ઇંગ્લેન્ડમાં રહેવાના ગેરફાયદા (ભારતથી આવી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા એક ભારતીયની નજરે)

ક્વોરા પર કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે “ઇંગ્લેન્ડમાં રહેવા માટે સૌથી મોટા નુકસાન શું છે?” એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો તે આ મૂજબ છે.

તમારા પરિવાર અને સ્વજનોથી દૂર રહેવું પડે છે. (જો તમે પહેલી પેઢીના વસાહતી હોવ તો). તમે પોતાની લાયકાતને આધારે જો ઇંગ્લેન્ડ જાવ તો સાથે ફક્ત તમારાં પતિ/પત્નિ અને બાળકોને જ લઈ જઈ શકો છો. માતા-પિતા, ભાઈ-બહેનો અને તેમના પરિવાર તમારી સાથે કાયમી વસવાટ માટે તમારી સાથે આવી શકતા નથી. આ બધાંથી દૂર રહેવાનું અને તે પણ ઓછામાં ઓછી સાડા આઠ કલાકની હવાઈ સફર જેટલું દૂર રહેવાનું કેટલું આકરું છે તે તો જે રહે તે જ જાણી શકે.

તમારા વાર-તહેવાર તમારી રીતે ઉજવવા ન મળે. દિવાળી હોય કે હોળી કે પછી ઉત્તરાયણ/મકરસંક્રાંતિ, ઇંગ્લેન્ડમાં તમારે માટે વરસના ૩૬૫ દિવસ સરખા. હા, જો તમે નસીબદાર હોવ અને નજીકમાં કોઈ સનાતન (હિંદુ) મંદિર હોય તો ત્યાં બધા તહેવારો ઉજવાય અને લોકો ભેગા થાય એટલે થોડોઘણો તહેવારોનો આનંદ માણી શકો પણ મંદિરના ઝાંપાની બહાર નીકળો એટલે કોઈ તહેવાર જેવું ન લાગે, જ્યારે ભારતમાં વસતાં હોવ તો એ માહોલ જ તમને તહેવારનો અહેસાસ કરાવતો હોય.

કેમકે અહિં તમે એકલાં જ હોવ, માંદગીમાં કે બીજી કોઈ વિષમ પરિસ્થિતિમાં તમારે પડખે ઊભાં રહેનારની ખોટ હંમેશા વરતાય. હા, અહિં તમને તમારાં જેવાં લોકો મળી રહે જેમની સાથે મિત્રતા કરી શકો અને એ મિત્રો જ તમારો પરિવાર બની રહે. પરંતુ સાજેમાંદે પરિવારની જે હુંફ હોય તે મિત્રો તો પૂરી ન જ કરી શકે. કોવિડની મહામારીએ આ વાત બહુ ખરાબ રીતે સમજાવી.

ઉપર કહ્યું તેમ ઇંગ્લેન્ડમાં તમારે વરસના બારેય મહિના અને ૩૬૫ દિવસ સરખા, એટલી હદે સરખા કે દરરોજ વરસાદ પડે. દરરોજનો અર્થ લિટરલી દરરોજ નહિં પણ ગમે ત્યારે. હોળીના દિવસે ધમધોકાર વરસાદ પડે અને ક્યાંય હોળી પ્રગટાવી ન શકાય એટલે ભલે ને તમે મંદિરને અડોઅડ રહેતા હોવ, એ વરસ તમારે હોલિકાદહન વગર જ કાઢી નાખવું પડે. ધનતેરસથી તે છેક લાભપાંચમ સુધી દરરોજ વરસાદ પડ્યો હોય એટલે ભલે સરકાર તરફથી કે હાઇકોર્ટ/સુપ્રિમકોર્ટ તરફથી ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ ન હોય તો પણ તમે ફટાકડા ફોડી ન શકો. કોઈએ લગ્ન કે પાર્ટીમાં નિમંત્રણ આપ્યું હોય અને ચકાચક તૈયાર થઈ ને ગયા હોવ તો પણ વરસાદ તમને ન છોડે. લોકો છત્રીનો ઉપયોગ ખાસ કરતા નથી, સિવાય કે તમારે લાંબું અંતર ચાલી ને કાપવાનું હોય.

લાલબત્તીએ કે ઝેબ્રાક્રોસિંગે ગાડી ઊભી રાખવી જ પડે, અમદાવાદની જેમ હાંકે ન રખાય. કેમકે કેમેરા બધે લાગેલા હોય અને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ટિકિટ (ભારતમાં જેને મેમો કહે છે) ઘરે બેઠા આવી જાય. સ્પિડિંગ (નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવા) જેવા ટ્રાફિકના અમુક નિયમોના ભંગ માટે તો દંડની સાથેસાથે લાયસન્સ પર પોઇન્ટ મળે અને ૧૨ (અંકે પૂરા બાર) પોઇન્ટ મળે એટલે તમારા વાહન ચલાવવા પર પ્રતિબંધ આવી જાય. એક નિયમભંગ માટે ઓછામાં ઓછા ત્રણ કે છ પોઇન્ટ મળે, જેનો અર્થ છે કે તમે મહત્તમ બે કે ચાર જ નિયમભંગ કરી શકો. પાર્કિંગ પણ નિર્ધારીત જગ્યાએ જ કરી શકો અને મોટેભાગે બધે તમારે પાર્કિંગ માટે નાણું ખર્ચવું પડે અને એ પણ અમુક સમય માટે જ. જેમકે ઘણી જગ્યાએ પાર્કિંગ મહત્તમ બે કલાક કે એક જ કલાક માટે કરી શકો એ પણ ફદિયા આપી ને અને જો તમે સમયથી વધારે રોકાયા તો પાછી ટિકિટ (દંડ) મળે એ નફાનું.

તમાકુના બંધાણી હોવ તો તો ઘણું નુકસાન કેમકે પાનમસાલો કે માવો કે પછી બુધાલાલ ખાઈ ને ગમે ત્યાં થુંકી ન શકો, બીજા શબ્દોમાં કહું તો ક્યાંય થુંકી ન શકો. બીડીસિગારેટ પણ ગમે ત્યાં ફુંકી ન શકો.

સૌથી મોટું નુકસાન માંદા પડો ત્યારે થાય. કેમકે દાક્તરને મળવા માટે તમારે એપોઇન્ટ્મેન્ટ જોઈએ. એપીન્ટ્મેન્ટ વગર ડૉક્ટરની સર્જરીમાં (ભારતમાં જેને દવાખાઅનું કહીએ તેને ઇંગ્લેન્ડમાં સર્જરી કહે) પ્રવેશ જ ન મળે. ઘણી વખત એવું થાય કે તમને દરદ હોય અને તમે એપીન્ટ્મેન્ટ લો તો તમારી એપીન્ટ્મેન્ટનો દિવસ આવે એ પહેલા તમારું દરદ એની મેળે શમી ગયું હોય. અમુક વખત તો અઠવાડિયા કે દસ દિવસ સુધી એપીન્ટ્મેન્ટ ન મળે. ગમે એટલી તકલીફ હોય તમારે ગોળી ગળી ને જ સારવાર કરવી પડે, ઇન્જેક્શન તો ડોક્ટર મારે જ નહિં. ઢીંચણનું, પથરીનું, એપેન્ડિક્સનું, હર્નિયાનું, વગેરે ઓપરેશન સામાન્ય શ્રેણીમાં આવે જેના માટે તમારે ૩-૬ મહિના કે એથી વધુ રાહ જોવી પડે. હા, જો તમારી પાસે પ્રાઇવેટ મેડિકલ ઇન્શ્યોરન્સ હોય તો તમે વહેલું ઓપરેશન કરાવી શકો પણ એ ઇન્શ્યોરન્સ બહુ મોંઘો હોય એટલે જો તમારી નોકરીમાંથી તમને પર્ક્સમાં મળ્યો હોય તો જ તમારી પાસે હોય. ઘણાં લોકો દાંતની સારવાર કે ઢીંચણના ઓઅરેશનો કરાવવા આસપાસના દેશોમાં જઈ આવે કેમકે ત્યાં (ટિકિટભાડું અને રહેવાજમવાનો ખર્ચો ઉમેર્યા પછી પણ) ઓપરેશન કે સારવાર સસ્તામાં પડે. જો કે ડેન્ટલ સિવાયની મેડિકલ સિસ્ટમ મફત છે, પણ એ મફત એટલા માટે છે કે દર‌ મહિને પગારમાંથી ૧૫-૨૦% ભરવાના હોય છે.

કરચોરી ન કરી શકો. ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્શ્યોરન્સ એમ બે કર તમારે દર મહિને આવકમાંથી ભરવા પડે જેનો દર ઘણો ઊંચો છે. ધંધો હોય યો પણ (એમેઝોન કે ગુગલના સ્તરે ન પહોંચો ત્યાં સુધી) ઘણો મોટો હિસ્સો કોર્પોરેશન ટેક્સ, વેટ અને ઇન્કમ ટેક્સ તથા નેશનલ ઇન્શ્યોરન્સ તરીકે તમારે સરકારને આપવો જ પડે, કરચોરી કે કર બચતનો કોઈ માર્ગ ન મળે.

આ તો થયાં અમુક સામાન્ય જીવનનાં, રોજબરોજનાં, દરેકે ભોગવવા પડતાં નુકસાનો. આ સિવાયનાં ઘણાં નુકસાનો છે, જો કે ફાયદા પણ છે.

આ પ્રશ્નનો જવાબ જો મારે બે વાક્યોમાં આપવાનો હોય તો હું નીચેની બે કહેવતોમાં એ જવાબ આપું,

૧. ડુંગરા દૂરથી રળિયામણા

૨. કાગડાં બધે કાળાં

અસ્તુ!

ખલસનાતન વિચારધારા- Pseudo Hinduism

આજકાલ કહેવાતા હિંદુ વિચારકોને કોઈક અલગ જ પ્રકારનું શૂળ ઉપડ્યું છે, આપણા એટલે કે સનાતન તહેવારોને પશ્ચિમની ઢબે ઉજવવાનું કહેવાનું અને પશ્ચિમના એટલે કે ખ્રિસ્તી ધર્મના તહેવારો ને સનાતન સંસ્કૃતિ સાથે બળાત્કારે જોડી એ પ્રકારે ઉજવણી કરવાનું આહ્વાન કરવાનું શૂળ. હજી બે દિવસ પહેલા જ ખ્રિસ્તી નાતાલ એટલે કે ક્રિસમસનો તહેવાર ગયો જે ભારત તો શું યુરોપ અને યુ.કે.માં પણ ધાર્મિક તહેવાર તરીકે નહીં પણ સામાજીક તહેવાર તરીકે કે પછી એક વ્યાવસાયિક (Commercial) તહેવાર તરીકે વધુ ઉજવાય છે, ખાસ કરી ને યુ.કે. અને યુ.એસ.એ.માં. છેલ્લાં ૨-૩ વરસથી વોટ્સએપ પરના ધર્મધુરંધરો અને વિચારકોએ આપણા પવિત્ર છોડ તુલસીની સરખામણી ક્રિસમસ ટ્રી સાથે કરવા માંડી છે અને નાતાલ નજીક આવતા આ નીચે જોવા મળે છે એવા સંદેશાઓ ફરતા કરી મૂકે છે.

મારી તેમને (અને જો તમે પણ આવા સંદેશા ફરતા કર્યા હોય- “ફોરવર્ડેડ એઝ રિસિવ્ડ-Forwarded as Received” ડિસ્ક્લેમર સાથે પણ) એક જ વિનંતી છે કે મારા ભાઈઓ અને બહેનો, જો તમને ક્રિસમસ ઉજવવાનો એટલો જ શોખ છે તો ક્રિસમસ ટ્રી સાથે જ ઉજવો ને? નહિતર તમને કયો ભોજીયો ભાઈ આવી ને ગધાડી પકડાવી ગયો છે કે તમારે યેનકેન પ્રકારે નાતાલ ઉજવવું જ પડે? અને એ બધા કરતા પહેલા પ્રશ્ન તો એ છે કે, કોઈ તહેવાર ઉજવવો એટલે શું? દિવાળીના દિવસે મુસલમાનો ફટાકડા ફોડે તો તો તે શું હિંદુ થઈ જાય છે? કે હોળીમાં ખ્રિસ્તીઓ રંગ અને પાણીથી હોળી રમે તો તેમને તમે હિંદુ ગણવા માંડો છો? ના ને? તો પછી તમે ક્રિસમસ ઉપર ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકી પણ દીધું તો તમે શું ખ્રિસ્તી થઈ ગયા? હા, એ વાત જૂદી છે ભારતમાં ખરેખર ક્રિસમસ ટ્રી ઘરમાં મૂકવું એ ફક્ત અને ફક્ત એક ઘેલછા છે. અહિં વિદેશમાં બાળકો તેમની શાળા-કોલેજોમાં, મિત્રોનાં ઘરે કે અમે વયસ્કો અમારી ઓફિસોમાં, દુકાનોમાં, શોપિંગસેન્ટરોમાં, ક્રિસમસ ટ્રી મૂકાતું અને સજાવાતું જોઈએ એટલે ખાસ કરી ને બાળકો માટે થઈ ને ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકતા હોઈએ. પણ એ ફક્ત આનંદ માટે અને બાળકો આ વિદેશની ધરતીમાં પોતાને અન્ય કરતા અલગ ન સમજે કે ચારે બાજુ થતી ઉજવણી દરમ્યાન પોતે તે ઉજવણીમાંથી બાકાત રહ્યાનો અહેસાસ ન કરે તે માટે જ. ભારતમાં એવું ન બનવું જોઈએ કે Peer Pressureમાં લોકો ને ઘરમાં ક્રિસમસ ટ્રી ગોઠવવાની ફરજ પડે. ક્રિસમસ ટ્રીને બદલે જો ઉપરના ચિત્રોમાં જણાવ્યું છે તેમ તુલસીનો છોડ મૂકીએ અને તેની નીચે દીવો કરીએ (ખરેખર લોકો ક્યારેય ક્રિસમસ ટ્રીની નીચે મીણબત્તી સળગાવતા નથી) એટલે શું આપણે ક્રિસમસ ન ઉજવ્યું એમ કહેવાય? એ તો ઉલટાનું આપણે ક્રિસમસની ઉજવણીમાં શામેલ થયા એમ ગણાય. જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ અન્ય ધર્મના લોકોને વટલાવવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેઓ આ જ કામ કરે છે, લોકોને કહે છે કે તમારે તમારા રીતરિવાજ કે પ્રથાઓ છોડવાની જરુર નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને ભગવાન માનો. આજે પણ ગુજરાતમાં જે ગુજરાતી ખ્રિસ્તીઓ છે તેમાના મોટા ભાગનાને ઘરે નાતાલમાં લાડવા બને છે, નવા વર્ષ (૧લી જાન્યુઆરી)ના દિવસે કંસાર/લાપસી બને છે, ઘણા ખ્રિસ્તીઓ ક્રોસ સામે કે ઈસુના ફોટા/ચિત્રની સામે મીણબત્તી નહીં પણ દીવો કરતા હોય છે.
જ્યારે ખ્રિસ્તી ધર્મ યુ.કે.માં અને યુરોપમાં પ્રવેશ્યો ત્યારે અહિંના લોકો પેગન-Pegan ધર્મ પાળતા હતા, જે સનાતન-હિંદુ ધર્મને ઘણો મળતો આવતો ધર્મ હતો, જેમાં સૂર્ય, વર્ષા, ચંદ્ર જેવા કુદરતી દેવતાઓની ઉપાસના થતી અને અમુક હદે યજ્ઞ/હવન પણ થતા. એ પેગન લોકોનો મોટો તહેવાર ઉત્તરાયણ-Winter Solstice (૧૪મી જાન્યુઆરી નહીં, તે તો મકર સંક્રાંતિનો દિવસ છે. આ ઉત્તરાયણ એટલે ૨૧-૨૨ ડિસેમ્બર) હતો. જ્યારે સૂર્ય દક્ષિણ દિશામાં તેના ચરમ સ્થાને પહોંચી ગયો હોય છે અને પાછો ઉત્તર દિશા તરફ ખરવાની શરુઆત કરે છે તે દિવસને ઉત્તરાયણનો પ્રારંભ ગણવામાં આવે છે અને તે પછીના છ મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં ક્રમશઃ તેના ટોચના બિંદુ સુધી ખસે રાખે છે. આ પેગન તહેવારની ઉજવણી જો બંધ કરાવે તો લોકો સહેલાઈથી ખ્રિસ્તી ધર્મ પાળવા તરફ ના ઢળતા એ કારણે (મોટા ભાગના ઇતિહાસકારોના મત મુજબ) એ પેગન તહેવારના દિવસને (અને શરુઆતમાં તો ઉજવણીને પણ) એમનો એમ રાખી ઇસુ ખ્રિસ્તનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો તેવું જોડી નાખ્યું. આજે પણ (ખાસ કરી ને પ્રોટેસ્ટન્ટ) ખ્રિસ્તીઓનો એક એવો વર્ગ છે જે ઇસુનો જન્મ ડિસેમ્બરમાં નહીં પણ જુલાઇમાં થયો હતો તેમ દૃઢ પણે માને છે. જો તમે પણ ઇસુના જન્મની કથા સાંભળી/વાંચી હોય તો તમે સહજ જ સમજી શકો છો કે એ દિવસ શિયાળાનો તો હોઈ જ ન શકે. ખેર, તો વાત એમ છે કે ખ્રિસ્તી મિશનરીઓની આ તો જૂની અને જાણીતી ચાલ છે જેમાં તેઓ લોકો ને ખ્રિસ્તી તહેવાર તેમના (લોકોના) ધર્મ અને સમાજની માન્યતા પ્રમાણે મનાવવાની સલાહ આપે અને પછી લાગ જોઈ ને તેમને ખ્રિસ્તી બનાવી દે.

મેં મને એક બે ગ્રુપમાં જ્યારે આવા સંદેશા આવ્યા ત્યારે મેં અણગમો દર્શાવ્યો તો નીચે જુઓ છો એવી ચર્ચા થઈ, જેનો મને પ્રશ્ન કરનાય બેમાંથી એકેયએ જવાબ હજી આજે ૨૪ કલાકથી વધુ વિતી ગયા હોવા છતાં નથી આપ્યા, કેમકે તેમની પાસે કોઈ જવાબ છે જ નહી.

તો મિત્રો, જો તમે નાતાલની સવારે દેવળમાં જતા ન હોવ, આખા દિવસમાં ઈસુ ખ્રિસ્તને યાદ કરતા ન હોવ, ફક્ત આનંદપ્રમોદ માટે જ ક્રિસમસ ટ્રી મૂકતા હોવ તો ચિંતા કરશો નહિ, તમે એમ કરવાથી ખ્રિસ્તી થઈ જવાના નથી અને નથી તો તમે તમારા સનાતન ધર્મને કોઈ નુકસાન પહોંચાડવાના છો. હા, હું આ તહેવારને મારો અને સનાતન ધર્મનો તહેવાર માનતો નથી એટલે ઘેલો થઈ ને જેને ને તેને Merry Christmasના મેસેજો મોકલતો નથી. મારા ખ્રિસ્તી મિત્રો કે સહકર્મચારીઓને જ એવા સંદેશા મોકલું છું. હું તમને પણ એ સલાહ આપીશ કે એકબીજાને મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ કરવાની ઘેલછા જગાડવી નહી કેમકે એ તહેવાર તમારો નથી. શું તમે બકરા ઇદના દિવસે કે રમજાન ઇદના દિવસે તમારા હિંદુ મિત્રો અને સગાંસ્નેહીઓને ઈદ મુબારકના સંદેશા મોકલો છો? પટેટીના દિવસે Happy Patetiના સંદેશા મોકલો છો? ના ને? તો પછી ક્રિસમસના સંદેશા પણ ફક્ત ખ્રિસ્તીઓને મોકલો તે જ શોભે છે. તુલસીને દીવો કરવાનો બહુ શોખ થતો હોય તો ફક્ત ક્રિસમસ દરમ્યાન જ શું કામ, દરરોજ કરો ને? એમ કરવાથી તમારો સનાતન ધર્મ વધુ સારી રીતે આચરાશે.

આ તો થઈ પારકા તહેવારને સનાતન તહેવારનો રંગ આપવાની વાત. હવે કરું સનાતન તહેવારને આપણા સૌથી મોટા તહેવાર દિવાળીના તહેવારને ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની જેમ ઉજવવાની સલાહ આપવાની. આ વર્ષે દિવાળી ઉપર એવો સંદેશો અને તેનો વિડિયો ફરતો થયો હતો કે દિવાળીની આગલી (કાળીચૌદસની) રાત્રે છાનાંછપનાં બાળકોના ઓશિકા નીચે પૈસા મૂકી દેવાના અથવા ઘરમાં એક ખૂણામાં કે નિયત જગ્યાએ (જેમકે ભગવાનના મંદિર પાસે) ભેટો મૂકી દેવાની અને દિવાળી ના દિવસે બાળકો ઊઠે ત્યારે એમને એમ કહેવાનું કે લક્ષ્મી માતા રાતના અંધારામાં આવી ને તેમના માટે રોકડ નાણું કે ભેટો મૂકી ગયા. શું આ પ્રથા તમને ખ્રિસ્તીઓના કાલ્પનિક પાત્ર સાંતા ક્લોઝ-Santa Clauseની વાર્તાથી કોઈ રીતે અલગ લાગે છે? જેમાં ખ્રિસ્તી/પશ્ચિમનાં બાળકો એમ માનતા હોય છે કે સાંતા રાતના અંધારામાં ઘરની ચિમનીમાંથી ઘુસી ને ક્રિસમસ ટ્રીની નીચે ભેટો મૂકી જાય છે. આપણી સંસ્કૃતિ એટલી તો સરસ છે કે એમાં આપણે આપણાં બાળકોને વડિલોને પગે લાગતા, વિનમ્ર થતા શીખવીએ છીએ અને એમના એ વિનય માટે થઈ ને તેમને લક્ષ્મી માતાની કૃપારુપ શુકનના પૈસા આપીએ છીએ. આપણી આવી સરસ પ્રથા બદલી ને તેને ખ્રિસ્તી પ્રથા બનાવવાની અને ખ્રિસ્તીઓના તહેવાર નાતાલને તુલસી દિવસ બનાવવાનો. આ બધા લોચા કયા પ્રકારના મગજમાંથી ઉત્પન્ન થતા હોય છે તે સમજાતું નથી.

નવદુર્ગા કે નવરાત્રિ

છેલ્લાં થોડાં વર્ષોથી એક ફેશન નીકળી છે કે નવરાત્રિના નવે દિવસ દરમ્યાન દરરોજ મા અંબા એટલે કે દુર્ગાનાં એકએક સ્વરુપની પૂજા કરવી અને દરેક દિવસને એ પ્રમાણે એકએક સ્વરુપ સાથે જોડી દેવો. અમે નાનેથી મોટા થયા ત્યાં સુધી, એટલે કે વોટ્સએપનો જમાનો નહોતો આવ્યો ત્યાં સુધી તો આવું ક્યારેય સાંભળ્યું નહોતું. બ્રાહ્મણ હોવાને નાતે મા અંબા અમારા ઘણા પરિવારોમાં મુખ્યાઅરાધ્ય દેવી ગણાય છે. આજે પણ મારા સગામાં કેટલાય પરિવારો છે જે આવતાંજતાં જેમ અમારા ઘરમાં જય શ્રી કૃષ્ણ (જેસીક્રસ્ણ) કહેવાનો સિરસ્તો છે તેમ એમના ઘરોમાં જય અંબે (જેમ્બે) કહેવામાં આવે છે. આવા અંબાઉપાસક પરિવારોમાં પણ ક્યારેય નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની, બીજા દિવસે બ્રહ્મચારિણીની, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની એમ નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવી એવી આજ્ઞા કે નિયમ ન હતો. દુર્ગાનાં આ નવ નામો માર્કંડેય ઋષિ અને બ્રહ્માઉક્ત દેવ્યાં કવચમ્ (દેવી કવચ કે ચંડી કવચ)માં આવે છે. આ દેવી કવચનો પાઠ માર્કંડેય પુરાણમાંના દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠની શરુઆતમાં કરવામાં આવે છે. જ્યાં આ નામોનો ઉલ્લેખ છે તેવા શ્લોકો નીચે મુજબ છે,

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी ।
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ॥३॥
पच्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च ।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ॥४॥
नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः ।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ॥५॥

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘંટેતિ કૂષ્માંડેતિ ચતુર્થકમ્ ॥૩॥
પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥૪॥
નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના ॥૫॥

(શ્લોક સંખ્યા મૂળ અધ્યાયમાં આવતી શ્લોક સંખ્યા છે, અહિં પહેલાના બે શ્લોકો જે માર્કંડેય (માર્કંડ) ઋષિની વિનંતિ અને બ્રહ્માજીના ઉત્તરની શરુઆત રુપે છે. આ ત્રણ શ્લોકો અને એના પછીના બધા જ શ્લોકો બ્રહ્માજી બોલે છે).

આ ત્રણ શ્લોકોમાં બ્રહ્માજી ફક્ત એમ જ કહે છે કે આ નવદુર્ગાના નામો મહાત્મા વેદદેવતાએ વર્ણવ્યા (કહ્યા) છે, બ્રહ્માજી એમ નથી કહેતા કે આ નવદુર્ગાઓ એક પછી એક નવરાત્રિના નવ દિવસની અધિષ્ઠાત્રીઓ છે. નવરાત્રિ દરમ્યાન નવેનવ દિવસ આ નવદુર્ગાની ઉપાસના કરવી જોઈએ. નવ દિવસને એકએક દુર્ગા સાથે જોડવામાં સહજ જ કૃત્રિમતા ત્યારે જણાય છે જ્યારે નવરાત્રિ (આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસ/નવ રાતો) દરમ્યાન એકાદ તિથિ ઓછી હોય. જેમ કે આ વર્ષે (વિક્રમ સંવત ૨૦૭૭, ઇ.સ. ૨૦૨૧) નવરાત્રિમાં ફક્ત આઠ જ દિવસ હતા. તો શું આપણે આ વર્ષે આ નવદુર્ગામાંથી એકની ઉપાસના નહોતી કરવાની? યાદ રાખવા માટે આ ક્રમ બરોબર છે, પણ તે ક્રમને નોરતા કે તિથિઓ સાથે જોડવો યોગ્ય નથી. હા, જો તમે કોઈ રીતે દરરોજ આ નવેનવ દુર્ગાઓની ઉપાસના ન કરી શકતા હોવ અને સહુલિયત ખાતર રોજ એકની જ પૂજા-ઉપાસના કરવી હોય તો ગમે તે એક દુર્ગાનું ચયન કરી શકો છો. જો તમે પહેલા દિવસે સ્કંદમાતાની કે સિદ્ધિદાત્રીની ઉપાસના કરી દો તો સહેજ પણ ગભરાશો નહિં, તમે શાસ્ત્રવિધાન પ્રમાણે કશું ખોટું નથી કર્યું. પહેલા દિવસે માત્ર અને માત્ર શૈલપુત્રીની ઉપાસના કરવી કે પછી કાત્યાયનીની ઉપાસના ફક્ત અને ફક્ત છઠ્ઠા દિવસે જ કરવી એવો કોઈ નિયમ નથી.

કોઈકે એકાદ વખત નવરા બેઠા આ નવદુર્ગાઓને નવરાત્રીના એક પછી એક દિવસ સાથે જોડી ને સંદેશો વહેતો કરી દીધો હશે તે આજે ઘણાબધાં મંદિરોમાં આ ક્રમને શાસ્ત્રવિધાન ગણી ને વગરવિચાર્યે તેનું પાલન કરવામાં આવે છે. મારું કહેવું એમ નથી કે આ ક્રમનું પાલન કરવું ખોટું છે, ફક્ત એમ કહેવું છે કે એ ક્રમનું પાલન કરવું એ કોઈ શાસ્ત્રમાં વર્ણવ્યું નથી. જો શાત્રમાં ન હોય તો પછી એવું કરી ને ખોટો ચિલો શું કામ પાડવો? ખોટો આ નિયમ શું કામ બનાવવો? શું મંદિરો અને તેના પૂજારીઓ જે પોતે શાસ્ત્ર ભણેલા હોય છે તેઓ આવી પાયાવિહિન રૂઢિમાંથી બહાર આવશે?

જો તમને શાસ્ત્રની જાણકારી હોય અને તમે એવું કોઈ અધિકૃત પુરાણ જાણતા હોવ કે જ્યાં નવરાત્રિના નવ દિવસ માટે આ દેવીઓનો ક્રમ વર્ણવિત હોય અને આમ જ કરવું એવી આજ્ઞા હોય તો કૃપા કરી મને અહિં ટિપ્પણી (કમેન્ટ્સ/Comments સેક્શન) હેઠળ જણાવશો તો હું આપનો ઋણિ રહીશ.

શ્રાદ્ધનું રૅશનાલ કે શ્રાદ્ધનો તાર્કિક આધાર

હાલમાં મહાલય (શ્રાદ્ધ) પક્ષ ચાલી રહ્યો છે. આ શ્રાધ પક્ષ લક્ષી અમુક પ્રશ્નો છે,

પ્રશ્ન

૧. કેટલા લોકો જાણે છે કે ભાદરવા મહિનાની પૂનમથી શરુ કરી ને અમાસ સુધીના આ ૧૬ દિવસ જ કેમ શ્રાદ્ધ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે?
૨. જો તમને ખબર નથી અને કોઈની પાસેથી એનું કારણ મળતું નથી તો તમે માનો છો કે તમારે આવી ફાલતુ પ્રથા બંધ કરી દેવી જોઈએ?
૩. તમને લાગે છે કે કાગડાને ખવડાવવાથી તમારા પિતૃને ભોજન મળે એ વાતમાં કોઈ દમ છે?
૪. જો આવી વાહિયાત વાતમાં તમે ન માનતા હોવ તો તમને શ્રાદ્ધ કરવાનું માંડી વાળવાની ઈચ્છા નથી થતી?

ચાલો હવે આ પ્રશ્નોના સંભવિત જવાબો જોઈ લઈએ,

ઉત્તર

૧. મને ખબર નથી.
૨. ચોક્કસ.
૩. બીલકુલ નહિં.
૪. હાસ્તો, થાય છે જ ને.

જો તમારા જવાબો આ પ્રમાણે (કે આને ભળતાસળતા) હોય તો નિરાશ ન થશો, તમે એકલા નથી. હું જો અહિં મતદાન (Poll) રાખું તો તમને જાણ થશે કે મોટાભાગના ‘ભણેલાંગણેલાં’ લોકોના જવાબ આવા જ છે. અને કદાચ એટલે જ આપણે રેશનાલિસ્ટોની જેમ આ પ્રથા, રૂઢિ, રિવાજ કે જે કહો તેના માટેનું તાર્કિક કારણ શોધવામાં પડી જઈએ છીએ. છેલ્લાં બે-ચાર વરસથી બે પ્રકારનાં કારણો સોશિયલ મીડિયામાં ફરતાં હતાં, ૧. કાગડાં આ સમય દરમ્યાન ઈંડા મૂકે છે અને માટે આપણાં વડવાઓએ કાગડાઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી આપી, ૨. આયુર્વેદના સિદ્ધાંત મુજબ ચોમાસા દરમ્યાન આપણાં શરિરમાં પિત્તનું પ્રમાણ વધે, દૂધ પિત્તશામક છે, માટે પિત્તનો પ્રકોપ રોકવા માટે ખીર ખાવાની પ્રથા ચાલુ થઈ. આ બે કારણો ઓછાં પડતાં હતાં તે આ વર્ષે બીજાં બે નવાં નીકળ્યાં, ૧. ધડમાથા વગરની નક્ષત્ર અને રાશિઓની વાત કરી ને ન સમજાય એવું કારણ, જેમાં સપ્ટેમ્બર માસમાં દક્ષિણાયનની વાત કરે છે, ૨. મૃત્યુ પછીની વિધિમાં કાગડા, ગાય, કુતરાં, કિડીમંકોડી અને બ્રાહ્મણને ભોજન કરાવવાની કોઈક અગમ્ય શાસ્ત્રની વાત.

મને તો આ ચારેયમાંથી એક પણ તર્ક સુસંગત લાગતો નથી. પણ છતાં મેં મારાં પિતૃઓનાં શ્રાધના દિવસે ખીર કે અન્ય કોઈ મીઠાઈ બનાવી ને ખાવાનું બંધ કર્યું નથી. શું કામ કરવું જોઈએ?

વર્ષગાંઠને દિવસે બજારમાંથી કેક લાવી એની ઉપર તમારી ઉંમરની સંખ્યામાં મીણબત્તીઓ સળગાવી અને પછી તેને ઓલવી ને પેલી કેક ખાતી વખતે તો કોઈ પૂછતું નથી કે આવી પ્રથા પાછળનો તર્ક કે શાસ્ત્રીય ઉલ્લેખ બતાવો, કે નથી તો વેલેન્ટાઇન ડે પર ચોકલેટ ખાવાની અને પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્નીને ગુલાબ આપવાની પ્રથા પાછળનો તર્ક જાણવાનો આગ્રહ રાખતા (જો કે વર્ષોથી છાપાવાળાં લખે છે કે સેન્ટ વેલેન્ટાઇનની લોકવાયકાઓમાં આ ખ્રિસ્તી તહેવારનો પાયો છે) તો પછી એ જ ‘ભણેલાંગણેલાં’ લોકોને આપણી હિંદુ/સનાતન ધર્મની પ્રથાઓ અને તહેવારોમાં જ કેમ તર્ક શોધવા નીકળાવાની જરુર પડે છે? મધર્સ ડે અને ફાધર્સ ડે મનાવવામાં આપણને વાંધો નથી આવતો અને એ પણ એનું મૂળ જાણ્યાં વગર. તો પછી આ મરી ગયેલાં મા, બાપ, દાદા, દાદીઓના ડે મનાવવામાં શું કામ તર્ક શોધવો પડે છે? શું કામ મૂળ કારણ જાણવાનો આગ્રહ? શું કામ રૅશનાલિસ્ટ માઇન્ડ બની જાય છે? શું આપણે આપણી સંસ્કૃતિ અને વડવાઓની આગવી કોઠાસુઝને બિરદાવી ન શકીએ કે આજકાલના વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે જેવા વ્યાવસાયિક ઉત્સવોને બદલે તેમણે સેંકડો વર્ષોથી આ બાપદાદા પખવાડિયાં એટલે કે ફોરફાધર્સ ફોર્ટનાઇટ વડે ફક્ત અને ફક્ત આપણાં મૃત વડીલોને વર્ષમાં બે વખત (એક વખત એમની મરણતિથિ પર અને બીજી વખત તેમનાં શ્રાદ્ધ પર) યાદ કરવાની ગોઠવણ કરી હતી? અને આપણાં એ વડવાઓએ પક્ષીઓ માટે પણ આ પંદર દિવસ ભોજનની સુવિધા ઊભી કરી આપી, ના, ફક્ત કાગડા માટે નહિ, બધાં જ પક્ષીઓ માટે. છાપરે કે ધાબે કાગવાસ નાખી ને આપણે ક્યાં જોઈએ છીએ કે એ કાગડાઓએ જ ખાધું કે અન્ય પક્ષીઓએ પણ? તો એ અબોલા જીવો પર અનુકંપા કરો અને કાગવાસ નાખવાનું તથા ખીરપુરી ખાવાનું ચાલું રાખો.

હા, આપણો સનાતન ધર્મનાં ઘડતરનો પાયો વિજ્ઞાન પર આધારિત છે, પરંતુ એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ રહી કે દરેક વસ્તુને વૈજ્ઞાનિક અભિગમ હોવો જરુરી નથી. તહેવારો, ઉત્સવો અને ઉજવણીઓ આપણા આનંદ માટે છે, એકધારી ઘરેડમાંથી થોડા સમય માટે ચિત્તને બહાર લાવવા માટે છે. દરેક કાર્યમાં વૈજ્ઞાનિક તથ્ય કે તાર્કિક સત્ય શોધવાને બદલે એનો આનંદ લેતા થઈએ. ધર્માચરણ વિજ્ઞાન અને અનુભવ પર આધારિત છે અને શિસ્તપાલન શીખવે છે એ યાદ રાખીએ અને ઉત્સવો આનંદ માટે છે એ ન ભૂલીએ.

અસ્તુ!

એક હિંદુ તરીકે તમે બીજા હિંદુને શું કહેવા માંગશો?

ગઈકાલે ક્વોરા (Quora)માં એક પ્રશ્ન વાંચ્યો, જે લોકોએ એના ઉત્તરો આપ્યા હતા અને જે ઉત્તરોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તે ફક્ત ડહાપણ ભરી શીખામણો આપતા, પોલિટિકલી કરેક્ટ ઉત્તરો લાગતા મને થયું કે મારે આ પ્રશ્નનો તો જવાબ આપવો જ જોઈએ અને મેં આપ્યો. ત્યાં જે ઉત્તર આપ્યો તે આજે અહિં ગુજરાતીમાં રજૂ કરું છુ. મેં ક્વોરામાં આપેલો મૂળ જવાબ અંગ્રેજીમાં અહિં જોઈ શકશો.

  1. તમારા ધર્મનો અને તમારી માન્યતાઓનો આદર કરો.
  2. તામારા ધર્મને એટલે કે હિંદુ ધર્મને જાણો જેને આજકાલ લોકો સનાતન ધર્મ પણ કહે છે.
  3. તમારા ધર્મ વિષે તમારા શાસ્ત્રોમાંથી શીખો, તમારી પાસે ઘણાં શાસ્ત્રો છે.
  4. અઢાર (૧૮) પુરાણોમાંથી કોઈ પણ એક તો અવશ્ય વાંચો જ, તમને જે પુરાણ ગમે તે પસંદ કરી શકો છો. એ પુરાણ જ તમને શીખવશે કે ધર્મ શું છે.
  5. ભાષણબાજો, કથાકારો, વક્તાઓ કે ધર્મગુરુઓએ કહેલી વાતો પર આંધળો વિશ્વાસ ન મૂકો, જાતે જે તે પુરાણ/શાસ્ત્ર વાંચી તેમની કહેલી વાતની ચોક્સાઈ કરી જુઓ.
  6. વેદ વાંચવાનો પ્રયત્ન કરો, શક્ય હોય તો ચારેય વેદો વાંચો.
  7. ભગવદ્ ગીતા કોઈ શાસ્ત્ર નથી, એ ફક્ત એક સંક્ષિપ્ત ગ્રંથ છે.
  8. તમને એ વાતની જાણ હોવી જ જોઈએ કે ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. તે કોઈ પુરાણ કે વેદનું અંગ નથી.
  9. હિંદુ ધર્મ તમને ઇશ્વરના સાકાર અને નિરાકાર રૂપમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. સાકાર રૂપ એટલે વિગ્રહ સ્વરૂપ  (જેને લોકો મૂર્તિ કે પ્રતિમા પણ કહે છે) અને નિરાકાર સ્વરૂપ એટલે શિવલિંગ કે શાલિગ્રામ, જે ફક્ત પ્રતિકાત્મક ચિહ્ન છે, કોઈ નિશ્ચિત આકારની મૂર્તિ નથી. એ તમારો નિર્ણય છે કે તમારે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપની પૂજા કરવી છે કે એક નાના કાળા પથ્થરની જેને શાલિગ્રામ કહેવાય છે, બન્ને રીતે તમે વિષ્ણુને ભજી શકો છો.
  10. આમ, હિંદુ ધર્મ ફક્ત મૂર્તિપૂજા શીખવાડે છે એ ફક્ત એક અફવા છે.
  11. હિંદુઓ મહદંશે શાકાહારી હોય છે એનું કારણ એ છે કે હિંદુ ધર્મ સર્વ જીવો પ્રત્યે દયા અને સહિષ્ણુતા રાખવાનું શીખવે છે. જો તમે એક વખત દયા શું છે તે જાણી લો તો પોતાની ભૂખ ભાંગવા માટે નબળા કે અશક્ત પશુને મારવાનો જીવ નહિ ચાલે. જૈન સાધુઓ આ જ કારણથી પગમાં પગરખાં કે પાદુકાઓ નથી પહેરતા અને બોલતી વખતે મોં આગળ મુપત્તી રાખે છે, સુક્ષ્મ સ્તરની અહિસા તેને કહેવાય.
  12. એટલું ધ્યાન રાખો કે આપણાં શાસ્ત્રો જ્ઞાતિપ્રથા નથી શીખવાડતા, વર્ણપ્રથા અને જ્ઞાતિપ્રથામાં આભ-જમીનનો ફરક છે. ચાર વર્ણો ફક્ત સમાજનું લોકોનાં કૌશલ્યને આધારે વર્ગીકરણ કરવાની રીત હતી, તેમના જન્મને આધારે વર્ણ નિર્ધારિત નહોતા થતા. હા, એ વાત અલગ છે કે લોકોને તેમના વડીલો જ શિક્ષા આપતા હતા, તેથી એવું થતું કે એક કૌશલ્ય કે કળા એજ વંશમાં ચાલી આવતી અને એ કારણે વર્ણ વ્યવસ્થા જન્મગત હોવાની ગેરસમજ થઈ. દા.ત. આજના આધુનિક યુગમાં એક ઉદ્યોગપતિ પોતાના બાળકોને એના જ વ્યવસાયમાં પ્રવેશે તે માટેના શક્ય એટલા બધા જ પ્રયત્નો કરશે, ડોક્ટર પોતાનો દીકરો કે દીકરી ડોક્ટર જ બને એવું કરશે. શાસ્ત્રોમાં પણ એવું જ થતું હતું. (ઉમેરણ:જો આજે આપણને જવાહરલાલ નહેરુની દીકરી, તે દીકરીનો દીકરો, એ દીકરાની પત્ની અને દીકરો અને કદાચ દીકરી, બધા જ રાજકારણમાં જ પ્રવેશે તેમાં; ધીરુભાઈ અંબાણીના બન્ને દીકરાઓ અને તેમના પણ દીકરા-દીકરીઓ એ જ વ્યવસાયમાં પ્રવેશે; જીતેન્દ્રનો, અમિતાભ બચ્ચનનો, રાકેશ રોશનનો, અને અન્ય ઘણા અભિનેતાઓનો દીકરો; હેમા માલિનીની, શત્રુઘ્ન સિંહાની, અનિલ કપુરની, શક્તિ કપુરની કે અન્ય અભિનેતા/અભિનેત્રીઓની દીકરીઓ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં કશું ખોટું ન દેખાતું હોય કે એનો કોઈ વિરોધ ન કરતા હોઈએ તો આપણા વડવાઓએ તે સમયે તેમને અનુરુપ સ્થાપેલી વર્ણવ્યવસ્થાનો અકારણ વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી.)
  13. ગાડરિયા પ્રવાહમાં જોડાઈને જાણ્યા-સમજ્યા વગર અન્ય લોકોની સાથે મળીને તમારા ધર્મની નિંદા ના કરો.
  14. એટલું જાણી લો કે તમારે અન્ય દાન-સખાવત કરવા માટે થઈ ને મંદિરમાં દાન આપવાનું બંધ કરવાની જરૂર નથી. તમને એક કરતા વધુ જગ્યાએ દાન આપતા કોઈ રોકતું નથી. મંદિર પૂજા-અર્ચના અને સાધનાનું કેન્દ્ર છે, તેના રાખરખાવમાં ખર્ચ થાય છે, મંદિર હશે તો તમારો ધર્મ જીવંત રહેશે.
  15. મૂર્ખ ન બનો, દંભી ધર્મનિરપેક્ષોના સાણસામાં ન આવો.
  16. તમારા ધર્મ ઉપર ગર્વ હોવો જોઈએ, ખાસ કરી ને તમારો દેશ લગભગ ૧૦૦૦ વર્ષ સુધી ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ પાળનારા ઝનુનીઓના દબાવમાં રહ્યો હોવા છતા જે ધર્મ ટકી રહ્યો અને ટકી શક્યો, એ ધર્મને ઉતરતો ન સમજો. તમારા ધર્મ પર તમને માન હોવું જોઈએ.

INR 500 and 1000 Currency Notes (રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો)

[Please scroll down to read this in English]
સરકારે ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો રદબાતલ કરી ત્યારથી એવા સમાચારો ફરતા થયા છે કે પરદેશમાં, એટલે કે અહિં યુ.કે.માં વસતા ભારતીય લોકો પાસે રહેલી આ ચલણી નોટો યુ.કે. (અને અન્ય દેશોમાં પણ) આવેલી ભારતીય બેંકોની શાખાઓમાં બદલી આપવામાં આવે છે. આ સમાચારોની વાસ્તવિકતાને રદિયો આપતો ખુલાસો યુ,કે. સ્થિત ભારતીય હાઇ કમિશ્નર શ્રી દિનેશ પટનાયકે આજે સવારે કર્યો છે. તેમણે જણાવ્યું કે:
૧. આજ તારીખ (૧૭ નવેમ્બર ૨૦૧૬) સુધી આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
૨. જો તમે ભારત જઈ રહ્યા હોવ તો તમારી સાથે આ નોટો લઈ જઈ શકો છો અને ભારતની બેંકમાં જમા કરાવી કે નાની નોટોમાં બદલાવી શકો છો, અથવા અન્ય કોઈ જતું હોય તો તેમને અધિકારપત્ર (ઓથોરિટિ લેટર) આપીને તમારા વતી ભારતમાં તમારી બેંકમાં બેંકમાં જમા કરાવવાની સત્તા આપી શકો છો.
૩. ભારત સરકાર એ દિશામાં કાર્ય કરી રહી છે કે વિદેશમાં (યુ.કે. સહિત) આવેલી ભારતીય બેંકોમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટો જમા કરાવી શકાય.
૪. હાઇ કમિશન ખાતરી આપે છે કે લોકો પાસે રહેલું કાયદેસરનું નાણું એળે નહિ જાય
૫. રદ થયેલી ચલણી નોટો બદલવાની કે જમા કરાવવાની આખરી તારીખ ૩૦ ડિસેમ્બર જ રહેશે (ભારતમાં અને ભારતની બહાર પણ)
૬. જ્યારે આવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે ત્યારે તમે તમારી પાસે રહેલી નોટો તમારા ખાતામાં ફક્ત જમા કરાવી શકશો
૭. તમે ભારતની બહાર એ નોટોને નાના કે મોટા ચલણી નાણામાં બદલાવી નહિ શકો.
૮. ભારતીય ચલણના બદલામાં ફક્ત ભારતીય નાણું જ મેળવી શકશો (બેંક થાપણ સ્વરૂપે), વિદેશી નાણું નહિ.
૯. કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિ ભારતની બહાર કોઈ પણ વ્યક્તિ ફક્ત આટલી જ માત્રામાં ચલણી નાણું રાખી શકે છે:
ક. ૨૫,૦૦૦ રૂપિયા: જો તમે છેલ્લી વખત પાછલા બે વર્ષમાં ભારત ગયા હોવ
ખ. ૧૦,૦૦૦ રૂપિયા: જો તમે છેલ્લી વખત છેલ્લા બે વર્ષ પહેલા પણ ૨૦૦૫ પછી ભારત ગયા હોવ
ગ. ૭,૫૦૦ રૂપિયા: જો તમે છેલ્લી વખત ૨૦૦૫ પહેલા ભારત ગયા હોવ
૧૦. હાઇ કમિશન એ વાતની પણ બાંહેધરી આપે છે કે સૌને તેમની પાસે રહેલું ધોળું નાણું જમા કરાવવાનો પુરતો સમય આપવામાં આવશે.
૧૧. અન્ય એક પર્યાય જેના પર સરકાર કામ કરી રહી છે તે એ છે કે તમારા પૈસા કોઈક રીતે તમારા વતી ભારતમાં રહેલી તમારી બેંકની શાખામાં પહોંચાડે.
તમે આ સંવાદ અહિં નીચે અંગ્રેજી લખાણના અંતે નિહાળી શકો છો અથવા સબરસ રેડિઓની વેબસાઇટ પર કે યુટ્યુબ પરથી સાંભળી શકો છો.
સાથેસાથે મારા બ્લોગના સૌ વાંચકોને અને મુલાકાતીઓને ફક્ત એક જ વિનંતિ કરવાની કે વોટ્સએપ, ફેસબુક, વગેરે માધ્યમો પર આંખો મીંચીને મેસેજો ફોરવર્ડ કરવાને બદલે તે મેસેજની સ્ત્યાર્થતા ચકાસવાની ટેવ પાડો. કોઈકે મોકલેલો મેસેજ તમારે આગળ મોકલવો જ એવો કોઈ કાયદો નથી, કૃપા કરીને અફવાઓને વેગ આપવામાં નિમિત્ત ના બનશો.

 Since the #Demonetisation of Indian currency notes of 500 and 1000, the news started floating on social media
regarding exchanging currency notes of INR 500 & 2000 in Branches of Indian Banks here in UK. To the Contrary of that the High Commissioner of India Shri Dinesh Patnaik confirmed this morning that:
1. As of today (17th Nov 2016), there is no such arrangements put in place
2. If you are traveling to India, you can take money with you and exchange/deposit in banks in India, or authorise anyone to take your money and deposit in your account on your behalf in India.
૩. GoI is working in direction to make it possible to deposit INR high value currency notes in Branches abroad (including UK)
4. HCI assures that legitimate money of people abroad will not go waste
5. Deadline to deposit/exchange currency notes remain the same, 30th December 2016, in India and outside
6. When arrangements will be made, you will only be allowed to deposit your cash in your bank account.
7. You will not be able to exchange it for smaller or higher denomination notes anywhere outside India
8. For Indian currency, you will only get Indian currency (in forms of bank deposits), not foreign currency.
9. Maximum legal limit of Indian currency that one can possess outside India is:
A. 25,000 Rupees if you last travelled to India in last 2 years
B. 10,000 Rupees if you last travelled to India between 2014 (assuming that is what counts as “before 2 years”) and 2005
C. 7,500 Rupees only if you last travelled to India prior to 2005
10. HCI also assures that there will be enough time for people to deposit their legitimate money up to the above limits
11. Another alternative being worked on is, to arrange to send your money to your bank account in India
You can listen to his Interview taken by Sabras Radio here below or on their website or YouTube.
I would like to request all my readers and visitors that PLEASE do not blindly forward messages on whatsapp, facebook, etc. Develop habit to check truthfulness of the messages. You are not legally bound to forward everything that you have received, Please do not be instrumental in spreading rumors.

મારી લીટી મોટી કે તારી લીટી નાની?

વર્ષો પહેલા કદાચ ચોથા ધોરણમાં કે એમ સ્વામી વિવેકાનંદ વિષેની એક વાર્તા ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આવતી હતી તે યાદ છે? સ્વામી વિવેકાનંદ જ્યારે શાળામાં હતા ત્યારે તેમના શિક્ષકે બોર્ડ પર એક આડી લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને અડક્યા વગર ટૂંકી કરીને બતાવો. બધાને એક જ રસ્તો સૂઝતો હતો, ડસ્ટર વડે લીટી ભૂંસવાનો પણ તેમ કરવા પર પ્રતિબંધ હતો. વિચક્ષણ બુદ્ધિવાળા નરેન્દ્રએ (જે પાછળથી સંન્યાસ લઈને સ્વામી વિવેકાનંદ બન્યા) ચોક (કે ચાક) હાથમાં લીધો અને પાટીયા પર જ્યાં એ લીટી દોરેલી હતી એની ઉપર બીજી એક લીટી તાણી નાખી, આ લીટી શિક્ષકે દોરેલી લીટી કરતા મોટી હતી. આમ તેમણે શિક્ષકની લીટીને ભૂંસ્યા વગર તેને નાની સાબિત કરી બતાવી.

આમ તો આ વાર્તા પ્રેરણાત્મક વાર્તા (મોટિવેશનલ સ્ટોરી) ગણાય અને એ કારણે જ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી હશે, પણ જ્યારથી સમજણો થયો ત્યારથી એ વાત કદી ગળે ઉતરી નહી કે પોતાનો કક્કો ખરો કરીને બીજાને ખોટો પાડવાથી કેવી રીતે મહાન બનાય? કોઈ પણ લીટીને નાની કરવા માટે એની બાજુમાં, ઉપર કે નીચે એથી લાંબી લીટી શું કામ તાણવી પડે? આપણે પણ જીવનમાં અન્યને નીચા પાડવા કે બતાવવા માટે થઈને આપણી જાતને એમનાથી ચડિયાતા સાબિત કરતા હોઈએ જ છીએ, જે સૈદ્ધાંતિક રીતે જ ખોટું છે. એવી કેળવણીનો પાયો આવી વાર્તાઓમાં રહેલો છે.

આ બધું આજે કેમ યાદ આવ્યું એમ ના પૂછશો. થયું એવું કે સવાર સવારમાં પ્રાતઃકાળે અર્લિ મોર્નિંગ ઉઠ્યો ત્યારે મોબાઈલમાં એક બ્લૉગ અપડેટનો ઇમેલ આવ્યો હતો તે વાંચ્યો. બ્લૉગ સારા એવા જાણીતા મુરબ્બીશ્રીનો છે. નામ નહિ લઉં, કારણ એક જ કે જે મુદ્દો છે તેમાં તેઓ સીધી રીતે દોષી નથી કે નથી હું એમનો વાંક કાઢતો. તેઓ તો ફક્ત નિમિત્ત બન્યા છે. હા, તો વાત એમ છે કે બ્લોગમાં તેમણે એક વાર્તા લખી છે, એ વાર્તામાં એમણે ઔષધશાસ્ત્ર માટે લખ્યું કે “ઔષધશાસ્ત્ર (Medicine)ના પિતા હિપોક્રેટ્સ…” અને બસ, મારી પીન ત્યાં ચોંટી ગઈ. તે મુરબ્બી શ્રી કાંઈ ઇતિહાસની દૃષ્ટિએ તવારિખ નથી આપી રહ્યા, આ ઉલ્લેખ ફક્ત વાર્તાનું એક પાત્ર શું વિચારે છે તેની પૃષ્ઠભૂમિ બાંધવા જ લખાયું છે, એટલે તેના માટે અમારી વિકિપીડિયાની આદત મૂજબ સંદર્ભ માંગી ન શકું.

સવાલ એમ થયો કે ગ્રિક હિપોક્રેટ્સ ઔષધશાસ્ત્રના જનક કેવી રીતે હોઈ શકે? જો તે પિતા હોય તો આપણા ચરક મૂનિ અને સુશ્રુત શું બાળકો હતા? ખાંખાખોળા ચાલુ કર્યા, પહેલા તો આ વાત સાચી કે ખોટી એ તપાસ કરવી હતી જે આંશિક રીતે સાચી છે એમ પ્રતિપાદિત થયું. બીજે ક્યાંથી થાય ભાઈ? (અને બહેન? પણ, બસ!) વિકિપીડિયામા સ્તો. અંગ્રેજી વિકિપીડિયા હિપોક્રેટ્સ માટે કહે છે કે તે આધુનિક ઔષધશાસ્ત્રનો પિતા ગણાય છે (He is referred to as the “Father of Modern Medicine”), અને આવું કહેનારા ઓછામાં ઓછા ત્રણ સંદર્ભો છે (1. Grammaticos PC, Diamantis A (2008). “Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus”. Hell J Nucl Med. 11 (1): 2–4. PMID 18392218.
2.Jump up ^ “Hippocrates”. Microsoft Encarta Online Encyclopedia. Microsoft Corporation. 2006. Archived from the original on 2009-10-31.
3.Jump up ^ Strong, W.F.; Cook, John A. (July 2007), “Reviving the Dead Greek Guys” (pdf), Global Media Journal, Indian Edition). હવે ‘(ફક્ત આધુનિક નહિ, સમસ્ત) ઔષધશાસ્ત્રના પિતા’ કોણ એ જાણવા ચરકનું પાનું ખોલ્યું અને ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ ઔષધશાસ્ત્રના પિતા તરિકે સુપ્રખ્યાત છે (He is well known as the “father of medicine”.) (સંદર્ભ: Dr. B. R. Suhasનું પુસ્તક https://books.google.co.uk/books?id=nEKFAwAAQBAJ&pg=PP18&dq=charaka+father+of&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q=charaka%20father%20of&f=false).

માટે મિત્રો, આપણે આપણા ભવ્ય વારસાને ભૂલીએ નહિ અને લોકોએ કરેલા દાવાઓથી ભરમાઈએ નહિ. આપણી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને ઘણું આપ્યું છે, વેદોથી માંડીને ઔષધશાસ્ત્ર અને શુન્ય અને બીજગણિત અને ત્રિકોણમિતિ અને બીજું ઘણું બધું. ભલે પછી ઇલિયાડ અને ઓડીસીને પાશ્ચાત્ય સાહિત્યની પુરાતનતમ કૃતિઓમાં ગણવામાં આવી હોય, આપણા વેદો અને મહાભારત એથી પણ વધુ પહેલા રચાયા હતા અને માટે તે (ફક્ત પાશ્ચાત્ય કે પૌરાત્ય નહિ, પણ સમગ્ર) સાહિત્યની જૂનામાં જૂની રચના ગણવામાં આવે છે. જે પાશ્ચાત્ય જગતને ભારતની મહાનતા સ્વિકારતા પેટમાં દુઃખે છે તે પશ્ચિમ, આધુનિક એવા વિશેષણો વાપરીને અન્ય લીટીઓને આપણી લીટી કરતા મોટી બતાવવાનો પ્રયત્ન કરે છે, અને આપણા ઘણા ભારતીયો પશ્ચિમના ચશ્મા પહેરતા હોવાથી એમને પણ એ લીટીઓ મોટી દેખાવા માંડે છે.

અસ્તુ.

વ્યથા કે ગુલામીની મનોદશા?

બે-ત્રણ દિવસ પહેલા પ્રજસત્તાક દિને વોટ્સએપ પર આ કવિતા ફરતી થઈ ગઈ હતી, મને નહિ નહિ તોય ઓછામાં ઓછી સાત વખત મળી. તમને બધાને મળી જ હશે… જો ના મળી હોય તો વાંચી જુઓ અને વાંચેલી હોય તો નજરઅંદાજ કરીને નીચે વાંચો:

“સારું થયું આઝાદ થઇ ગયા…!”

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા,
રસ્તા પાણી થી ધોતા હતા,
આપણે કેટલા નસીબ- વાળા ?
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ…. સારું થયું આઝાદ થઇ ગયા….

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા,
મૂરખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,….. સારું થયું આઝાદ થયા. …‌

એ મૂરખ અંગ્રેજો
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા,
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે  ભાગ્યશાળી બન્યા, …..સારું થયું આપણે આઝાદ થયા……

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી,
ભીખ મગાવી ઉદાર આપણે થયા,……સારું થયું આઝાદ આપણે થયા……

એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નોતા,
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, ……સારું થયું આઝાદ થઈ ગયા…..

(માફી: સર્જકની કે જેનું નામ કદાચ કોઈકે મોકલ્યું હતું પણ મને યાદ નથી રહ્યું, જો કોઈ જાણતું હોય તો જણાવશો, અહિં ઉમેરી દઈશ)

આ કવિતા વાંચીને મને એવી માનસિકતાવાળા માણસોની દયા આવવા માંડી જે માને છે કે મહાન અંગ્રેજો ના હોત તો આપણે જન્મી જ ન શક્યા હોત અને જો જન્મ્યા હોત તો હજુ જંગલમાં જાનવરોને મારીને કાચું માંસ જ ખાતા હોત. ક્યારે લોકો અંગ્રેજોની ગુલામી કરવાનું છોડશે? હું એમ નથી કહેતો કે આ કવિતાના રચયિતાએ દેશની આજની પરિસ્થિતિ પ્રત્યે જે વ્યથા વ્યક્ત કરી છે તે ખોટી છે કે તેમાં અતિશયોક્તિ છે કે નથી તો હું સામાન્ય ભારતીય નાગરીકની માનસિકતાના વખાણ કરું છું (કેમકે તે તો આ કવિતાને ફોરવર્ડ કરીને લોકોએ સાબિત કરી જ દીધું છે), પરંતુ અહિં અંગ્રેજોને જે રીતે મહાન ચિતર્યા છે એની સાથે સંપૂર્ણ અસહમત છું.

ચાલો એની સામે થોડા તર્ક રજૂ કરું, સર્જક કહે છે કે ” મૂરખા રાશન માં સારું અનાજ આપતા”, શું તેમને ખબર છે કે રાશન (મર્યાદિત પ્રમાણમાં અનાજ-કરિયાણું) કેમ અને ક્યારે આપતા? શું રાશન આપવું એ ખરેખર પ્રશંસનિય કાર્ય હતું? વિશ્વયુદ્ધમાં જ્યારે એમના દેશમાં પુરવઠો ખોરવાયો ત્યારે આપણે અહિંથી અને બધેથી ભેગું કરીને મર્યાદિત પ્રમાણમાં વહેંચ્યું. જે વિશ્વયુદ્ધ સાથે આપણે કોઈ લેવાદેવા નહોતી તેમાં અકારણ આપણા સેંકડો લોકો હોમાઈ ગયા, આજે પણ અહિં બ્રિટનમાં રિમેમ્બરન્સ સન્ડે ઉજવાય અને એમાં યુદ્ધની બલિહારીઓ લેવાય ત્યારે ભારતીય સૈનિકોને ભાગ્યે જ યાદ કરાતા હોય, પણ છતાં એ રાશન આપનાર અંગ્રેજો મહાન?

” સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,” ખરેખર? ભારતની શિક્ષણપ્રથાને નેસ્તનાબુદ કરીને પોતાનું ઘુસાડ્યું તે મહાન? આપણી આરોગ્યવિદ્યા આયુર્વેદને નેસ્તનાબુદ કરીને એલોપથી જબરજસ્તીથી ઘુસાડી તે મહાન?

“એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા, એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા,” વાહ વાહ, શું વાત છે! લાંચ લેતા આપણને શીખવાડ્યું કોણે? લાંચની પ્રથા ચાલુ કોણે કરી? એટલા જ દૂધે ધોયેલા હતા જો તમારા એ અંગ્રેજો કે ફિરંગીઓ તો એમણે ભારતના ભાગલા કરવા માટે લાંચમાં મહમદ અલી ઝીણાને પાકિસ્તાન શું કામ આપ્યું? શું કામ રાજાઓને લાંચમાં લંડનની સહેલ કરાવીને છાનુંમાનું રાજ છીનવી લીધું? જેણે લાંચ આપતા શીખવ્યું તે અંગ્રેજો મહાન?

ધન્ય છે સર્જકને.

અંગ્રેજોએ આપણા માટે કશું નહોતું કર્યું, જે કર્યું તે તેમના પોતાના માટે કર્યું, આપણે એમની આરતિ ઉતારવાની હવે આઝાદીના લગભગ ૭૦ વરસે તો બંધ કરવી જ જોઈએ. અંગ્રેજોને આપણી કોઈ દયા નહોતી આવતી, કે નહોતા તો તે કોઈ ધર્માદાનું કે પરોપકારનું કામ કરવા નીકળ્યા. એ ફક્ત ધંધો કરવા અને આપણી જાહોજલાલીને લુંટવા આવ્યા હતા જ્યારે આપણે નીચોવાઈ ગયા ત્યારે એ લોકો દેશને કંગાળ હાલતમાં છોડિ ને જતા રહ્યા અને નહેરુ-ઝીણા જેવા લાલચુ નેતાને લાંચ આપતા ગયા.

તા.ક. (સ્પષ્ટતા): કવિતા મારી નથી, તેના વ્યાકરણ અને જોડણી સુધાર્યા નથી, જે રૂપમાં મળી હતી તે જ રૂપમાં પ્રસ્તુત કરી છે.

એમાં મેં શું ખોટું કહ્યું?

આજે એક ભાઈની સાથે વાત ચાલતી હતી. વાતમાંથી કોઈક ત્રાહિત વ્યક્તિની કાંઈક વાત નીકળી અને મેં પૂછ્યું કે તે ક્યાં રહે છે? જવાબ મળ્યો: “ન્યુ મણીનગરઅને મરી ભભકી. મેં કીધું કે મને સખત ગુસ્સો ચડે છે જ્યારે લોકો એક સ્થળના નામ પરથી બીજાનું નામ પાડે છે. તેઓ ઉવાચ: “એમાં શું થઈ ગયું યાર, તો ખાલી નામ છે“.

મેં એમને એક સવાલ પૂછ્યો, “માનો કે તમારે એક બાબો છે ચિંતન, ભગવાનની કૃપાથી તમારે ઘેર ફરી પારણું બંધાય અને અન્ય એક પૂત્રરત્ન અવતરે તો તમે ક્યારેય એનું નામનવો ચિંતનપાડશો? જવાબમાં તેઓ હસ્યા અને મેં ફેંકેલા બોલ પર ચોગ્ગો મારતા હોય એવા ભાવ સાથે બોલ્યા: “એક ઉપર બીજો બાબો તો ૨-૪ વરસમાં આવી જાય. મણીનગર પછી ન્યુ મણીનગર કાંઈ બેચાર વરસમાં થોડું બન્યું?” મને લાગ્યું કે અહિં સ્વિંગ બોલિંગથી કામ નહિ ચાલે એટલે મેં ગુગલી ફેંક્યો: “બરોબર છે. ચાલો બીજો પ્રશ્ન પૂછું કે તમારા માતુશ્રીનું નામ રમીલાબેન છે અને તમારા ઘરે ઈશ્વરના આશીર્વાદથી સુંદર કન્યા જન્મે છે. હવે તો તમે એનું નામનવી રમીલાપાડશોને? કે પછી રાજાઓમાં હોતુંતું એમરમીલા બીજીવધારે યોગ્ય રહેશે?” અને સાલું મારી ગુગલીએ કામ કર્યું. ભાઈ કહે, એવું તે કાંઈ હોતું હશે? અને અચાનક એમને કાંઈક કામ યાદ આવ્યું અને એમણે મારી રજા માંગી જે મેં આપી દીધી.

હવે તમે કહો, એમાં મેં શું ખોટું કહ્યું?

સજાતીય સંબંધો અને હિંદુ ધર્મ

તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે ‘સજાતીય સંબંધો’ને એટલે કે ‘same-sex relationship’ને અવૈધ હોવાનું પુન:સ્થાપિત કર્યું છે. જો કે ટેકનિકલી એ ચુકાદા વિષે કશું કહી શકું તેવી મારી લાયકાત નથી, છતાં હું તો એમ માનું છું કે સર્વોચ્ચ અદાલત તેના ચુકાદામાં સાચી જ છે. અરે, અરે, અરે…. ખમો, હું શું કહું છું તે તો સાંભળો (વાંચો)!

સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો આમ તો ખાસ કરીને દિલ્હીની વડી અદાલતે ૨૦૦૯માં નાઝ ફાઉન્ડેશન વિરુદ્ધ દિલ્હી રાજ્ય સરકારના ખટલાના આપેલા ચુકાદા સંદર્ભે આપ્યો છે. દિલ્હીની વડી અદાલતમાં ૨૦૦૧થી ચાલતા આવેલા એ ખટલામાં વડી અદાલતે ૨૦૦૯માં આપેલા ચુકાદામાં સજાતીય સંબંધોને (જો બે વયક્ત વ્યક્તિઓ વચ્ચે) એકબીજાની સંમતિથી થયા હોય તો માન્ય ગણાવ્યા હતા. ૧૧મી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણીમાં બે ન્યાયાધિશોની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો પાછો વાળ્યો, જે માટેનું કારણ આપ્યું છે કે, “(દિલ્હીની વડી અદાલતનો) એ ચુકાદો બંધારણીય દૃષ્ટિએ ટકી શકે તેમ નથી, કેમકે ભારતના બંધારણ મુજબ કાયદો ફક્ત સંસદ જ ઘડી શકે છે, અદાલત નહિ”. અને એ વાત તો સાચી જ છે ને? ભારત દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને સજાતીય સંબંધોને બંધારણની કલમ ૩૭૭માં અવૈધ ગણાવવામાં આવ્યા છે, માટે ફક્ત સંસદ જ ખરડો પસાર કરીને કાયદો બનાવી શકે અને બંધારણની કલમ ૩૭૭માં ફેરફાર કરી શકે અથવાતો તેને હટાવી શકે છે.

આ તો થઈ વાત ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ એ કાયદાની કે બંધારણની કલમની. હવે મારી વાત, ભલે અદાલત એમ કહેવામાં સાચી હોય કે કાયદો બદલવાનું કામ કે કાયદો ઘડવાનું કામ અદાલતનું નથી, સંસદનું છે, પણ શું હું માનું છું કે ૧૨૯ વર્ષ જૂનો એ કાયદો સાચો છે? ના, ના અને સાડી સત્તર વખત ના! બંધારણની એ કલમ બ્રિટિશ શાસન દરમ્યાનના કાયદાના આધારે લખાયેલી છે. આજે સવાસો વર્ષ પછી પણ શું સજાતીય સંબંધોને “કુદરત વિરુદ્ધનું કૃત્ય” કે “અપ્રાકૃતિક” ગણાવીશું? કેવી રીતે ગણાવી શકીએ? સમાજમાં આ સવાસો વરસમાં, અરે સવાસોને ભૂલી જાવ, છેલ્લા ૫૦ વરસમાં જ કેટલા પરિવર્તનો આવ્યા છે! કોઈ વ્યક્તિ કઈ જાતિથી આકર્ષાય અને કઈ જાતિના પ્રેમમાં પડે છે (અહિં જાતિ એટલે નર કે માદા) તે એ વ્યક્તિનો અંગત નિર્ણય છે. જો એનાથી ત્રીજી વ્યક્તિને કોઈ નુકસાન ન થતું હોય તો સરકારને બોલવાની ક્યાં જરૂર છે? જ્યારે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે ત્યારે તો સમાજની ઘણીબધી વ્યક્તિઓનો વિરોધ હોય છે, ફક્ત લગ્ન કરનાર યુગલ જ રાજી હોય છે, અને છતાં અદાલત, ન્યાયતંત્ર અને સરકાર બધા જ એ યુગલના પક્ષે હોય છે. તો પછી અહિં કેમ યુગલની મરજી નહિ અને સરકારની મરજી જોવાની?

આ સમગ્ર પ્રકરણમાં બ્રિટિશ સરકારની તે સમયની માનસિકતા અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ નજરે પડે છે. ખ્રિસ્તી ધર્મમાં પરસ્ત્રીગમન, સજાતીય સંબંધો, વેશ્યાવૃત્તિ, વગેરે જેવી બાબતો પ્રત્યે છોછ છે અને એ ધર્મના પ્રભાવમાં જ તે સમયના (સવાસો વર્ષ પહેલાના) કાયદા ઘડાયા હતા. સેક્સ વિષે હું કદી કશું લખતો કે ચર્ચતો નથી, કેમકે એ બે વ્યક્તિઓ વચ્ચેનું અંગત કર્મ છે, જેની જાહેર ચર્ચા ન હોય. પરંતુ સેક્સને બંધબારણે જ કરવામાં આવતું, જાહેરમાં ચર્ચી ન શકાય એવું, કર્મ જાહેર કોણે કર્યું? એ જ અંગ્રેજોએ અને કદાચ એમના પહેલા આપણી ઉપર શાસન કરનાર મુઘલ અને અન્ય મુસલમાન શાસકોએ. આપણા શાસ્ત્રોમાં તો સેક્સને એટલું હલકું કૃત્ય નહોતું માનવામાં આવતું. જો સેક્સ એટલું હલકું કૃત્ય હોત કે જેની ચર્ચા કરી ન શકાય તો કોઈ મુનિ એ સેક્સની કળા વિષે આખો ગ્રંથ શું કામ લખત (એ તો યાદ જ હશે ને કે કામસૂત્ર જેવો વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ લખનાર ભારત દેશના જ હિંદુ ધર્મના વાત્સાયન મુનિ હતા)? શું કામ (કોણાર્ક, ખજુરાહો, અને એવા અનેક) હિંદુ મંદિરોની દિવાલો ઉપર રતિક્રીડામાં રત યુગલોના શિલ્પો કંડારાયેલા છે? એ જ ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ વેશ્યાવૃત્તિને પણ અવૈધ ગણાવવામાં આવી છે. શું આપણા ધર્મમાં ગણિકાઓની વાત નથી? અપ્સરાઓ, ગણિકાઓ, વગેરેનું કેટલું ઉમદા ચિત્રણ છે શાસ્ત્રોમાં! એ કર્મને કે વ્યવસાયને ‘દેહનો વ્યાપાર’ એવું હિણપતભર્યું નામ આપીને કંઈ કેટલીય સ્ત્રીઓ પર દમન કરવાનું કામ એ જ અવિચારી કાયદાઓએ અને બંધારણે કર્યું છે. જો સ્ત્રી દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવતી વેશ્યાવૃત્તિને કાયદેસર કરવામાં આવે તો આપણા દેશમાં રોજે થતા બળાત્કારો આપોઆપ જ કાબુમાં આવી જાય એવું નથી લાગતું? સપ્રેસ્ડ સમાજ કે જ્યાં સેક્સ સહજ રીતે પ્રાપ્ય નથી ત્યાં જ અબળાઓ પર અત્યાચાર થાય છે. આ જ રીતે હિંદુ શાસ્ત્ર સજાતીય સંબંધો વિષે શું કહે છે? અરે કંઈ કહે છે પણ ખરું કે નહિ  એ જાણવાની કોઈએ કોશીશ કરી? કરી જ હશે એમ માનીને હું પણ એ સમુદાયમાં જોડાઉં છું.

આપણા અનેક હિંદુ શાસ્ત્રો છે, જેમાં વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, પુરાણો, વગેરેનો સમાવેશ થઈ જાય. આપણે એક દૃષ્ટિ કરીએ ફક્ત એક જ શાસ્ત્ર – પુરાણ પર. પુરાણોમાં સૌથી વધુ જાણીતું અને પુરાણ નામ લેતા જ તરત યાદ આવે તેવું શ્રીમદ્ ભાગવતમ્ ઉદાહરણ તરીકે લઈએ તો, ભાગવતમ્ ના પંચમ સ્કંધના અંતિમ એવા ૨૬મા અધ્યાયમાં નર્કોનું વર્ણ કર્યું છે. સ્વાભાવિક રીતે જ નરક સમાજમાં રહેલી બદીઓ માટે અથવા તો સમાજમાં અસ્વીકાર્ય કાર્યો કરનારાઓ માટે હોય. જેમ આધુનિક શાસનમાં ન્યાયતંત્ર છે જે દંડ આપે છે, એમ ધાર્મિક શાસનમાં દંડ સ્વરૂપે નરકની સજા કરવામાં આવે છે. જો આ ૨૬માં અધ્યાયના શ્લોક ક્રમાંક ૮થી ૩૬ને ધ્યાનથી વાંચવામાં આવે તો જણાશે કે આજના આધુનિક ન્યાયતંત્રમાં જે દંડનીય અપરાધ ગણાય છે એવા કેટલાય એમાં પણ દંડનીય અને નરકને પાત્ર છે, પરંતુ જે કૃત્યો ખ્રિસ્તી ધર્મ પ્રમાણે દંડનીય નથી, અને માટે આપણા કાયદામાં પણ દંડનીય નથી, તેને પણ આપણા ભાગવતમે દંડનીય કે નરકને પાત્ર ગણાવ્યા છે. જેમકે સમાજના કોઈ એક વર્ગ દ્વારા પ્રાણીઓની હત્યા, વગેરે. કુલ ૨૮ પ્રકારના નર્કો એ પુરાણમાં ગણાવવામાં આવ્યા છે. એમાંથી એકેય નરક ગણિકાને કે દેહવિક્રય કરતી સ્ત્રીને નથી આપ્યું. જોવાની ખૂબી એ છે કે ઘણા નરકો સ્ત્રીઓએ કરેલા અમુક કૃત્ય માટે છે, પણ તેથી વધુ નરકો તો પુરૂષોના કૃત્યો માટે છે, એટલે લોકોનો એ દાવો પણ પોકળ છે કે આપણો ધર્મ અને આપણા શાસ્ત્રો પુરુષપ્રધાન સમાજના પરિણામે છે. આપણો ધર્મ અને સમાજ તથા શાસ્ત્રો શરુઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતો આવ્યો છે, સ્ત્રીને દબાવવાનો અને નબળી ગણાવવાનો સીલસીલો તો વિદેશીઓએ આપણી ઉપર કરેલા છેલ્લા ૬૦૦-૭૦૦ વર્ષના શાસનના પ્રતાપે છે. ફરી પાછા આડા પાટે ચડીએ એ પહેલા મૂળ મુદ્દા પર આવું તો, આ નરકોનું વર્ણન કરતા અધ્યાયમાંના ૨૮ પૈકીના ૬, એટલે કે લગભગ પાંચમાં ભાગના (૨૦ ટકા) નરકો સેક્સ સંબંધી પાપ (અપરાધો)ના ફળસ્વરૂપે પ્રાપ્ત થતા નરકો છે. આ નરકોના નામ છે, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તપ્તસૂર્મિ, વજ્રકંટક શાલ્મલી, પૂયોદ અને લાલાભક્ષ. આ છએ નરકોમાં જનારાઓ એક યા બીજા પ્રકારે સેક્સ સંબંધી પાપ કરનારા છે, જેમાં અન્યની પત્ની, રજસ્વલા સ્ત્રી, પશુ વગેરે સાથે જાતીયસંબંધ બાંધનારાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ૨૮માંથી એકેય નરકમાં વેશ્યા, ગણિકા કે દેહવિક્રય કરતી સ્ત્રી નથી જતી. હા, જે પતિ પોતાની પત્નીના દેહવિક્રયની કમાણી ખાતો હોય તે આમાંના એકાદા નર્કમાં જાય છે. તો એ શું દર્શાવે છે? એવું સ્પષ્ટ નથી થતું કે એ સમાજમાં સ્ત્રી વેશ્યાવૃત્તિ કરે તો તે બદચલન નહોતી બની જતી. કોઈ સ્ત્રી મજબૂરીમાં પોતાનું કે પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે એ માર્ગ અપનાવે તો તેને પાપ નહોતું ગણવામાં આવતું. એ જ રીતે જે શાસ્ત્ર માણસના પશુ સાથેના સંબંધો વિષે વાત કરતું હોય તે શાસ્ત્રને શું પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધોની જાણ નહિ હોય? જો જે ધર્મ આવા ખૂબ જ અલ્પપ્રમાણમાં થતા કર્મો વિષે પણ લખી શકતો હોય અને જેને નિંદનીય ગણતો હોય, તે ધર્મએ કદી સજાતીય સંબંધો નહિ જોયા હોય? શક્ય જ નથી. તો પછી એ ધર્મમાં એવા સજાતીય ધર્મોને ક્યાંય નિંદનીય કે પાપ કે નરકના અધિકારી નથી ગણાવ્યા એનો અર્થ એમ ન કરી શકાય કે ધર્મએ એ પ્રકારના સંબંધોને સ્વીકાર્યા છે? જો હજારો કે સેંકડો વર્ષ પહેલાનો આપણો સમાજ એ સંબંધોને સ્વીકારી શક્યો હોય તો આપને કેમ ના સ્વીકારી શકીએ?

આજના સમાજમાં આપણે ‘દોસ્તાના’ જેવી ફિલ્મો સપરિવાર જોઈ શકીએ છીએ, છાશવારે ફિલ્મોમાં ગે પાત્રની કોમેડી સહન કરી શકીએ છીએ, અરે પ્રખ્યાત ‘સાસ ભી કભી બહુ થી’ કે એ જ અરસાની કોઈક ટેલિવિઝન સિરિયલમાં પણ ગે/સજાતીય પાત્ર હતું જેને ઘરઘરમાં જોવામાં આવતું હતું, તો છાપાઓ અને મીડિયાવાળાઓ કયો સમાજ ‘ઓર્થોડોક્સ’ છે એમ કહે છે? ભલે સર્વોચ્ચ અદાલત એમ કહે કે આ કાયદો સંસદે બદલવો પડશે, પણ એ સંસદમાં બેઠેલા એકેય લલ્લુએ દુનિયા જોઈ જ નથી. એમને શું ખબર કે દુનિયામાં શું થઈ રહ્યું છે? એ લોકોએ આપણા શાસ્ત્રોનું પણ અધ્યયન નથી કર્યું કે આવો બધો વિચાર કરી શકે. ભગવાન એમને સદ્‌બુદ્ધિ આપે કે એ લોકો આ બાબતે કશુંક વિચારે અને આવા મુર્ખામીભર્યા કાયદાને બદલે. દુનિયાને બતાવી આપો કે આપણો સમાજ કેટલો પ્રગતિશીલ અને સહિષ્ણુ છે.