ઇંગ્લેન્ડમાં રહેવાના ગેરફાયદા (ભારતથી આવી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા એક ભારતીયની નજરે)
04/01/2022 Leave a comment
ક્વોરા પર કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે “ઇંગ્લેન્ડમાં રહેવા માટે સૌથી મોટા નુકસાન શું છે?” એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો તે આ મૂજબ છે.
તમારા પરિવાર અને સ્વજનોથી દૂર રહેવું પડે છે. (જો તમે પહેલી પેઢીના વસાહતી હોવ તો). તમે પોતાની લાયકાતને આધારે જો ઇંગ્લેન્ડ જાવ તો સાથે ફક્ત તમારાં પતિ/પત્નિ અને બાળકોને જ લઈ જઈ શકો છો. માતા-પિતા, ભાઈ-બહેનો અને તેમના પરિવાર તમારી સાથે કાયમી વસવાટ માટે તમારી સાથે આવી શકતા નથી. આ બધાંથી દૂર રહેવાનું અને તે પણ ઓછામાં ઓછી સાડા આઠ કલાકની હવાઈ સફર જેટલું દૂર રહેવાનું કેટલું આકરું છે તે તો જે રહે તે જ જાણી શકે.
તમારા વાર-તહેવાર તમારી રીતે ઉજવવા ન મળે. દિવાળી હોય કે હોળી કે પછી ઉત્તરાયણ/મકરસંક્રાંતિ, ઇંગ્લેન્ડમાં તમારે માટે વરસના ૩૬૫ દિવસ સરખા. હા, જો તમે નસીબદાર હોવ અને નજીકમાં કોઈ સનાતન (હિંદુ) મંદિર હોય તો ત્યાં બધા તહેવારો ઉજવાય અને લોકો ભેગા થાય એટલે થોડોઘણો તહેવારોનો આનંદ માણી શકો પણ મંદિરના ઝાંપાની બહાર નીકળો એટલે કોઈ તહેવાર જેવું ન લાગે, જ્યારે ભારતમાં વસતાં હોવ તો એ માહોલ જ તમને તહેવારનો અહેસાસ કરાવતો હોય.
કેમકે અહિં તમે એકલાં જ હોવ, માંદગીમાં કે બીજી કોઈ વિષમ પરિસ્થિતિમાં તમારે પડખે ઊભાં રહેનારની ખોટ હંમેશા વરતાય. હા, અહિં તમને તમારાં જેવાં લોકો મળી રહે જેમની સાથે મિત્રતા કરી શકો અને એ મિત્રો જ તમારો પરિવાર બની રહે. પરંતુ સાજેમાંદે પરિવારની જે હુંફ હોય તે મિત્રો તો પૂરી ન જ કરી શકે. કોવિડની મહામારીએ આ વાત બહુ ખરાબ રીતે સમજાવી.
ઉપર કહ્યું તેમ ઇંગ્લેન્ડમાં તમારે વરસના બારેય મહિના અને ૩૬૫ દિવસ સરખા, એટલી હદે સરખા કે દરરોજ વરસાદ પડે. દરરોજનો અર્થ લિટરલી દરરોજ નહિં પણ ગમે ત્યારે. હોળીના દિવસે ધમધોકાર વરસાદ પડે અને ક્યાંય હોળી પ્રગટાવી ન શકાય એટલે ભલે ને તમે મંદિરને અડોઅડ રહેતા હોવ, એ વરસ તમારે હોલિકાદહન વગર જ કાઢી નાખવું પડે. ધનતેરસથી તે છેક લાભપાંચમ સુધી દરરોજ વરસાદ પડ્યો હોય એટલે ભલે સરકાર તરફથી કે હાઇકોર્ટ/સુપ્રિમકોર્ટ તરફથી ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ ન હોય તો પણ તમે ફટાકડા ફોડી ન શકો. કોઈએ લગ્ન કે પાર્ટીમાં નિમંત્રણ આપ્યું હોય અને ચકાચક તૈયાર થઈ ને ગયા હોવ તો પણ વરસાદ તમને ન છોડે. લોકો છત્રીનો ઉપયોગ ખાસ કરતા નથી, સિવાય કે તમારે લાંબું અંતર ચાલી ને કાપવાનું હોય.
લાલબત્તીએ કે ઝેબ્રાક્રોસિંગે ગાડી ઊભી રાખવી જ પડે, અમદાવાદની જેમ હાંકે ન રખાય. કેમકે કેમેરા બધે લાગેલા હોય અને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ટિકિટ (ભારતમાં જેને મેમો કહે છે) ઘરે બેઠા આવી જાય. સ્પિડિંગ (નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવા) જેવા ટ્રાફિકના અમુક નિયમોના ભંગ માટે તો દંડની સાથેસાથે લાયસન્સ પર પોઇન્ટ મળે અને ૧૨ (અંકે પૂરા બાર) પોઇન્ટ મળે એટલે તમારા વાહન ચલાવવા પર પ્રતિબંધ આવી જાય. એક નિયમભંગ માટે ઓછામાં ઓછા ત્રણ કે છ પોઇન્ટ મળે, જેનો અર્થ છે કે તમે મહત્તમ બે કે ચાર જ નિયમભંગ કરી શકો. પાર્કિંગ પણ નિર્ધારીત જગ્યાએ જ કરી શકો અને મોટેભાગે બધે તમારે પાર્કિંગ માટે નાણું ખર્ચવું પડે અને એ પણ અમુક સમય માટે જ. જેમકે ઘણી જગ્યાએ પાર્કિંગ મહત્તમ બે કલાક કે એક જ કલાક માટે કરી શકો એ પણ ફદિયા આપી ને અને જો તમે સમયથી વધારે રોકાયા તો પાછી ટિકિટ (દંડ) મળે એ નફાનું.
તમાકુના બંધાણી હોવ તો તો ઘણું નુકસાન કેમકે પાનમસાલો કે માવો કે પછી બુધાલાલ ખાઈ ને ગમે ત્યાં થુંકી ન શકો, બીજા શબ્દોમાં કહું તો ક્યાંય થુંકી ન શકો. બીડીસિગારેટ પણ ગમે ત્યાં ફુંકી ન શકો.
સૌથી મોટું નુકસાન માંદા પડો ત્યારે થાય. કેમકે દાક્તરને મળવા માટે તમારે એપોઇન્ટ્મેન્ટ જોઈએ. એપીન્ટ્મેન્ટ વગર ડૉક્ટરની સર્જરીમાં (ભારતમાં જેને દવાખાઅનું કહીએ તેને ઇંગ્લેન્ડમાં સર્જરી કહે) પ્રવેશ જ ન મળે. ઘણી વખત એવું થાય કે તમને દરદ હોય અને તમે એપીન્ટ્મેન્ટ લો તો તમારી એપીન્ટ્મેન્ટનો દિવસ આવે એ પહેલા તમારું દરદ એની મેળે શમી ગયું હોય. અમુક વખત તો અઠવાડિયા કે દસ દિવસ સુધી એપીન્ટ્મેન્ટ ન મળે. ગમે એટલી તકલીફ હોય તમારે ગોળી ગળી ને જ સારવાર કરવી પડે, ઇન્જેક્શન તો ડોક્ટર મારે જ નહિં. ઢીંચણનું, પથરીનું, એપેન્ડિક્સનું, હર્નિયાનું, વગેરે ઓપરેશન સામાન્ય શ્રેણીમાં આવે જેના માટે તમારે ૩-૬ મહિના કે એથી વધુ રાહ જોવી પડે. હા, જો તમારી પાસે પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ હોય તો તમે વહેલું ઓપરેશન કરાવી શકો પણ એ ઇન્શ્યોરન્સ બહુ મોંઘો હોય એટલે જો તમારી નોકરીમાંથી તમને પર્ક્સમાં મળ્યો હોય તો જ તમારી પાસે હોય. ઘણાં લોકો દાંતની સારવાર કે ઢીંચણના ઓઅરેશનો કરાવવા આસપાસના દેશોમાં જઈ આવે કેમકે ત્યાં (ટિકિટભાડું અને રહેવાજમવાનો ખર્ચો ઉમેર્યા પછી પણ) ઓપરેશન કે સારવાર સસ્તામાં પડે. જો કે ડેન્ટલ સિવાયની મેડિકલ સિસ્ટમ મફત છે, પણ એ મફત એટલા માટે છે કે દર મહિને પગારમાંથી ૧૫-૨૦% ભરવાના હોય છે.
કરચોરી ન કરી શકો. ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્શ્યોરન્સ એમ બે કર તમારે દર મહિને આવકમાંથી ભરવા પડે જેનો દર ઘણો ઊંચો છે. ધંધો હોય યો પણ (એમેઝોન કે ગુગલના સ્તરે ન પહોંચો ત્યાં સુધી) ઘણો મોટો હિસ્સો કોર્પોરેશન ટેક્સ, વેટ અને ઇન્કમ ટેક્સ તથા નેશનલ ઇન્શ્યોરન્સ તરીકે તમારે સરકારને આપવો જ પડે, કરચોરી કે કર બચતનો કોઈ માર્ગ ન મળે.
આ તો થયાં અમુક સામાન્ય જીવનનાં, રોજબરોજનાં, દરેકે ભોગવવા પડતાં નુકસાનો. આ સિવાયનાં ઘણાં નુકસાનો છે, જો કે ફાયદા પણ છે.
આ પ્રશ્નનો જવાબ જો મારે બે વાક્યોમાં આપવાનો હોય તો હું નીચેની બે કહેવતોમાં એ જવાબ આપું,
૧. ડુંગરા દૂરથી રળિયામણા
૨. કાગડાં બધે કાળાં
અસ્તુ!
આપના પ્રતિભાવ