલનો દિવસ (અનન્ય વરસગાંઠ)

ગઈ કાલે જીવનમાં જવલ્લેજ આવતા દિવસો પૈકિનો એક આવી ગયો, જે હતી મારી દ્વિતીય અનન્ય વરસગાંઠ. હા અનન્ય, જેવો-તેવો જન્મ દિવસ નહી. સરેરાશ આયુષ્ય ભોગવતા પુરુષોનાં જીવનમાં વધુમાં વધુ ૪ આવા જન્મ દિવસ આવે. જો તમે બહુ ભાગ્યવાન હોવ અને ૯૫ વર્ષથી વધુ આયોગ્ય ભોગવો તો આવી વરસગાંઠ ૫ વખત આવે. ટૂંકમાં કહું તો એવી વરસગાંઠ કે જેમાં તિથિ અને તારીખ બંને એક જ દિવસે આવે. અને આપણા શાસ્ત્રીય પંચાંગની ખુબી એ છે કે દર ૧૯ વર્ષે આવું બને. ગઈ કાલે મારી આવી બીજી વરસગાંઠ હતી, હવે આગળ કેટલી વખત આવી અનન્ય વરસગાંઠ આવશે તેની કોઈ ખબર નથી.

આજનો કોયડો

image

બોલો, આ ફોટો ક્યાંનો છે? સરકારી ઓફિસનો કે કોર્પોરેટ ઓફિસનો?

Haapy New Year

આગલી પોસ્ટ બસ પબ્લિશ કરવાજ જતો હતો અને નવા વર્ષની શરૂઆત થઈ એટલે જરા અટકી ગયો. થેમ્સના કિનારે લંડન આઈ અને તેની આસપાસમાં ભવ્ય આતશબાજી સાથે ધમાકાભેર આ નવા વર્ષની આશાભરી શરૂઆત થતી જોવી તે એક લ્હાવો છે (થોડા વખતમાં યુ ટ્યૂબ પર જરૂરથી જોવા મળશે). એટલે તે લ્હાવો ચુકવાને બદલે આપ સહુને Haapy New Year wish કરવાનું જરાક મોડું રાખ્યું તે બદલ ક્ષમા કરશો. તો હવે ફોર્મલી… ગુડ બાય ૨૦૧૦ અને વેલકમ ૨૦૧૧, હેપ્પી ન્યૂ યર ટુ યુ ઑલ.

નવો મોબાઇલ

ગઇકાલે મારો નવો મોબાઇલ હાથમાં આવ્યો જે. અત્યારે તો HTC Wildfire જ પોસાય તેમ હતો. અને આમે મારૂં સસ્તુ ખરિદેલું સેટનેવ ક્યારેક ક્યારેક ગ્રહણ વખતે જ સાપ કાઢીને બેસી જતું, એટલે એને રિપ્લેસ કરવાનું જ હતું. નવો ફોન અને સેટનેવ બંને મળી જાય માટે એક કાંકરે બે પક્ષી મારવા માટે અને ખિસ્સાને પણ ખુશ રાખવા માટે, મને ખુબ ગમતા Blackberryને બદલે HTC Wildfire પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કેટલાય વખતથી સારી ઓફરની રાહ જોતો બેઠો હતો. બે મહિના પહેલા નવો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે કાંઈ મજા પડે તેવું પેકેજ નહોતું મળતું. એટલે છેવટે એકદમ સાદો ફોન લીધો, જેથી બે વરસ સુધી લગભગ મફતમાં ઢગલો મિનિટો, ટેક્સ્ટ્સ અને અનલિમિટેડ ઇન્ટરનેટ મળી રહે. અને ત્યારથી ‘પે એઝ યુ ગો’ની કોઈ સારી ઓફર આવે તેની રાહ જોતો હતો. છેવટે આ સસ્તામાં મળ્યો પણ ખરો. કાલે ઓફિસેથી ઘરે પણ વહેલો પહોંચી ગયો હતો, નાના બાળકની જેમ નવી વસ્તુ જોવાની એવીતો તાલાવેલી હતી, કે ઘરે જઈને પહેલું જ કામ મોબાઇલનું ખોખું હાથમાં લેવાનું કર્યું. અને તેની સાથે જ શેફાલી બોલી, “મને ખબર જ હતી, આજે પૃથા અને વ્રજ, અને એમના પપ્પામાં કોઈ ફરક નહી રહે. તમે એ બંનેના જેવું જ કરો છો.”

પણ સાલું જે હોય તે ફોન કમાલનો બનાવ્યો છે. સીનેટ પર ઘણા વખતથી તેનો રિવ્યુ જોયો હતો, એક જ વાતે મન ડગુમગુ હતું એ તે કે તેના બે બેડ આસ્પેક્ટ્સ. પણ ફોન હાથમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આમાંના એકેયનો અનુભવ થયો નથી. અને આશા રાખું કે થશે પણ નહી. એન્ડ્રોઇડ માર્કેટમાંથી અત્યારે તો એપ્સ સિલેક્ટ કરવામાં પડ્યો છું, અને કોઈક રીતે તેમાં આપણી ઇન્ડિક સ્ક્રિપ્ટ્સ કેવી રીતે એનેબલ કરવી તે માહિતી મેળવવી છે. જો તમને ખબર હોય તો જણાવજો.

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers